વડીલો સહિત સહુ વાચક મિત્રો, યુરોપિયન યુનિયન (ઇયુ)ના ૨૮ દેશો માટે અત્યારે સૌથી વધુ શિરદર્દ સમાન સવાલ લાખો નિર્વાસિતોના ધસારાનો છે. યુરોઝોનના દેશોમાં આર્થિક અસ્વસ્થતા, ગ્રીસના અર્થતંત્રની કફોડી હાલત તેમ જ અન્ય આંતરિક અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નો કરતાં પણ દરિયાઇ માર્ગે ખખડધજ બોટ કે સાવ સાદા તરાપામાં બેસીને ભૂમધ્ય સમુદ્ર (મેડિટેરીયન સી)માં અસંખ્ય બેહાલ નિર્વાસિત અબાલવૃદ્ધો ઝંપલાવી રહ્યા છે તે બાબત અતિશય કરુણ છે. છેલ્લા આંકડા અનુસાર, ૨૦૧૪-૧૫માં સીરિયામાંથી ૬૫ હજાર, ઇરીટ્રિયામાંથી ૩૨ હજાર, અફઘાનિસ્તાનમાંથી ૧૨ હજાર એમ જુદા જુદા દેશોમાંથી નીકળેલા લોકોના આંકડાનો સરવાળો કરીએ તો લગભગ ૩ લાખ લોકોએ યુરોપમાં શરણાગતિ માટે જીવન-મરણનો દાવ ખેલ્યો છે. ભૂમધ્ય સાગરની અફાટ જળરાશિમાં નીકળી પડેલા આ નિરાશ્રિતો ઇટલી, ગ્રીસ અને માલ્ટાની સરહદમાં જમીન તટે બેહાલ હાલતમાં ઉતર્યા કે તેમને બચાવી લેવામાં આવ્યા.
યુરોપના દેશોમાં માનવતા સાવ મરી પરવારી નથી. રાજકીય અગ્રણીઓ ભલે આ મુદ્દે બાઇ બાઇ ચાયણી કરતા હોય, પણ આંકડાઓ પર નજર ફેરવશો તો જણાશે કે યુરોઝોનના વિવિધ દેશોએ આવા હજારો આશ્રિતોને શરણ આપ્યું છે.
હવે આપણે ક્યા દેશની વસ્તીના પ્રમાણમાં કેટલા નિરાશ્રિતોએ શરણ લીધું છે અને વસવાટ માટે કેટલા લોકોની અરજી મંજૂર કરવામાં આવી છે તેના આંકડાઓ પર નજર ફેરવીએ. આ આંકડાઓ પરથી આપ સહુને આછેરો ખ્યાલ આવશે કે યુરોપના ક્યા દેશમાં કેટલા નિરાશ્રિતો પહોંચ્યા છે... બાય ધ વે, આ નિરાશ્રિતોમાં ૯૦ ટકા બિન-ગોરા અને મુસ્લિમ ધર્મના હોવાનું નોંધનીય છે.
સ્વીડનમાં ૪૦ હજાર લોકોએ રાજ્યાશ્રય માટે અરજી કરી હતી, જેમાંથી ૩૦ ટકાને મંજૂરી મળી ગઇ છે. સ્વીડનની કુલ વસ્તીના પ્રમાણમાં આ આંકડો ૧૨.૨ ટકા છે. વસ્તીના પ્રમાણમાં નિરાશ્રિતોને આશ્રય આપનારાઓમાં સ્વીડન પ્રથમ સ્થાને છે તો સ્વીત્ઝર્લેન્ડ બીજા નંબરે છે. અહીં ૨૦ હજાર નિરાશ્રિત નોંધાયા છે, જેમાંથી ૧૭ હજારને મંજૂરી મળી ગઇ છે. દેશની કુલ વસ્તીના પ્રમાણમાં આ આંકડો ૭.૪ ટકા છે. ત્રીજા નંબરે રહેલા નેધરલેન્ડમાં ૧૯ હજાર નિરાશ્રિત પહોંચ્યા અને તેમાંથી લગભગ ૧૫ હજારને મંજૂરી મળી છે, જે કુલ વસ્તીના ૪.૫ ટકા થાય છે.
