નવી દિલ્હીઃ ભારતભરમાં ફેલાયેલા ૧૨ જ્યોર્તિલિંગમાં પ્રથમ સ્થાન ધરાવતા સોમનાથ મંદિરમાં બિનહિન્દુઓના પ્રવેશ પર અંકુશ મૂકવામાં આવતાં દેશભરમાં ભારે વિવાદનો વંટોળ ઉઠ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાં ફેલાયેલા મંદિરો અને તેની પૌરાણિક પરંપરાઓ પર નજર ફેરવશો તો આમાં કંઇ નવું નથી. જેમ કે, ઓડિશાના પુરીમાં આવેલું જગન્નાથ મંદિર ચાર ધામ પૈકીનું એક છે અને દર વર્ષે અષાઢી બીજે અહીં યોજાતી રથયાત્રા જગવિખ્યાત છે. આ જગન્નાથ મંદિરમાં બિનહિન્દુ અને વિદેશીઓને પ્રવેશ મળતો જ નથી. સદીઓ પુરાણું આ મંદિર તેના નિયમોમાં ભારે સખ્ત છે અને ભલભલા માંધાતાઓને મંદિરના નિયમ સામે શરણાગતિ સ્વીકારવી પડી છે.
સન ૧૩૮૯માં પુરીના મંદિરમાં સંત કબીરને પ્રવેશ મળ્યો નહોતો કેમ કે તેઓ મુસ્લિમ હતાં. સદીઓ પછી ૧૫૦૫માં ગુરુ નાનક અહીં આવ્યા હતા ત્યારે તેમને પણ એન્ટ્રી અપાઈ નહોતી. તો વળી બ્રિટિશ હિન્દના સર્વેસર્વા એવા વાઈસરોય લોર્ડ કર્ઝન ૧૯૦૦ની સાલમાં જગન્નાથ મંદિરના આર્કિટેક્ચરનો અભ્યાસ કરવા માંગતા હતાં, પરંતુ તેમને ય પ્રવેશ મળ્યો નહોતો. બીજા બધાની વાત છોડો, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોતાના વિવિધ ધર્મી સહાયકો-અનુયાયીઓ સાથે મંદિરમાં પ્રવેશ કરવા માંગતા હતા તો તેમને પણ મંદિર મેનેજમેન્ટે ના પાડી દીધી હતી.
આ પછી તો ડો. બાબાસાહેબ આંબેડકર, ઈન્દિરા ગાંધી (કેમ કે પારસી સાથે લગ્ન કર્યાં હતા) સહિતના મહાનુભાવોની મંદિર પ્રવેશ ઈચ્છા અધૂરી રહી ચૂકી છે. અરે, સ્વિત્ઝર્લેન્ડના એક દાનવીરે તો મંદિરને ૧.૭૮ કરોડ રૂપિયાનું દાન આપ્યું તો પણ તેમને પ્રવેશ નહોતો મળ્યો. દાન ભલે આપો, પણ બહારથી! હવે જોકે, ભારતીય હોય એવા બૌદ્ધ ધર્મીઓ અને જૈનોને દસ્તાવેજોના આધારે પ્રવેશ મળી શકે છે.
ઓડિશાના પાટનગર ભૂવનેશ્વરમાં આવેલા લિંગરાજ મંદિરમાં પણ આવો જ નિયમ છે. પુરાતત્વની દૃષ્ટિએ અત્યંત આકર્ષક મંદિરમાં ૨૦૧૨માં એક રશિયન પ્રવાસી ધ્યાન ચૂકવીને ઘૂસી ગયા પછી ભારે હોબાળો થયો હતો. અને પછી મંદિરનું શુદ્ધિકરણ પણ કરવામાં આવ્યું હતું.
શા માટે પ્રવેશ પ્રતિબંધ?
