પૂર્વથી પશ્ચિમઃ દુનિયા ગોળ છે

સી. બી. પટેલ Wednesday 17th June 2015 05:37 EDT
 
બહેન ક્રિસ્ટીના સાથે સ્પેનના રાજા ફિલીપ-VI
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, સંભવ છે કે આ શિર્ષક વાંચીને આપ સહુ રાડ પાડીને પૂછશો કે અલ્યા આમાં શું નવું કહ્યું?
બાપલ્યા, તમારી વાત પણ સાચી. આજે આમ કહેવું સરળ છે. આશરે ૫૦૦ વર્ષ પૂર્વે પશ્ચિમના ખ્રિસ્તી જગતમાં આવું કોઇએ કહ્યું ત્યારે શું ઘટના બની હતી તે જરા યાદ કરી લો ને... ગેલિલિયો નામના ખગોળશાસ્ત્રીએ ઊંડા અભ્યાસ બાદ જાહેર કર્યું કે ખ્રિસ્તી ધર્મ સવિશેષ રોમન કેથલિકના વડા પોપ કે અન્યોએ જણાવ્યું છે તે પ્રમાણે પૃથ્વી સપાટ નથી... અને આવું જાહેર નિવેદન કર્યા પછી ગેલિલિયો પર શું વીતી એ જાણવું હોય તો ઇતિહાસના પાનાં પર નજર ફેરવી લેજો. આ ઘટનાના ૧૦૦૦ વર્ષ પૂર્વે પણ ભારત વર્ષના ઋષિમુનિઓ, ખગોળશાસ્ત્રીઓએ વૈજ્ઞાનિક ધોરણે કહ્યું હતું કે પૃથ્વી ગોળ છે. તેની ધરી પર સતત ફરે છે. તેમણે ગ્રહો - નક્ષત્રો - પૃથ્વી વચ્ચે કેટલું અંતર છે તેનો અંદાજ પણ આપ્યો હતો. આ સનાતન સંસ્કૃતિની જે વૈજ્ઞાનિક દૃષ્ટિ છે તેનું સચોટ ઉદાહરણ છે, પણ વ્હાલા વાચકો, મારે આજે આપ સહુને પૂર્વથી પશ્ચિમના પરિપ્રેક્ષ્યમાં - બાંગ્લાદેશથી માંડીને છેક ઇઝરાયલ સુધીની વૈચારિક સફરમાં - મારી કલમની પાંખે બેસાડીને લઇ જવા છે.
બાંગ્લાદેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાચે જ પરાક્રમ કરી આવ્યા. યુરોપ-અમેરિકાના જાજરમાન પ્રકાશનો અને વિચારકો પણ સ્વીકારે છે કે આ વિવાદાસ્પદ સરહદ અંગે (જૂઓ તંત્રી લેખ - ગુજરાત સમાચાર - અંક ૧૩ જૂન, ૨૦૧૫) નરેન્દ્ર મોદી વાસ્તવિક વલણ લઇ શક્યા કેમ કે ભૂગોળ, ઇતિહાસ અને સાંપ્રત જગતના રાજકારણની તેમને આગવી સૂઝ છે. ભારતની આજુબાજુના દેશો - નેપાળ, ભૂતાન, મ્યાંમાર, બાંગ્લાદેશ શ્રીલંકા કે અરે... ટપકાં જેવડું માલદિવ્સ પણ ૨૦૧૪ વર્ષ સુધી છાશવારે ભારત માટે નાની-મોટી સમસ્યા કે સંતાપ ઊભા કરવામાં લગારેય ચિંતા અનુભવતા નહોતા. પે’લી કહેવત છે ને... નબળાનો બનેવી કોઇ ન થાય અને સબળાનો સાળો થવા પડાપડી થાય. વડા પ્રધાન પદે નરેન્દ્ર મોદી આવ્યા છે ત્યારથી બધા પડોશી દેશો નમવા લાગ્યા છે એમ તો ન કહેવાય, પણ ન.મો. ન.મો. તો કરે જ છે.