દેશ પ્રમાણે નિરાશ્રિતોની આ યાદીને આગળ વધારીએ તો ચોથા નંબરે, બેલ્જીયમમાં પણ ૨૦ હજાર લોકોએ અરજી કરી હતી, જેમાંથી ૧૨ હજારને મંજૂરી મળી છે. મતલબ કે દેશની વસ્તીના પ્રમાણમાં ૨.૭ ટકા નિરાશ્રિતોને અહીં વસવાટનો અધિકાર મળ્યો છે. પાંચમા નંબરે રહેલા જર્મનીએ ૯૬ હજાર નિરાશ્રિત અરજદારોમાંથી ૪૦ હજારને મંજૂરી આપીને બાકીનાને રિજેક્ટ કર્યા છે. વસ્તીના પ્રમાણમાં આ આંકડો ૨.૪ ટકા છે. યાદીમાં ફ્રાન્સ છઠ્ઠા સ્થાને છે, જેણે ૭૦ હજાર અરજીમાંથી ૧૮ હજારને મંજૂરી આપી છે. વસ્તીના પ્રમાણમાં આ દર ૩.૮ ટકા છે.
નિરાશ્રિતોને આશ્રય આપનારા દેશોની આ યાદીમાં બ્રિટન સાતમા નંબરે આવે છે. બ્રિટનમાં નિરાશ્રિતોની સંખ્યા ઝડપભેર વધી રહી છે... દેશમાં વધી રહેલા ઇમિગ્રન્ટ્સને નાથવા તાકીદે પગલાં લેવાની જરૂર છે... મુસ્લિમોની સંખ્યા તીવ્ર ઝડપે વધી રહી છે વગેરે જેવા મુદ્દે દેશમાં છાશવારે રાજકીય હોબાળો મચતો રહ્યો છે, પણ અહીં વાસ્તવિક્તા અલગ છે. બ્રિટનમાં કુલ ૨૧ હજાર નિરાશ્રિતોએ શરણ માંગ્યું હતું, જેની સામે ૧૦ હજારને જ મંજૂરી આશ્રય આપવામાં આવ્યો છે. દેશની વસ્તીની દષ્ટિએ સરખામણી કરો તો આ આંકડો માત્ર બે ટકા થાય છે.
ગયા ગુરુવારે મળેલી ૨૮ દેશના વડાઓની શીખર પરિષદમાં નિરાશ્રિતોની કરુણ અને ગંભીર સ્થિતિ વિશે ચર્ચાઓ ગણી બધી થઇ, પણ કોઇ નક્કર નિર્ણય લેવાયો નહીં. બીજા શબ્દોમાં કહીએ તો, વિવિધ દેશોના વડાઓએ અહીં વાતોના વડા જ કર્યા અને કોઇ ચોક્કસ, અમલી થઇ શકે તેવી કોઇ સાંગોપાંગ યોજના જાહેર થઇ નથી. હા, એટલું અવશ્ય સ્વીકારવામાં આવ્યું કે ઇયુ દેશો આ બાબતે કોઇ ચોક્કસ નીતિ ઘડી શક્યું નથી. આ બધાના પરિણામે નિરાશ્રિતોની હાલત કફોડી બની છે. કારણ સ્પષ્ટ છે.
અમેરિકાની નેતાગીરી હેઠળ - વિવિધ દેશોના સશસ્ત્ર દળોએ - છેલ્લા ૧૫ વર્ષમાં અફઘાનિસ્તાનમાંથી તાલિબાન કે ઇરાકમાંથી સદ્દામ હુસૈનને કે પછી લિબિયામાંથી કર્નલ મુઅમ્મર ગદ્દાફીને સીધા યુદ્ધમાં પરાજીત કર્યા. સત્તાપલ્ટો થયો અને તે નેતાઓને મોતને ઘાટ ઉતારાયા.
આ બધા કૃત્યો લોકશાહીના જતન અને માનવતાના નામે કરવામાં આવ્યા. જોકે મોટામાં મોટી કઠણાઇ એ બની કે શાસનપલ્ટા પછી આવા દેશનો વહીવટ કોણ કરશે? કેવી રીતે કરશે? તેનું કોઇ નક્કર આયોજન ન થયું તેથી અરાજક્તા, આંતરવિગ્રહ અને રક્તપાત જેવા પ્રશ્નો એવા વિકરાળ બન્યા છે કે લાખો પ્રજાજનો દરિયાપારના સુરક્ષિત દેશોમાં આશ્રય માટે, જાનનું જોખમ હોવા છતાં, મેડિટેરિયન સીમાં ઝંપલાવી રહ્યા છે. એટલું તો સ્પષ્ટ છે કે જ્યાં સુધી ગરીબી અને સીતમની યાતના હશે ત્યાં સુધી આવી કફોડી હાલતમાં સપડાયેલા પ્રજાજનો યુરોપ તરફ આશાભરી મીટ માંડીને - મોતનો ભય હશે તો પણ - મજબૂરીથી દરિયામાં ઝંપલાવતા રહેશે.
