હરારેઃ ભારતે ત્રીજી વન-ડેમાં પણ વિજય સાથે ઝિમ્બાબ્વેનો ૩-૦થી વ્હાઇટવોશ કર્યો છે. મંગળવારે રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં કેદાર જાદવના અણનમ ૧૦૫ રનની મદદથી પાંચ વિકેટે ૨૭૬ રનનો સ્કોર કર્યો હતો. આની સામે યજમાન ઝિમ્બાબ્વેની ટીમનો દાવ ૧૯૩ રનમાં જ સમેટાઇ ગયો હતો.
આ અગાઉ રવિવારે રમાયેલી બીજી વન-ડેમાં ભારતે ૬૨ રને વિજય મેળવવાની સાથે ત્રણ વન-ડે મેચની સિરીઝ ૨-૦થી જીતી લીધી હતી. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં ઓપનર મુરલી વિજયના ૭૨ રન, રહાણેના ૬૩ અને અંબાતી રાયડુના ૪૧ રનની મદદથી આઠ વિકેટે ૨૭૧ રન કર્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ ૪૯ ઓવરમાં ૨૦૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.