નેપાળ સાથેના સંબંધો બહુ જ સ્વસ્થ અને ઉભય પક્ષને હિતકારી બની રહ્યા છે. સૌથી વધારે બદલાવ શ્રીલંકા અને બાંગ્લાદેશના વલણમાં જોઇ શકાય છે. ભારતના પડોશી પાકિસ્તાનની અત્યારે આપણે વાત કરતા નથી. કરવા જેવી પણ નથી કેમ કે પાકિસ્તાની મિત્રો, ગઇકાલ સુધીના આપણા પરિવારજનો, ભારે સંકટગ્રસ્ત પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
છેલ્લાં ત્રણેક સપ્તાહમાં ભારતના કેટલાક રાજદ્વારી વર્તુળોમાં બિનજરૂરી હોબાળો મચ્યો છે. આગામી થોડાક મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલની મુલાકાતે જવાના છે તે વાત જ્યારથી બહાર આવી છે ત્યારથી કેટલાકના પેટમાં તેલ રેડાયું છે. પેટમાં અપચો હોય ને દીવેલની બે’ક ચમચી પી લઇએ તેવું નહીં. આ લોકો તો ગરમાગરમ ઉકળતું તેલ જાતે જ પી રહ્યા છે. (વધુ માહિતી માટે વાંચો કોમેન્ટ - Asian Voice અંક ૧૩ જૂન, ૨૦૧૫) ૧૯૫૦માં ભારતે ઇઝરાયલ સાથેના રાજદ્વારી સંબંધોને સ્થગિત કરીને મોટી ભૂલ કરી હતી. ૧૯૯૨માં તત્કાલીન વડા પ્રધાન નરસિંહ રાવે આ ગંભીર ભૂલ સુધારી, જેનો લાભ ૧૯૯૯માં કારગિલ યુદ્ધ વખતે ભારતને થયો. ઇઝરાયલે સમયસર શસ્ત્રસરંજામ પૂરો પાડીને ભારતના હાથ મજબૂત બનાવ્યા. વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ પછી ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહૂને વ્યક્તિગત પત્ર પાઠવીને આભાર માન્યો, પણ પછી સંબંધ કાગળો પર જ રહ્યા. આઝાદ ભારતના ૬૭ વર્ષના ઇતિહાસમાં આજ સુધીમાં કોઇ વડા પ્રધાન ઇઝરાયલની મુલાકાતે ગયા નથી, કેમ કે તેમના મનમાં ડર હતો, આશંકા હતી. મુસ્લિમ સમુદાય, આરબ દેશો, નારાજ થઇ જશે તેવો ભય હતો. પરંતુ નરેન્દ્ર મોદીની સૂચિત મુલાકાત બધી જ રીતે યોગ્ય છે. વિશ્વતખતે હવે સમય બદલાયો છે એટલું જ નહીં, વીતેલા વર્ષોમાં સુરક્ષા અને આર્થિક જરૂરતોમાં પણ બદલાવ આવ્યો છે.
થોડાક સપ્તાહ પૂર્વે મેં આ કોલમમાં યહૂદી પ્રજા વિશે પણ કંઇક રજૂઆત કરી હતી. આ બધા વિશે પત્રો સ્વરૂપે કેટલાક વાચકોના પ્રતિભાવ પણ સાંપડ્યા છે. આ તકે એક ખુલાસો કરી દઉં. આપે વાચક તરીકે મને પ્રકાશક-તંત્રી તરીકે સ્વીકાર્યો તે બદલ હું આપનો ઋણી છું. સત્ય હકીકત આધારિત ભૂત, વર્તમાન અને ભવિષ્યના ઉપલક્ષ્યમાં જરૂરી સમાચાર (મારા, તમારા કે આપણા) આપના બન્ને સાપ્તાહિકોમાં સામેલ હોવા જોઇએ અને મારી આ ફરજ પ્રત્યે હું અને તંત્રીમંડળના તમામ સભ્યો સભાન છીએ. હા, વાચકોના અમુક જાતના પત્રો હું પ્રકાશિત કરી શકતો નથી. વિવાદાસ્પદ મુદ્દે અઠેકઠે દ્વારકા જેવા પત્ર લખનાર વાચકનો - લગભગ દર વખતે - સંપર્ક કરીને ચર્ચા કરીને મારો દૃષ્ટિકોણ જણાવું છું અને તેઓ પણ (મહદ અંશે) મારી મર્યાદા સ્વીકારે છે.
જોકે આમ છતાં, તાજેતરમાં, એક મિત્રે મારી સાથે ચર્ચા માંડીઃ સી.બી., તમને ગાંધીજીની વાત ખબર છેને? તેમને કોઇ શુભચિંતકે ત્રણ વાંદરાઓની કાષ્ટની પ્રતિકૃતિ ભેટ આપી હતી. એકે પોતાના હાથ વડે આંખો બંધ કરી હતી, બીજાએ કાન બંધ કર્યા હતા અને ત્રીજાએ મોં પર હાથ મૂક્યો હતો...
આ મિત્રે ભલે થોડાક શબ્દોમાં વાત કરી હતી, પણ હું તેમનો ઇશારો સમજી ગયો હતો. પત્રકારત્વની ભાષામાં કહું તો આ Between the lines રજૂઆત હતી. અને દેશી ભાષામાં કહું તો તેમણે કોથળામાં પાંચશેરી ફટકારી હતી.
પછી આ પટેલભાયડો થોડો ચૂપ રહે?! મેં તેમને કહ્યું કે ગાંધીજીએ આ ત્રણ વાંદરાની આ પ્રતિકૃતિ દ્વારા રજૂ થયેલા સિદ્ધાંતોને વાસ્તવિક જીવનમાં અમુક દ્રષ્ટિએ અમલી બનાવ્યા હતા તે સાચું, પરંતુ ગાંધીજીના પ્રવચનો, તેમણે પ્રાર્થનાસભામાં કરેલા ઉદ્બોધનો, લેખો વગેરે જો તમે વાંચ્યા હશો, સમજ્યા હશો તો તમને જાણ હશે જ કે ગાંધીજીએ બૂરું જોવું નહીં, બૂરું સાંભળવું નહીં અને બૂરું બોલવું નહીં વાળો સિદ્ધાંત અપનાવ્યો હતો જરૂર, પણ તે અમુક ચોક્કસ અર્થમાં. જ્યારે જ્યારે કોઇ મુદ્દે સ્પષ્ટ અભિપ્રાય આપવાની જરૂર ઉભી થઇ છે ત્યારે ત્યારે તેમણે શબ્દો ચોર્યા વગર પોતાનો મત વ્યક્ત કરવાને પણ પોતાની પવિત્ર ફરજ સમજી છે...