માનવતાનો ઉમદા પ્રતિસાદ
વાચક મિત્રો, નિરાશ્રિતોની આ બધી વાતો રજૂ કરીને હું એવું દર્શાવવા નથી માગતો કે યુરોપિયન પ્રજામાં (જેમાં ભારતીય પ્રજા તરીકે આપણો પણ સમાવેશ થાય છે) અનુકંપા કે માનવતાની લાગણી નથી. સૌથી મોટી જવાબદારી શાસકોની છે. બાકી વ્યક્તિ કે સમાજ કે આમ પ્રજાજન તરીકે સહુ કોઇ સંવેદનશીલ જોવા મળે છે. ભારતીય સમુદાયની જ વાત કરીએ તો, આપણા અસંખ્ય ભાઇભાંડુઓ, સવિશેષ તો યુવક-યુવતીઓ, આ પ્રકારે મદદનો પોકાર પડે છે ત્યારે યથાશક્તિ-યથામતિ સહાય કરવા દોડી જાય છે. સીએરા લિયોન અને અન્ય દેશોમાં ઇબોલાના રોગચાળાએ માથું ઊંચક્યું છે ત્યાં આપણા યુવક-યુવતીઓએ તાબડતોબ પહોંચી જઇને તબીબી ક્ષેત્રે જાનના જોખમે ઉમદા ફરજ બજાવી રહ્યા છે. આપણા સદભાગ્યે એવા કેટલાય ધાર્મિક સંગઠનો પણ છે કે જેઓ માનવતાની પ્રવૃત્તિમાં એક યા બીજી રીતે વધુને વધુ સેવા-પરાયણતા દાખવી રહ્યા છે. જોજો હું અહીં મોટા મંદિરો કે ધાર્મિક સંસ્થાનોની જ વાત કરું છું એવું પણ નથી. અદનામાં અદનો આદમી, પછી તે બાળક હોય કે વયસ્ક હોય, યુવક હોય કે યુવતી હોય સહુ કોઇ મદદ કરવા તત્પરતા દાખવે છે. કેટલાય યુવક-યુવતીઓ આફ્રિકાના કહેવાતા અંધારિયા ખંડમાં એચઆઇવી એઇડ્સ કે પછી અન્ય શારીરિક કે માનસિક યાતનાથી પીડાતા માનવીઓની સેવામાં જઇ પહોંચ્યા છે. પરંતુ જે લોકો જરૂરતમંદોની મદદ માટે અસરગ્રસ્ત વિસ્તાર કે પ્રદેશમાં સદેહે નથી પહોંચી શક્તા તેઓ?! કોઇ પર્વત ચઢીને તો કોઇ સાઇક્લીંગ કરીને તો કોઇ સ્કેટીંગ કરીને તો કોઇ વળી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને ફંડ રેઇઝીંગ કરીને સમાજસેવાના ઉમદા કાર્યમાં સદા-સર્વદા સહયોગ આપતા રહે છે.
ચૂંટણી ઐતિહાસિક, પણ પરિણામ અચોક્કસ
સાતમી મેના રોજ આ દેશના ઇતિહાસની ખૂબ મહત્ત્વની છતાં અચોક્કસ પરિણામ આપે તેવી ચૂંટણીઓ યોજાઇ રહી છે. આપના આ સાપ્તાહિકનો ચૂંટણીપૂર્વેનો આ છેલ્લો અંક હશે. છેલ્લા ૧૦૦ દિવસથી ‘ગુજરાત સમાચાર’ અને Asian Voice આપ સહુની સમક્ષ ચૂંટણી અંગેના સમાચારો ખૂબ વિગતવાર સાદર કરતા રહ્યા છે. સાતમી મેના રોજ મતદાન કરવા માટે આપને મતદાર તરીકેનું પત્રક મળી ગયું છે કે નહીં તેની ચોકસાઇ કરવા મારો આગ્રહ છે. તે કાર્ડ સાચવી રાખજો. ગુરુવારે સવારે સાત વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી આપના નિવાસસ્થાન નજીકના કે કામકાજના સ્થળ નજીકના નિયત મતદાન મથકે જઇને મતાધિકારનો ઉપયોગ કરવાનું ચૂકશો નહીં. આપનો એક એક મત કિંમતી છે તે ભૂલતા નહીં.
