નેપાળમાં હાહાકાર મચાવનાર વિનાશક ભૂકંપે ફરી એક વખત મનુષ્યને પ્રકૃતિ સમક્ષ વામણો પુરવાર કર્યો છે. પાતાળથી માંડીને અવકાશ સુધીના ક્ષેત્રે નીતનવા સંશોધનો કરનાર કાળા માથાનો માનવી હજી ભૂકંપની આગાહી કરવાનું કૌશલ્ય કેળવી શક્યો નથી. કા...શ જો આ શક્ય બન્યું હોત તો આજે નેપાળમાં હજારો માનવજિંદગીને બચાવી શકાઇ હોત, માલ-મિલ્કતને કરોડો રૂપિયાનું નુકસાન થતું અટકાવી શકાયું હોત અને વૈશ્વિક ધરોહર સમાન નેપાળના પ્રાચીનતમ વારસાને કાટમાળનો ઢગલો બનતાં રોકી શકાયો હોત.
હિમાલયન રેન્જમાં આવેલા પ્રદેશો પર પ્રચંડનો ભૂકંપનો ખતરો તોળાઇ રહ્યો હોવાની વિજ્ઞાનીઓની આશંકા કમનસીબે સાચી ઠરી છે. ધરતી તાંડવ કરે અને સગાં-સ્વજનો ઘડીના છઠા ભાગમાં મોતના મુખમાં હોમાઇ જાય કે કાટમાળના ઢગલા તળે દટાઇ જાય એ સમય ગોઝારો હોય છે. આપ્તજનો, આશરો, આજીવિકા સહિત સર્વસ્વ ગુમાવવાનું દુ:ખ કચ્છીઓથી વિશેષ કહી શકે? વર્ષ ૨૦૦૧માં કચ્છ-ગુજરાત આવા જ ભયંકર ધરતીકંપ અને કુદરતની વિનાશલીલાનો ભોગ બન્યા હતા. આ પછી રાજ્ય સરકારે પુનર્વસનનું નમૂનેદાર કામ કરી દેખાડ્યું. તત્કાલિન મુખ્ય પ્રધાન અને અત્યારના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આથી જ નેપાળના ભૂકંપપીડિતો પ્રત્યે સમસંવેદના વ્યક્ત કરતાં કચ્છના ધરતીકંપના અનુભવને યાદ કર્યો હતો.
આ જ સમસંવેદનાએ ભારતને યુદ્ધના ધોરણે નેપાળની મદદે પહોંચવા પ્રેર્યું છે એમ કહીએ તો પણ ખોટું નથી. ભારત સહિત વિશ્વભરમાંથી નેપાળ તરફ મદદનો ધોધ વહ્યો છે અને એ યોગ્ય જ છે. આ સમય નેપાળની મદદે પહોંચવાનો છે. સંકટની આ ઘડીએ નેપાળની પ્રજાને હૂંફ-મદદની તાતી જરૂર છે, પરંતુ ભારત સરકારે બચાવ અને રાહતકાર્યમાં તત્પરતાનું જે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું છે તે કાબિલે તારીફ છે. ભૂકંપની ભયાનકતાનો વ્યાપ વધવાની સાથે જ મોદી સરકારે જે રીતે બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશની સાથોસાથ નેપાળમાં પણ બચાવ અને રાહતટુકડી મોકલવા પગલાં લીધાં તેનાથી ભારતનું સામર્થ્ય નવેસરથી ધ્યાનમાં આવ્યું છે. સૌથી ઉલ્લેખનીય બાબત એ છે કે નેપાળને બનતી ત્વરાએ તમામ સંભવિત મદદ પૂરી પાડવા માટે ફક્ત ચર્ચા જ ન થઇ, પરંતુ તરત તેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો. નેપાળમાં જાનમાલને થયેલું નુકસાન નિહાળતા લાગે છે કે તેને જેટલી પણ મદદ પહોંચાડવામાં આવે એટલી ઓછી છે. નેપાળને આગળ જતાં પણ વધુ મદદની આવશ્યકતા રહેશે. જાનમાલને ભારે નુકસાન ઉપરાંત ઐતિહાસિક ઇમારતોને પણ સારું એવું નુકસાન પહોંચ્યું છે. પહેલેથી જ અનેક સમસ્યાઓ સાથે આર્થિક સંકટનો સામનો કરી રહેલા નેપાળનું અર્થતંત્ર પ્રવાસ-પર્યટન પર નિર્ભર છે. આ સંજોગોમાં નેપાળ માટે ભયાનક ભૂકંપનાં પરિણામોમાંથી બહાર આવવું સહેલું નહીં હોય. અલબત્ત, કટોકટીની આ પળે ભારત પડખે ઊભું હોવાથી નેપાળની પ્રજાને સધિયારો ચોક્કસ મળશે.