મિત્ર માટે મારો જવાબ અણધાર્યો હતો. તેઓ આંખો પટપટાવવા લાગ્યા, પણ મેં વાત આગળ વધારી... જો ગાંધીજીએ કાન બંધ રાખ્યા હોત તો ભારતભરમાં ગુલામીની ઝંઝીરમાં જકડાયેલી પ્રજાનો પોકાર સાંભળ્યો હોત ખરો? તેમની આંખો બંધ હોત તો ગુલામ દેશવાસીઓ પર ગુજારાતા જુલ્મો, ત્રાસ તેમની નજરે ચઢ્યા હોત ખરા? તેમના મોં, કાન અને આંખ બધું ખુલ્લું હતું. તેઓ સિદ્ધાંતના નામે વેવલાવેડામાં માનતા નહોતા. સત્ય અને અસત્ય વચ્ચે, સ્વીકાર્ય કે અસ્વીકાર્ય વચ્ચેનો ભેદ જોઇ-પારખી શકતા હતા. કોઇ પણ પ્રલોભન કે આડંબરની પરવા કર્યા વગર તેમણે વિચાર, વાણી, વર્તનના ત્રિવેણીસંગમ થકી અદભૂત કહેવાય તેવું ઉદાહરણ સમગ્ર માનવજાતને કાયમી નજરાણા તરીકે આપ્યું છે.
મારી વાત પૂરી, અને પે’લા મિત્રનું મોં બંધ. વાચકમિત્રો, આ બધું કહીને હું ગાંધીજીની પંગતમાં બેસવાનો લગારેય પ્રયત્ન નથી કરતો અને તેવી મારી હેસિયત પણ નથી. હું પૂરો સભાન છું કે આપના પ્રકાશક-તંત્રી તરીકે પાંચ બાબત સતત મારા લક્ષ્યમાં રહેઃ માહિતી, મનોરંજન, માર્ગદર્શન, જનસમૂહમાં ચેતનાનો સંચાર, અને સશક્ત સમાજનું નિર્માણ... એક પ્રકાશન પેઢી તરીકે આ પાંચ મુદ્દાને અમારી પાયાની ફરજો ગણું છું. ગાંધીજીએ બ્રિટિશ સામ્રાજ્ય સામે - દેશના સ્વાતંત્ર્ય કાજે - મોરચો માંડ્યો ત્યારે તેના ભાગરૂપે સ્વદેશી ઝૂંબેશના પણ મંડાણ કર્યા હતા. તેઓ તો સ્વદેશી આંદોલન થકી બ્રિટનના ટેક્સટાઇલ ઉદ્યોગને આકરો ફટકો મારવા માગતા હતા... બસ. પોતાની આ ચળવળથી બ્રિટનમાં માલનો ભરાવો થઇ જશે... બેરોજગારી વધી જશે... તેવું બધું વિચારીને સ્વદેશી ચળવળ ટાળી નહોતી. તેમનું તો એક જ લક્ષ્ય હતુંઃ હિન્દુસ્તાનની આઝાદી. તેઓ પોતાના જીવના ભોગે પણ દેશનું સ્વાતંત્ર્ય ઝંખતા હતા. જો તેમણે સ્વાતંત્ર્ય સિવાયના (પણ તેની સાથે સંકળાયેલા) અન્ય પરિમાણો વિશે વિચાર્યું હોત તો તેઓ લક્ષ્ય ચૂકી જ ગયા હોતને?
ખેર, જ્યારે તમે ચોક્કસ લક્ષ્ય હાંસલ કરવા ઇચ્છતા હો ત્યારે તેની આસપાસની અન્ય અને પ્રમાણમાં (ફોગટ) બાબતનો વિચાર કરવાનો જ ન હોય. આપણા નરેન્દ્રભાઇની જ વાત કરોને. (તેઓ ભલેને ભારતના પ્રધાન મંત્રી બનીને ‘આપણા’ મટીને ‘સહુના’ બની ગયા, પણ આપણા માટે તો ‘આપણા’ જ રહેવાના... ખરુંને!)
વડા પ્રધાને ‘ઓપરેશન ઓલઆઉટ’ને મંજૂરીની મ્હોર મારી કે તરત જ ઇંડિયન આર્મીના જાંબાઝ કમાન્ડોની બે ટુકડી મણિપુર-મ્યાંમારના સરહદી ક્ષેત્રમાં ઉતરી પડી અને આપણા ૧૮ સૈનિકોને મારી નાખનાર ઉગ્રવાદી જૂથને જડબાતોડ જવાબ આપ્યો. ભારતીય અખબારોમાં અત્યારે એ વિવાદ ચાલે છે કે સૈનિકોએ કેટલા ઉગ્રવાદીઓને માર્યા? આ ઉગ્રવાદીઓને ભારતીય સરહદમાં જ માર્યા કે પછી મ્યાંમારની સરહદમાં ઘૂસીને માર્યા? વગેરે, પરંતુ હું માનું છું કે આ વિવાદ અસંગત છે. ભારત સરકારે આતંકવાદવિરોધી આક્રમક વલણ અપનાવીને જે પગલું ભર્યું છે તેનું વિશેષ મહત્ત્વ છે. ભારતની શાંતિને ડહોળતાં તત્વોને આ સ્પષ્ટ સંકેત છે કે જો હવે આતંકી અટકચાળું કર્યું છે તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. દુનિયા ગોળ છે. અત્યાર સુધી તમે ભલે ભારતને વાડ વગરનું ખેતર સમજીને ભેલાણ કરતા રહ્યા, પણ હવે આવી ભૂલ તમને ભારે પડી શકે છે. તમારા અડ્ડામાં ઘૂસીને મારશું...