વરિષ્ઠ સંસદ સભ્ય રિચાર્ડ ટ્રેસીનો જ દાખલો લોને... સંસદમાં સરેના સર્બિટન વિસ્તારનું ૧૯૮૩થી ૧૯૯૭ સુધી સળંગ પ્રતિનિધિત્વ કરનાર આ લોકપ્રતિનિધિ ગત ચૂંટણીમાં માત્ર ૫૬ મતે હારી ગયા હતા. સાંસદ લોકપ્રિય હતા, કામઢા હતા, લોકોના પ્રશ્નો ઉકેલવા સતત સક્રિય હતા એ વાત તો તેઓ ૧૯૮૩થી માંડીને સતત ૧૯૯૭ સુધી ચૂંટાતા રહ્યા હતા તેના પરથી જ પુરવાર થાય છે. આમ છતાં ૨૦૧૦ની ચૂંટણીમાં તેઓ હારી ગયા! પ્રજાવત્સલ સાંસદનો મુઠ્ઠીભર મતોથી પરાજય શું દર્શાવે છે? કેટલાક મતદારોની નિષ્ક્રિયતા! ‘હું મતદાન કરું કે ન કરું... મારા એક મતથી શું ફરક પડી જવાનો છે?’ તેવી માનસિક્તા ધરાવતા મતદારોને જ ટ્રેસીની હાર માટે જવાબદાર ગણવા રહ્યા. આ સિવાય બીજું તો કોઇ કારણ મને જણાતું નથી. ટ્રેસી તો બીજા કામે વળગી ગયા, પણ આપણે - એક નાગરિક તરીકે - પ્રતિબદ્ધ પ્રતિનિધિ ગુમાવ્યા તેનું શું?
એક ભરોસાપાત્ર અભ્યાસમાં જણાવાયું છે કે આ વખતે ઘણા સાંસદોના સૂપડાં સાફ થઇ જવાના છે. સતત ચાર મુદતના શાસનકાળ બાદ ૧૯૯૭માં કન્ઝર્વેટિવ પાર્ટીનો કારમો પરાજય થયો અને ટોની બ્લેરની લેબર પાર્ટીની ભવ્ય જીત થઇ હતી. તે વેળા અનેક સંસદસભ્યોની રાજકીય કારકિર્દી ધૂળધાણી થઇ ગઇ હતી. જોકે આ વખતે તો તેના કરતાં પણ વધારે એટલે કે ૧૪૫ સંસદસભ્યોને ઘરે બેસવાનો વારો આવશે તેવી શક્યતા છે. આ વખતની ચૂંટણીમાં મારા-તમારા જેવા લઘુમતી વોટની તાકાત ખૂબ અગત્યની છે કેમ કે આપણી વસાહતો જ્યાં પણ સ્થાયી થઇ છે ત્યાં કેટલીય બેઠકો પર માર્જીનલ સરસાઇથી ઉમેદવારની હારજીત નક્કી થશે.
‘ધ ડેઇલી ટેલિગ્રાફ’ના સોમવારના અહેવાલ મુજબ, પોલ ઓફ ધ પોલ્સના છેલ્લા આંકડાઓ પર નજર ફેરવતાં જણાય છે કે લેબર ૩૫ ટકા, ટોરી ૩૨ ટકા, યુકેઆઇપી ૧૪ ટકા અને લિબ-ડેમ ૮ ટકા મતો મેળવે તેવી શક્યતા છે. વાચક મિત્રો, ઉલ્લેખનીય છે કે ‘ધ ડેઇલી ટેલિગ્રાફ’ ખુલ્લેઆમ ટોરી પક્ષને સમર્પિત છે. મંગળવારે ટેલિગ્રાફ જણાવે છે કે હવે ૩૬ ટકા સાથે ટોરી આગળ છે. અને લેબરને ૩૦ ટકા સમર્થન મળે છે. ‘ટાઈમ્સ’ બંને મુખ્ય પક્ષોને સમાન ટેકો લેખે છે. ‘ફાઈનાન્સિયલ ટાઈમ્સ’ મંગળવારે લેબરને ૩ ટકાથી આગળ જણાવે છે.
