શ્રીલંકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરીસેના રવિવારે ચાર દિવસના ભારત પ્રવાસે દિલ્હી પહોંચ્યા તે સાથે જ દ્વિપક્ષીય સંબંધોના ઇતિહાસમાં મૈત્રીનું નવું પ્રકરણ ઉમેરાયું છે. આપણે બીજા શબ્દોમાં એમ પણ કહી શકીએ કે લગભગ દોઢ દસકા બાદ ફરી એક વખત ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોમાં નવો અને ઐતિહાસિક વળાંક આવ્યો છે. રાષ્ટ્રપતિ સિરીસેના અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિન-લશ્કરી પરમાણુ સહયોગ સહિતના કંઇકેટલાય સાંપ્રત મુદ્દાઓ પર મંત્રણા કરી અને બાદમાં સંયુક્ત પત્રકાર પરિષદ પણ સંબોધી. બન્ને નેતાઓની ઉપસ્થિતિમાં ચાર મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર પણ થયા. શ્રીલંકાનું રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ પોતાના પહેલા વિદેશ પ્રવાસ માટે સિરીસેનાએ ભારત પર પસંદગી ઉતારે છે તે દર્શાવે છે કે તેઓ - પૂરોગામી મહિંદા રાજપક્ષે સરકારથી વિપરિત - ભારત સાથે વધુ ઘનિષ્ઠ અને મૈત્રીપૂર્ણ સંબંધો ઇચ્છે છે.
આમ જૂઓ તો ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રાચીન કાળથી સંબંધ રહ્યો છે. પરંતુ શ્રીલંકામાં સક્રિય તમિળ અલગતાવાદી સંગઠન એલટીટીઇ (લિબરેશન ઓફ તામિલ ટાઇગર્સ ઇલમ) સામે તત્કાલીન સરકારની લશ્કરી કાર્યવાહી સહિતના કેટલાક મુદ્દાએ બન્ને દેશો વચ્ચે મતભેદો વધાર્યા. ચીને આ તકનો લાભ ઉઠાવ્યો. ચીન સુપેરે જાણતું હતું કે દક્ષિણ એશિયામાં આર્થિક મહાસત્તા તરીકે ઉભરી રહેલા ભારતને ભીંસમાં લેવું હોય તો પાકિસ્તાન પછી શ્રીલંકા મહત્ત્વનું સહયોગી સાબિત થઇ શકે છે. શ્રીલંકા સાથે ચીનની વધી રહેલી આર્થિક-લશ્કરી નિકટતાએ ભારતની ચિંતા વધારી હતી, પણ શ્રીલંકામાં સત્તા પરિવર્તન સાથે સમય પણ બદલાયો છે. રાજકીય વિચારસરણી પણ બદલાઇ છે તે વાતનો સંકેત સિરીસેનાના ભારત પ્રવાસ અને દ્વિપક્ષીય કરારો પરથી મળી રહે છે. મજબૂત ભારત-શ્રીલંકા સંબંધોથી દક્ષિણ એશિયા અને ‘સાર્ક’ (સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન) દેશોની રાજનીતિમાં ઘણું પરિવર્તન આવશે તે નક્કી છે.
ગયા મહિને જ યોજાયેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં, રાજકીય નિરીક્ષકોની ધારણાથી વિપરિત, મહિંદા રાજપક્ષેના ૧૦ વર્ષ જૂના શાસનને ઉખાડી ફેંકનારા ૬૩ વર્ષના મૈત્રિપાલા સિરીસેના ભારત-શ્રીલંકાના સંબંધોમાં ઉષ્માનો સંચાર કરવા, સંબંધોને નવી ઊંચાઇ લઇ જવા તત્પર છે. બીજી તરફ, ભારત પણ જાણે છે કે પડોશી દેશ સાથેના સુદૃઢ સંબંધો અન્યોન્યના હિતમાં છે. આથી જ તો બન્ને દેશના વડાઓ વચ્ચેની વાતચીતમાં આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા અને શ્રીલંકામાં શાંતિ-સૌહાર્દને પ્રોત્સાહન આપવા સહિતના મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા હતા. સિરીસેનાના પહેલા જ સત્તાવાર ભારત પ્રવાસમાં બન્ને દેશો વચ્ચે ચાર મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર થયા છે જે દર્શાવે છે કે બન્ને દેશો સંબંધોને વધુ ઘનિષ્ઠ બનાવવા પ્રયત્નશીલ છે. જે ચાર કરારો થયા છે તેમાં સૌથી મહત્ત્વનો કરાર છે પરમાણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ અંગેનો. પરસ્પર વિશ્વાસનું પ્રતીક બની રહે તેવો આ નાગરિક પરમાણુ કરાર શ્રીલંકાને ઉર્જા ક્ષેત્ર ઉપરાંત કૃષિ અને આરોગ્ય ક્ષેત્રે પણ અનેક પ્રકારે લાભકારક સાબિત થશે. આ કરારના ભાગરૂપે બન્ને દેશો પરમાણુ ઉર્જા ટેક્નોલોજી અને તેને સંબંધિત ક્ષેત્રોને આવરી લેતી માહિતીનું આદાનપ્રદાન કરશે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રને વેગ આપવા અને કળા-સંસ્કૃતિના ક્ષેત્રે સહયોગ વધારવા માટે પણ કરાર થયા છે.
અને રાજદ્વારી નિષ્ણાતોના અભિપ્રાયને ધ્યાને લઇએ તો કહી શકાય કે બન્ને દેશો હવે સંરક્ષણ અને સમુદ્રી સુરક્ષા સહિતના ક્ષેત્રે વ્યાપક સહયોગ માટે તૈયારી કરી રહ્યા છે. પૂરોગામી મહિંદા રાજપક્ષે સરકાર લગભગ ચીની શાસકોના ખોળે બેસી ગઇ હતી તેનાથી તદ્દન વિપરિત અને દૂરંદેશીભર્યો અભિગમ સિરીસેના સરકારે અપનાવ્યો છે. તેઓ જાણે છે કે પહેલો સગો પડોશી. સિરીસેનાના શબ્દોમાં પણ આ વાત પડઘાય છે. પોતાનો પહેલો જ સત્તાવાર ભારત પ્રવાસ અત્યંત પરિણામલક્ષી અને લાભદાયી સાબિત થયો હોવાનું માનતા સિરીસેના કહે છે આ સહયોગથી બન્ને દેશો વચ્ચેના સંબંધોનો વ્યાપ વધશે.
માત્ર શ્રીલંકા માટે જ નહીં, ભારત માટે પણ આ સંબંધો ખૂબ ઉપકારક સાબિત થશે તેમાં બેમત નથી. શ્રીલંકા સાથેના સંબંધ વધુ ઘનિષ્ઠ બનતાં ‘સાર્ક’ દેશોમાં ભારતનું વજન વધશે. સાથોસાથ ભારતવિરોધી આતંકી પ્રવૃત્તિ માટે શ્રીલંકાની ધરતીનો ઉપયોગ કરતાં આતંકવાદી સંગઠનો અને આઇએસઆઇની ગતિવિધિઓને નાથવાનું સરળ બનશે. અલબત્ત, ભારત અને શ્રીલંકા - બન્નેએ યાદ રાખવું રહ્યું કે દક્ષિણ એશિયાની રાજકીય ક્ષિતિજે નવસેરથી મજબૂત થઇને ઉભરી રહેલા રાજદ્વારી સંબંધો તો જ એકમેકને લાભકારક સાબિત થશે, જો તે લાંબો સમય ટકશે.