•••

આરબ-ઇઝરાયલ સંબંધોની ભીતરમાં

વાસ્તવિક્તા, માન્યતા અને સામાન્ય વ્યક્તિની સમજ વચ્ચે પણ સારો એવો ફરક હોય શકે. અને હોય છે પણ ખરો. વાચક મિત્રો, મોટા ભાગના નાગરિકો કે જેઓ રોજબરોજના સમાચારો (સાંપ્રત પ્રવાહોથી) વાકેફ હોય છે તેઓ એમ માને છે કે ઇઝરાયલ અને સાઉદી અરેબિયા વચ્ચે કોઇ પણ પ્રકારે - પછી વૈચારિક હોય કે વ્યાવહારિક દૃષ્ટિકોણથી - એકસૂત્રતા કે તાલમેળ સંભવ નથી... અરે, આવા મનમેળની તો કલ્પના પણ થઇ શકે નહીં. પરંતુ નજર સામે દેખાતું બધું જ નર્યું સત્ય હોતું નથી, ક્યારેક તે મૃગજળ પણ હોય શકે છે.
આંતરરાષ્ટ્રીય સંબંધોની પરિપાટીમાં હંમેશા સ્વહિત સર્વોપરી હોય છે. અને આ વણલખ્યો નિયમ ઇઝરાયલ અને સાઉદી અરેબિયાના સંબંધોને પણ લાગુ પડે છે. ઇઝરાયલ અને સાઉદી અરેબિયા સતત સંપર્કમાં રહે છે... વિવિધ પ્રકારે સહયોગપૂર્વક આંતરિક અને વિદેશ નીતિમાં પરોવાયેલા છે એમ કહું તો કદાચ આપને નવાઇ પણ લાગશે.
આ વિશે આગળ વધતાં પૂર્વે એક-બે બીજી પણ બાબત આપ સમક્ષ રજૂ કરવાની મારી ફરજ સમજું છું. સિરીયાની સરહદમાં કેટલાય વર્ષોથી આંતરવિગ્રહ ચાલે છે. પ્રેસિડેન્ટ બશીર અલ અાસદ સામે તેના જ પ્રજાજનોએ બંડ પોકાર્યું છે. બે લાખથી વધુ નિર્દોષોએ પ્રાણ ગુમાવ્યા છે અને આ મામલો અટપટો થઇ ગયો છે. આઇએસ (ઇસ્લામિક સ્ટેટ) રક્તપાત કરીને સૌથી વધુ ક્રૂરતા આચરી રહ્યું છે.
આઇએસના આતંકીઓ વિધર્મીઓને તો મારતાં નથી જ ખચકાતા, (પોતાની સામે આંખ ઉઠાવનાર) સ્વધર્મીઓની કત્લેઆમ કરતાં પણ તેમનું રુંવાડું ફરકતું નથી. અને આ કતલ પણ સરાજાહેર અને એવી ક્રૂર રીતે કરે કે લોકો કાંપી ઉઠે. પહેલાં લોકોને ભેગા કરે ને પછી તેમની સામે પોતાના દુષ્કૃત્યને અંજામ આપે. આ બધાનું વીડિયો શૂટિંગ ઉતારીને તેને ઇન્ટરનેટ પર ફરતું કરે. અગાઉ તેઓ વિધર્મી કે વિરોધીનું ગળું કાપીને હત્યા કરતા હતા. થોડાક સમય પૂર્વે તેમને અમુક લોકોની કામગીરી શંકાસ્પદ જણાતાં તેમને પ્રાણીના પાંજરામાં પૂરી દઇ પેટ્રોલ છાંટીને સળગાવી નાખ્યા. છેલ્લા થોડાક દિવસોથી તેમણે નવું તૂત શરૂ કર્યું છે. જેમની હત્યા કરવાની હોય તે વ્યક્તિ પાસે જ પોતાની કબર ખોદાવે અને પછી માથામાં ગોળી મારીને તેને ઢાળી દે... તમે જ કહો, આ લોકો માટે નરપિશાચ શબ્દ પણ નાનો પડે કે નહીં?
આઇએસના આ આતંકીઓએ ઇતિહાસનું પણ નિકંદન કાઢ્યું છે. સિરીયાના રણવિસ્તારમાં પાલ્મીરા નામના ૨૫૦૦ વર્ષ પૂર્વેના ઐતિહાસિક સ્મારકોને તહસનહસ કરી નાખ્યા છે. આટલા સૈકાઓથી આ પુરાતન સ્થળો અકબંધ હતા કેમ કે રણપ્રદેશના લીધે જમીનમાં ભેજ ન હોવાથી તે ટકી રહ્યા હતા, પણ આઇએસએ પાલ્મીરા પર કબ્જો જમાવ્યો અને પથ્થરોમાં સચવાયેલા ઇતિહાસને રફેદફે કરી નાખ્યો. ઇશ્વર આ કટ્ટરવાદીઓની આંખેથી ધર્માંધતાનો પરદો હટાવે અને તેમને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના.