ખેર, જનમતના આંકડાઓ ગમે તે કહે, ખરું પરિણામ તો સાતમી મેના રોજ આપણે સહુ કોની તરફેણમાં મતદાન કરીએ છીએ તેના પર આધાર રાખે છેને? ગયા સપ્તાહના Asian Voiceમાં મેં મારી કોલમ As I see itમાં આ મુદ્દે વિગતવાર છણાવટ કરી છે. મિત્રો, એક મતદાર તરીકે આપણા સહુની નૈતિક ફરજ છે કે ઉમેદવાર કે પક્ષની નીતિરીતિઓનો અભ્યાસ કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીએ. જ્ઞાતિ, ધર્મ કે રંગના ધોરણે મત મેળવવા પ્રચાર થાય એ તો લોકશાહીના માથે કલંક છે. બ્રિટિશ લોકશાહી આજે પણ ચેતનવંતી રહી છે કેમ કે મતદારો ક્યારેય ધર્મ અને રાજકારણની ભેળસેળ કરતા નથી.
જોકે મારા ધ્યાનમાં આવ્યું છે કે એક જૂથ દ્વારા સોશ્યલ મીડિયામાં એવો પ્રચાર થઇ રહ્યો છે કે લેબર પાર્ટી હિન્દુવિરોધી છે. મેં જાણ્યું ત્યારે અફસોસ થયો કે આપણે રાજકારણને ક્યા સ્તરે લઇ જવા માગીએ છીએ? જે લોકો લેબર પાર્ટીને હિન્દુવિરોધી ગણાવે છે તેઓ ગ્રેટ બ્રિટનમાં વસતાં હિન્દુઓની સમજ તેમજ આસ્થાને સમજવામાં જ ઊણાં ઉતર્યા છે એવું નથી, પરંતુ તેઓ લેબર, કન્ઝર્વેટિવ્સ, લિબ-ડેમ કે અન્ય પ્રતિષ્ઠિત રાજકીય પક્ષના વલણને સમજવામાં પણ ઊણાં ઉતર્યા છે એમ કહેવામાં લેશમાત્ર અતિશ્યોક્તિ નથી. જો કોઇએ આવું બિનજવાબદાર વર્તન આચર્યું હોય તો તેમને વખોડવા જોઇએ એટલું જ નહીં, તેમને સમાજમાં ખુલ્લા પાડવા જોઇએ. હું હિન્દુ હોવાનું ગૌરવ હંમેશા વ્યક્ત કરતો રહ્યો છું, આમ છતાં લેબર પાર્ટી હિન્દુવિરોધી હોવાની વાતમાં મને રતિભારનો ભરોસો નથી.
મને ૧૯૮૫નો એક પ્રસંગ આજેય યાદ છે. તે સમયે કિથ વાઝ લેસ્ટર ઇસ્ટ બેઠક પરથી લેબરના સંભવિત સંસદીય ઉમેદવાર તરીકે પસંદ થયા હતા. આજની જેમ જ તે સમયે પણ આ બેઠક પર હિન્દુ મતદારોનો ભારે પ્રભાવ હતો. લંડનથી પ્રકાશિત થતા એક અન્ય ગુજરાતી સાપ્તાહિકે ગેરમાર્ગે દોરતી પિટિશન પ્રકાશિત કરીને લેસ્ટર ઇસ્ટના મતદારોને ઉશ્કેરવા પ્રયાસ કર્યો હતો. તેણે મતદારોને હાકલ કરી હતી કે સહુ કોઇ સાથે મળીને લેબર પાર્ટીના નેતા નીલ કિન્નોક સમક્ષ રજૂઆત કરો કે કિથ વાઝ હિન્દુ અને ગુજરાતી ન હોવાથી આ બેઠક પર તેની પસંદગી રદ કરીને તેના સ્થાને કોઇ ગુજરાતી હિન્દુ ઉમેદવાર પસંદ કરવો જોઇએ.