ભારત પર મુસ્લિમ આક્રમણનો ઈતિહાસ જાણીતો છે. આવા આક્રમણો વખતે મોટા પાયે ભારતીય સંસ્કૃતિ, કળાત્મક બાંધકામો, ઐતિહાસિક મંદિરોનું પતન થયું છે. મંદિરો અપવિત્ર કરવાના કિસ્સા પણ ઈતિહાસમાં નોંધાયા છે. સ્વાભાવિક રીતે જ હિન્દુઓની લાગણી તેનાથી દુભાતી રહી હોય. ભવિષ્યમાં ફરી આવું ન થાય એટલા માટે વિવિધ મંદિરોએ વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હશે.
કાશી વિશ્વનાથ-વારાણસી
બાર જ્યોર્તિંલિંગ પૈકીના એક વારાણસીના સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં પણ બિનહિન્દુધર્મીને પ્રવેશ મળતો નથી. અહીં પરવાનગી લઈને પણ પ્રવેશની સગવડ નથી. ૧૦૦ ટકા કડક પ્રતિબંધ છે. ભારત બહાર કાઠમાંડુમાં આવેલા પશુપતિનાથ મંદિરમાં પણ નેપાળે બિન-હિન્દુઓ માટે પ્રવેશ પ્રતિબંધ રાખ્યો છે.
નટરાજ મંદિર-ચિદમ્બરમ્
તામિલનાડુમાં ચિદમ્બરમ્ શહેરમાં આવેલું નટરાજ મંદિર ૧૨મી-૧૩મી સદીમાં બંધાયેલું છે. અહીં બિનહિંદુ ઉપરાંત જ્ઞાતિવાદનો પણ મહત્ત્વનો રોલ છે. મંદિરમાં કેટલીય સ્થાનિક ઉતરતી ગણાતી જ્ઞાતિઓને પ્રવેશ મળતો નથી. આ મુદ્દો અહીંના રાજકારણમાં પણ ભારે ચર્ચાસ્પદ બનતો રહે છે.
ગુરુવાયુર મંદિર-કેરળ
કેરળના ગુરુવાયુરમાં આવેલા વિષ્ણુ મંદિરમાં હિન્દુ સિવાય કોઈને પ્રવેશ મળતો નથી. દક્ષિણ ભારતના તો કેટલાય મંદિરોમાં તો વળી પ્રવેશનો વધારે આકરો નિયમ છે. અહીં હિન્દુ હોવા ઉપરાંત ધોતી પહેરવી પણ ફરજિયાત છે. ખજાનાને કારણે છેલ્લા થોડા વર્ષોથી જાણીતા બનેલા અને જગતના સૌથી ધનાઢ્ય ત્રિવેન્દ્રમના પદ્મનાભસ્વામી મંદિરમાં હિન્દુ સિવાય કોઈને પ્રવેશ મળતો નથી.
મીનાક્ષી મંદિર-મદુરાઈ
સન ૧૮૯૭માં નાદર સમાજના ૧૫ લોકો મીનાક્ષી મંદિરમાં પ્રવેશ્યા હતા. મંદિરના નિયમ પ્રમાણે તેમને એન્ટ્રી આપવાની ના હતી. આથી એ તમામ વિરુદ્ધ સ્થાનિક કોર્ટમાં કેસ થયો હતો. કોર્ટે પણ ગેરકાયદે પ્રવેશ મુદ્દે તમામને દંડ ફટકાર્યો હતો. એ મંદિરમાં પ્રવેશવા માટે આજે પણ ત્યાં સ્નાન કરવું ફરજિયાત છે.
પણ અહીં મંદિર ઓપન ફોર ઓલ
ત્રાવણકોરના રાજા ચિત્રાલા થિરુનાલે ૧૯૩૬માં નિયમ બનાવ્યો હતો કે રાજ્યમાં કોઈ મંદિરમાં જ્ઞાતિગત ભેદભાવ રાખવો નહીં. આથી એ સમયે ત્રાવણકોર સ્ટેટમાં કોઈ પણ મંદિરમાં કોઈ પણ વ્યક્તિને પ્રવેશ મળતો હતો. હવે ત્રાવણકોર કેરળ તરીકે ઓળખાય છે. ઘણા મંદિરોમાં એ વખતનો ઓપન ફોર ઓલનો નિયમ આજેય ચાલ્યો આવે છે.