એક હકીકત આપણે પણ સમજી લેવી જોઇએ કે ઇસ્લામ કે અમુક મોનો-એથિક રિલિજિયનમાં જે ધાર્મિક વલણ પ્રવર્તે છે તેને જોશો તો જણાશે કે તેઓ કોઇ પણ સ્વરૂપમાં (મૂર્તિ, ચિત્ર. વિ.) ઇશ્વરને સ્વીકારવા તૈયાર નથી. તેઓ સંપૂર્ણપણે એકેશ્વરવાદમાં માને છે. સદીઓથી ખ્રિસ્તીઓ, યહૂદીઓ કે ઇસ્લામના સ્મારકો, દરગાહો, મસ્જિદોનો પણ વિનાશ થતો આવ્યો છે તેના મૂળમાં આ જ વાત રહેલી છે. ૧૯મીની સદીની શરૂઆતમાં અરબસ્તાનમાં મહંમદ ઇબ્ન અબ્દ અલ વહાબનો પ્રભાવ વધ્યો. સમયના વહેવા સાથે તેના અનુયાયીઓ વહાબી ઇસ્લામિક સંપ્રદાયના ગણાયા. કેટલાક મુસ્લિમો પણ માને છે કે વહાબી (અન્ય ધર્મો તેમજ ઈસ્લામના સંપ્રદાયો પ્રત્યે) લગારેય સહિષ્ણુતા ધરાવતા નથી અને રક્તપાતમાં વધુ રચ્યાપચ્યા રહે છે.
વર્ષોપૂર્વે હું નિકટના મિત્ર અને વરિષ્ઠ પત્રકાર ભૂપતભાઇ પારેખ સાથે દિલ્હીમાં થોડાક દિવસ રોકાયો હતો. તે વેળાએ નરેન્દ્ર મોદી રાજકારણમાં પ્રવેશ્યા પણ નહોતા. તેઓ ફક્ત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા. દિલ્હીના ઝંડેવાલા (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું) મથક તેમની ઓફિસ-કમ-નિવાસસ્થાન હતું. તે વેળા અમે પ્રફુલભાઈ ગોરડિયાને મળ્યા હતા. તેમણે ‘હિન્દુ મસ્જિદો’ નામનું એક પુસ્તક લખ્યું છે. ઇસ્લામના ભારતમાં આગમન સાથે જે હજારો કે લાખો હિન્દુ, જૈન, બૌદ્ધિષ્ટ કે શીખ દેવસ્થાનો ભોંયપરસ્તા કરાયા કે તેના સ્થાને મસ્જિદો બનાવી દેવામાં આવી છે તેનો ઉલ્લેખ આ પુસ્તકમાં છે. અયોધ્યામાં રામજન્મભૂમિ, કાશી વિશ્વનાથ, મથુરા વગેરે સ્થળો આજે પણ આ મુદ્દે ચર્ચામાં છે.
ખેર, સાઉદી અરેબિયામાં અત્યારે પણ સત્તા પર વહાબીની ભારે પકડ છે. આ વહાબીઓને સૌથી વધારે દુશ્મનાવટ હોય તો તે અન્ય મુસ્લિમો સાથે છે, યહૂદીઓ સાથે છે. મધ્ય-પૂર્વમાં ત્રણ અલગ અલગ રાજકીય, વૈચારિક કે શાસનની ધરી છે. એક છે - સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)ના દેશો દુબઇ, અબુધાબી, કતાર, શારજાહ, મસ્કત, ઓમાન અને ઇજિપ્ત, કુવૈત વગેરે સુન્ની પ્રજાના શાસકો. બીજી ધરી છે - ઇરાન, ઇરાક, લેબેનોન, સીરીયા એ શિયાપંથી છે. અને ત્રીજી ધરી છે ટચુકડું ઇઝરાયલ. (વધુ માહિતી માટે વાંચો ‘જીવંત પંથ’ ગુજરાત સમાચાર અંક ૩૦ મે, ૨૦૧૫)
હવે બહાર આવ્યું છે કે સાઉદી અરેબિયા અને ઇઝરાયલની સાંઠગાંઠ વધુ મજબૂત બની રહી છે. ગત ચોથી જૂને અમેરિકામાં યોજાયેલી એક કોન્ફરન્સમાં - દુનિયાની નજરે ‘કટ્ટર દુશ્મન’ જેવા - આ બન્ને દેશના પ્રવક્તાઓએ સ્વીકાર્યું કે તેમની વચ્ચે નિયમિતપણે બેઠકો યોજાતી રહે છે. જેમાં તેઓ આ પ્રદેશની, વૈશ્વિક રાજકીય ગતિવિધિઓની ચર્ચા કરે છે અને વિવિધ મુદ્દે સહયોગ સાધી રહ્યા છે.