આ સમયે ‘ગુજરાત સમાચાર’ અને New Life (Asian Voiceનું પૂરોગામી પ્રકાશન)એ કોઇની પણ સાડીબારી રાખ્યા વગર આ બિનલોકશાહીપૂર્ણ, ખતરનાક અને આત્મઘાતી વિચારસરણી ધરાવતા વલણને ખૂલ્લેઆમ આકરા શબ્દોમાં વખોડી કાઢ્યું હતું. અમારા વલણને વાચકોએ પણ બિરદાવ્યું હતું, અને કિથ વાઝને જંગી બહુમતીથી જીતાડીને પે’લા ટૂંકી દૃષ્ટિના સાપ્તાહિકને પાઠ ભણાવ્યો હતો. કિથ વાઝ આ બેઠક પર ૨૮ વર્ષથી હિન્દુઓ-બિનહિન્દુઓ, એશિયનો-બિનએશિયનોની લગાતાર નિષ્પક્ષ સેવા કરતા રહ્યા છે.
આપ સહુ યોગ્ય લાગે તે ઉમેદવારને આપજો, પણ મત આપવાનું ભૂલતા નહીં. રાષ્ટ્રીય સ્તરે ચૂંટણીપ્રચારમાં અર્થતંત્ર, યુરોપિયન યુનિયનમાં બ્રિટનનું ભાવિ, ઇમિગ્રેશન, આરોગ્ય સેવા, હાઉસીંગ સહિતના મુદ્દાઓ કેન્દ્રસ્થાને છવાયેલા છે. ભાવિ સરકાર અંગે ભારે અચોક્કસતા પ્રવર્તે છે. અગાઉ આ કોલમમાં આપે વાંચ્યું જ હશે કે લેબર કે કન્ઝર્વેટિવને સ્પષ્ટ બહુમતી મળે તેવું લાગતું નથી. સંભવિત જોડાણ માટે કહેવાય છે કે લેબર સાથે લિબ-ડેમ, ગ્રીન પાર્ટી કે નોર્ધન આયર્લેન્ડની સોશ્યલ ડેમોક્રેટિક પાર્ટી જોડાઇ શકે છે. જો કન્ઝર્વેટિવ્સને લઘુમતી સરકાર રચવાનો વારો આવે, સ્પષ્ટ બહુમતી ન મળે તો તે લિબ-ડેમ કે નોર્ધન આયર્લેન્ડની ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી (ડીયુપી)નું સમર્થન લેશે. જ્યારે લેબર પાર્ટી, સ્પષ્ટ બહુમતીના અભાવમાં, સ્કોટિશ નેશનાલિસ્ટ પાર્ટી (એસએનપી)નો સાથ મેળવશે. જોકે આ બધી શક્યતાઓ છે - જો અને તો વચ્ચેની વાત છે. સાચું ચિત્ર તો આઠમી મેના રોજ સ્પષ્ટ થશે.
છેલ્લા સપ્તાહોમાં જે પ્રકારે ચૂંટણીપ્રચાર ચાલી રહ્યો છે તેમાં ટોરીનો દાવો એવો છે કે તેણે અર્થતંત્રને વધુ મજબૂત બનાવ્યું છે અને રાષ્ટ્રની તિજોરી પરથી કરજનો બોજો ઘટાડવાના પગલાં સારું પરિણામ લાવી રહ્યા છે. જોકે ખાટલે મોટી ખોડ એ છે કે આ અઠવાડિયે જે સરકારી આંકડાઓ બહાર પડ્યા છે તેમાં અને ટોરીના દાવાઓમાં તાલમેળ જણાતો નથી. ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૧૪ના ત્રિમાસિક ગાળામાં દેશના અર્થતંત્રમાં ૦.૬ ટકાની વૃદ્ધિ નોંધાઇ હતી, પણ જાન્યુઆરીથી માર્ચ ૨૦૧૫ના ત્રિમાસિક ગાળામાં, સરકારના કમનસીબે, આર્થિક વૃદ્ધિદરમાં ૦.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે વિશ્વભરમાં ઓઇલ, ગેસ વગેરેના ભાવોમાં ૩૫, ૪૦ કે ૪૫ ટકાનો કડાકો બોલી ગયો હોય તેવા સમયે અર્થતંત્ર મંદુ પડે એ તો સરકારના વિકાસના દાવાને ખોખલો સાબિત કરે છે. તેમાં વળી જો આગામી સરકાર ટોરીની જ રચાય અને તેણે અત્યારથી જ અણસાર આપ્યો છે તે પ્રમાણે યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના છૂટા છેડા કરાવે તો દેશના અર્થતંત્રને વધુ એક ઝાટકો લાગે તેમ છે. એચએસબીસી, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક જેવી મોખરાની બેંકો અને જાયન્ટ મલ્ટીનેશનલ કંપનીઓ પણ આ પ્રકારની હિલચાલથી નારાજ છે. આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ કે દેશનો અડધોઅડધ એટલે કે લગભગ ૫૦ ટકાથી વધુ વેપાર યુરોપિયન યુનિયનના સભ્ય દેશો સાથે થાય છે. આ સંજોગોમાં બ્રિટન માટે યુરોપિયન યુનિયન સાથે પડ્યું પાનું નિભાવ્યા વગર બીજો કોઇ વિકલ્પ જણાતો નથી. વડા પ્રધાન ડેવિડ કેમરન માટે મોટી અકળામણની વાત એ છે કે તેમની સરકાર બિઝનેસ સમૂહોની હિતચિંતક હોવાની ઓળખ ધરાવે છે, પણ ખુદ બિઝનેસ સમૂહોને જ સરકારના સૂચિત નિર્ણયના વાજબીપણા અંગે સંશય છે.