એક બીજી પણ હકીકત બહાર આવી છે કે ૧૯૬૦માં બ્રિટિશ હસ્તક્ષેપના પરિણામે, યમનમાં રાજાશાહી હતી તેના બચાવમાં સાઉદી અરેબિયા અને ઇઝરાયલ બન્નેએ સશસ્ત્ર સમર્થન આપ્યું હતું. ઇજિપ્તના તત્કાલીન પ્રમુખ કમાલ અબ્દુલ નાસીર સાઉદી અરેબિયા અને અમેરિકાની આંખમાં કણાની જેમ ખૂંચતા હતા.
અમેરિકાના અખબારોએ તાજેતરમાં એક બીજી પણ હકીકત ખૂલ્લી પાડી છે કે ૧૯૮૦ના દાયકામાં જ્યારે પ્રિન્સ બંદર બિન સુલ્તાન સાઉદી અરેબિયાના અમેરિકામાં રાજદૂત હતા ત્યારે ઇઝરાયલના પ્રતિનિધિ સાથે તેમની નિયમિત બેઠક યોજાતી હતી. વધારે ચોંકાવનારા આંકડા પણ વાચકોએ જાણી લેવા જોઇએ. પ્યુ રિસર્ચ (Pew Research) નામની સંસ્થાએ સાઉદી અરેબિયામાં એક સંશોધન હાથ ધર્યું હતું. જેના તારણ અનુસાર, ૧૮ ટકા લોકો ઇઝરાયલને દુશ્મન ગણે છે. જ્યારે ૨૨ ટકા લોકો ઇઝરાયલને મિત્ર અને ૫૩ ટકા લોકો ઇરાનને મોટું દુશ્મન ગણાવે છે.
ચાલો, જૈનોમાં જેમ સાંજ પડ્યે સમાલોચના થાય છે એમ આપણે પણ સમાલોચના કરીએ. અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આંતરરાષ્ટ્રીય સંબંધો સ્વહિતના ઉપલક્ષમાં જ વળાંક લેતા હોય છે. આવતીકાલે કોઇ મોટા સમાચાર વાંચીને આશ્ચર્ય નહીં અનુભવતા કે - ઇરાન અણુશસ્ત્રો બાબત જો અમેરિકા અને પશ્ચિમી જગત સાથે કોઇ સમાધાન નહીં કરે તો ઇઝરાયલ અને સાઉદી અરેબિયા ઇરાનના અણુમથકો પર હુમલો કરશે. આવું પણ બની શકે છે. યહ દુનિયા ગોલ હૈ...

•••

ભ્રષ્ટાચારનો ભયાનક ભોરિંગ

તાજેતરના કેટલાક સનસનાટીભર્યા, ચોંકાવનારા સમાચારોના શિર્ષકઃ
• દિલ્હીની ‘આપ’ સરકારના કે ભારતના અન્ય રાજકીય પક્ષોના ખોટા ડિગ્રીધારી, મોટા માથા
• બ્રિટનની એક હિન્દુ સંસ્થાના મોવડીની મની લોન્ડરીંગની ખટલામાં સંભવિત સામેલગીરી
• ઊંટવૈદા કરતાં પણ ખતરનાકઃ દિલ્હીમાં ૩૦૦ બોગસ ડિગ્રીધારી ડોક્ટરો ઝડપાયા
• માન-ઇલકાબો માટે ધર્મગુરુઓના પણ પ્રપંચો...
આ બધું વાંચતા માથું ચક્કર-ભમ્મર ભમી જાય છે. આ બધા કૌભાંડીઓનો જાણે જ એક જ મંત્ર છેઃ વર મરો, વહુ મરો, પણ અમારું તરભાણું ભરો. બીજા બધા તો સમજ્યા. ધર્મગુરુઓને પણ માન-અકરામના અભરખાં! આ વાંચતા સાચે જ મને બાબા રામદેવને અભિનંદન આપવાનું મન થાય છે કે તેમણે ભારત સરકારનો ખિતાબ જાહેર થયા પૂર્વે જ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. બાદમાં તેમણે નિવેદન પણ કર્યું હતું કે સરકારી ખિતાબોની નવાજેશ પામવા માટે ભારે લોબીઇંગ થતું હોય છે. તે મેળવવા માટે શાસકો પાસે લાળા ચાવવા પડતા હોય છે.
બ્રિટનમાં પણ આપણા સમાજના ધાર્મિક આગેવાનો છે કે જેઓ પોતાના માટે ડોનેશન કે સન્માન મેળવવા સંબંધિતોની આગળપાછળ રાસડા રમતા રહે છે! ભલા માણસ, શું કરવા? આવું શા માટે કરવાની જરૂર છે? આ આડંબર, આ ઢોંગ, આ ધતિંગ શા માટે? છેતરપિંડી કરવાના કંઇક અવનવા ઉપાયો આવા શેતાની પ્રવૃત્તિ ધરાવતા લોકો અપનાવતા રહે છે. અને આપણે સામાન્ય નાગરિકો... આ બધું ખબર પડે તો પણ પ્રતિભાવ કેવો હોય છે?
આમાં આપણાથી તો શું થાય? આવા લોકો સાથે શીંગડા કોણ ભરાવે? જેવું જે કરશે તેવું તે પામશે... આપણા આવા ફિક્કા - પાણી વિનાના પ્રતિભાવમાં આખી દુનિયાની ફિલોસોફી ટપકવા લાગે છે! મિત્રો, આવા તત્વોની હયાતી સ્વીકારી લેવી તે પણ આખરે તો નિર્બળતાની નિશાની છે. ધર્મગુરુઓ આપણને વિત્તેષણા, લોકેષણાનો ત્યાગ કરવાનો ઉપદેશ આપતા હોય છે... સાવ નિરપેક્ષ થઇને ઇશ્વરસ્મરણ કરવાનો બોધપાઠ આપતા ફરતા હોય છે, અને પોતે કેવું જીવન જીવતા હોય છે? જરાક તપાસ કરજો, કેટલાક તો મારા-તમારા કરતાં પણ વધુ સુખસગવડભરી જીવનશૈલી વીતાવતા હોય છે. ખરેખર તો આ લોકોનો ઉદ્દેશ હોય છે - પોતાનો પ્રભાવ વધારવાનો. તેમને પોતાના અનુયાયીઓની સંખ્યા વધારવી હોય છે. જે પ્રકારે રાજકીય નેતાઓ પોતાના કાર્યકરોની સંખ્યા વધારવા શોર્ટકટ અપનાવતા રહે છે તેમ આવા ધર્મગુરુઓ ધોળા દિવસે ભોળા અનુયાયીઓની આંખે ધર્મના પાટા બાંધતા રહે છે. કેટલાક કહેવાતા ગુરુઓમાં પોતાના નામની આગળ ‘ડોક્ટર’ કે ‘ધર્મપ્રવર્તક’ એવા યેનકેન પ્રકારેણ હડપ કરી લીધેલા વિશેષણો વાપરવાનો રોગ પણ વધી રહ્યો છે. આવા તકસાધુઓ કે છેતરપિંડી કરનારાથી સહુ કોઈએ સાવધ રહેવું ઘટે.
આજકાલ મની લોન્ડરીંગનું પણ બહુ ચગ્યું છે. અપકૃત્યો દ્વારા, લાંચ-રુશ્વત દ્વારા, છેતરપિંડી દ્વારા, જાતભાતના ફંડફાળા દ્વારા કે પછી અન્ય કોઇ પ્રકારના કાળા કરતૂતો દ્વારા (ડ્રગ્સ વ.નો ધંધો) એકત્ર કરેલું લખલૂટ નાણાંભંડોળ સગેવગે કરવા મની લોન્ડરીંગ થાય છે. જેમ મેલાં કપડાં લોન્ડ્રીમાં ધોવાય છે તેમ આમાં કાળાં નાણાંને સફેદ કરવામાં કરવામાં આવે છે. મતલબ કે કર ચોરીને બચાવેલાં નાણાંને જુદાં જુદાં પ્રકારે ‘કાયદેસર નાણાં’નું લેબલ લાગી જાય છે. ‘કાળું’ નાણું સફેદ કરી આપતાં દલાલો પણ કેવા હોય છે? મોટા ભાગના વ્હાઇટ કોલર ક્રિમિનલ્સ હોય છે. આવા લોકોને છાવરવા અત્યંત ભયજનક હોય છે.
ચોમેર ભ્રષ્ટાચારનો જે માહોલ પ્રવર્તે તે જોતાં મોદી સરકારને અભિનંદન આપવા રહ્યા. હવે એવું નહીં પૂછતા કે કઇ વાતનાં? અરે, શાસનના સવા વર્ષમાં એક પણ કૌભાંડ બહાર આવ્યું નથી તે માટે... તમે જરા, યુપીએ સરકારનો કાર્યકાળ યાદ કરી જૂઓ. આર્થિક ગેરરીતિઓનો આંકડો લાખો-કરોડો રૂપિયામાં પહોંચતો હતો. કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ, કોલ બ્લોક ફાળવણી કૌભાંડ, ટેલિકોમ સ્પેક્ટ્રમ કૌભાંડ... યાદી બહુ લાંબી છે. શાસકોના આ કરતૂતોએ ભારતની વૈશ્વિક ઇમેજને પણ ભારે બટ્ટો લગાડ્યો હતો. કદાચ આથી જ ‘ધ ઇકોનોમિસ્ટ’ અને ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’એ પણ મોદી શાસનમાં એક પણ કૌભાંડ નથી તે સિદ્ધિની (જૂઓ તો ખરા કેવો સમય આવ્યો છે... શાસક પક્ષ કોઇ કૌભાંડ ન કરે તે પણ ‘સિદ્ધિ’ ગણાય!) નોંધ લીધી છે.
અલબત્ત, છાને ખૂણે એવો પણ ગણગણાટ થાય છે કે નરેન્દ્ર મોદી અવશ્ય ‘અણિશુદ્ધ’ હશે, પણ ભાજપશાસિત રાજ્ય સરકારના મુખ્ય પ્રધાનો અને તેમના સાથીદારો આટલા અણિશુદ્ધ હોય તે માનવું મુશ્કેલ છે. ભાજપના પ્રાદેશિક નેતાઓનાં સંતાનો, તેમના સગાંસ્વજનો અને તેમના મળતિયા જેવા પત્રકારો શાસક પક્ષ સાથેના સંબંધનો ‘લાભ’ લેવાનું ચૂકતાં નથી તે બહુ જાણીતી વાત છે. પક્ષને આવા તત્વો પ્રત્યેના આંખમિંચામણા ભારે પડી શકે છે. આવા મુઠ્ઠીભર તત્વોના કરતૂતોથી પક્ષની પ્રતિષ્ઠાને કલંક લાગી શકે છે.