બીજી તરફ, લેબર પાર્ટીએ પણ ચૂંટણીજંગમાં વિજય મેળવવા કમર કસી છે. લેબરે મતદારોને આકર્ષવા જાહેર કર્યું છે કે જો તેમની સરકાર રચાશે તો ફર્સ્ટ ટાઇમ હોમ બાયરને એટલે કે ત્રણ લાખ પાઉન્ડની કિંમત સુધીનું પહેલી વખત મકાન ખરીદનારને સ્ટેમ્પડ્યુટીમાંથી મુક્તિ અપાશે. મતલબ કે સરેરાશ ૫૦૦૦ પાઉન્ડની સીધી બચત. આ દેશમાં પહેલું મકાન ખરીદવું કેટલું મુશ્કેલ છે એ આપણે સહુ જાણીએ છીએ. આથી લેબરનું વચન મતદારોને આકર્ષે તેવી પૂરી શક્યતા છે.
ખેર, ફરી એક વખત આગ્રહ કરું છું કે આપને મળેલું મતદાનપત્રક કાગળનો કટકો નથી. આપણા વડવાઓએ મત આપવાનો અધિકાર મેળવવા ખૂબ સંઘર્ષ કર્યો હતો. તમને જાણીને નવાઇ લાગશે કે ૧૯૧૧ સુધી તો આ દેશમાં મહિલાઓને પણ મતાધિકાર નહોતો. ભારતમાં તો ૧૬ ચૂંટણીઓ યોજાઇ ચૂકી છે તેથી ત્યાં તો મતદારો પોતાના મતની કિંમત સમજે છે.
દક્ષિણ આફ્રિકામાં એક સમયે કાળી પ્રજાની હાલત બહુ દયાજનક હતી, પણ હવે તેમાં સુધારો થયો છે તેના મૂળમાં મતાધિકારનું મહત્ત્વનું પ્રદાન છે. માર્ટિન લ્યુથર કિંગ અને બરાક ઓબામાએ અશ્વેત સમુદાયમાં મતાધિકારના મહત્ત્વ અંગે ચેતનાની જ્યોત પ્રક્ટાવી છે એમ કહીએ તો ખોટું નથી. ઓબામાએ પ્રમુખપદની ચૂંટણી વેળા દરેક અશ્વેત મતદારને યાદીમાં તેમનું નામ છે કે નહીં તેની ચોકસાઇ કરી લેવા અનુરોધ કર્યો હતો. તેના પરિણામસ્વરૂપ તો આજે અમેરિકામાં અશ્વેત સમુદાયની માંડ ૧૫-૧૬ ટકા વસ્તી હોવા છતાં ઓબામા જેવા બ્લેકમેન વ્હાઇટ હાઉસમાં પ્રમુખ તરીકે નિવાસ કરે છે.
મતદાન એ માત્ર અધિકાર નથી. અત્યંત પાયાની ફરજ પણ છે. બ્રિટન અને અન્ય દેશોના હિતાર્થે ભાવિ સરકાર સક્ષમ અને કાર્યદક્ષ સુશાસન કરનારી બને તેવી આશા અસ્થાને નથી. (ક્રમશઃ)