આંખમિંચામણાનો જે નિયમ ભાજપને લાગુ પડે છે તે વાત આપણને - સમાજને પણ લાગુ પડે છે. જે સમાજમાં આવા અસામાજિક તત્વો હોય તેની સામે એક યા બીજા પ્રકારે આંખમિંચામણા કરવાથી અંતે તો સમગ્ર સમાજને ભારે પશ્ચાતાપ વેઠવાનો વારો આવશે. સ્પેનના રાજાએ તેમના સગા બહેનને રાજપરિવારમાં બહાર કાઢી મૂકીને એક રાજવી તરીકેના તેમના વિશેષાધિકારો ખૂંચવી લીધા છે કેમ કે ભ્રષ્ટાચારમાં તેમની સંડોવણી છતી થઇ છે.
વિશ્વની સૌથી જૂની લોકશાહી શાસન પ્રણાલી ધરાવતા બ્રિટનમાં પણ લોકો ભ્રષ્ટાચાર સામે સ્પષ્ટ અભિગમ અપનાવતા જણાયા છે. ઇંગ્લેન્ડના લેન્કેશાયર ક્રિકેટ બોર્ડના અગાઉના કેપ્ટન સામે એક લાખ પાઉન્ડની તફડંચીનો આરોપ થતાં હવે કેસ ચાલે છે. પરંતુ ભારતીય સમાજમાં હજુ આવી લોકશાહીનો અભાવ જોવા મળે છે. આપણી એક જાણીતી સંસ્થાના વડીલને કોઇએ ફંડફાળાનો હિસાબકિતાબ પૂછ્યો તો તેમનો જવાબ હતોઃ ‘અમારો હિસાબ હનુમાનજી રાખે છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી.’ લ્યો કરો વાત!
આજકાલ સમાજમાં ફંડફાળો કરનારા બિલાડીનાં ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. કચ્છમાં વિનાશક ભૂકંપ વખતે ‘આફતગ્રસ્તો માટે સહાય’ના નામે ફંડફાળો ઉઘરાવનારા ગલીએ ગલીએ ફરી વળ્યા હતા તેવો જ માહોલ નેપાળના ભયાનક ભૂકંપ બાદ ફરી સર્જાયો છે. ભારતમાં મોટા પાયે ઉઘરાણું થયા બાદ હવે વિદેશમાં આવા લોકો ‘કામે’ વળગ્યા છે. જરૂરતમંદોને સહાય અવશ્ય કરવી જોઇએ - પછી તે આપણા દેશના હોય કે પડોશી દેશના - પરંતુ સંસ્થાઓનો ભૂતકાળ નજરમાં રાખીને. જો સંસ્થા સેવાભાવી, પ્રમાણિક અને નિષ્ઠાવાન હશે તો જ તમે આપેલી સહાય ખરેખરા જરૂરતમંદો સુધી પહોંચશે, અન્યથા તમારી નાણાં આવી સંસ્થાના હોદ્દેદારોના ખિસ્સામાં જ રહી જશે.
આપ સહુ સુજ્ઞ વાચકોનું ધ્યાન દોરવાનું એક કારણ છે. નેપાળમાં ભૂકંપ બાદ અસરગ્રસ્તો માટે ભારતમાં ઠેર ઠેર રાહતસામગ્રી એકત્ર કરવાથી માંડીને દાન ઉઘરાવવાની પ્રવૃત્તિ મોટા પાયે હાથ ધરાઇ હતી. લેભાગુઓ પણ તકનો લાભ ઉઠાવવા આમાં ભળવાના જ. લોકોમાં આ મુદ્દે કેટલી જાગૃતિ છે અને પોતાની આર્થિક સહાય જરૂરતમંદ સુધી પહોંચે તે માટે દાતા કેટલા સાવચેત છે તેની ચકાસણી કરવા ગુજરાતના જાણીતા અંગ્રેજી દૈનિક Ahmedabad Mirrorએ પ્રયોગ કર્યો હતો. તેમણે કેટલીક વ્યક્તિઓને ‘કાર્યકર’ તરીકે ટ્રાફિક પોઇન્ટ, જાહેર સ્થળોએ ઉભી રાખી, જેઓ આવતા-જતા લોકોને ચોપાનિયાં દેખાડીને નેપાળ અસરગ્રસ્તના નામે ફંડફાળો માગતા હતા. હંમેશા બનતું રહ્યું છે તેમ આપણા સમાજના લગભગ ૯૦ ટકા લોકો ખરાઇ કર્યા વગર જ, આંખો મિંચીને નાની-મોટી સહાય કરવા તૈયાર થઇ ગયા હતા. આ લોકો ઉદારતા દર્શાવવામાં પાસ થયા હતા, પણ ફંડફાળો ઉઘરાવનારને ચકાસવામાં નાપાસ થયા હતા. દાન અવશ્ય કરો, પણ જરૂરતમંદ સુધી પહોંચશે તેની ખાતરી સાથે. લેભાગુઓને કોઇ સરહદ-સીમાડા નડતા નથી - ભારત હોય કે બ્રિટન. ચેતતો દાતા સાચો પરોપકારી... (ક્રમશઃ)


comments powered by Disqus