વડીલો સહિત સહુ વાચકમિત્રો, આ ઘડીએ જો અમારા અંબાલાલકાકા જીવતા હોય તો લેખનું શિર્ષક વાંચીને તરત જ તાડુક્યા હોતઃ અલ્યા ડોબા, તારું જનમસ્થાન મહીકાંઠે વસેલો ચરોતર વિસ્તાર છે... તું સૌરાષ્ટ્રની ક્યાં માંડે છે?
અંબાલાલકાકા તો હરિધામ જઇ પહોંચ્યા છે, પણ તે જમાનાના કેટલાય વડીલોને આવી જ ટેવ (કે કુટેવ) હતી. સંતાનો, પૌત્રો કે પ્રપૌત્રોને ડોબા, ગધેડા, બબૂચક... જેવા જાતભાતના ઉપનામો, વિશેષણોથી સંબોધે. અલબત્ત, આવા સંબોધનોમાં લેશમાત્ર કડવાશ પણ ન હોય કે કોઇને ઉતારી પાડવાનો ઇરાદો તો ન જ હોય, ઉલટાનું મધમીઠું વ્હાલ ભળેલું હોય. પણ ક્યારેક ઓડનું ચોડ થઇ જતું હોય છે.
વર્ષોપૂર્વે લંડનમાં વસતા એક પરિચિત વડીલની વાત કરું. તેમનો પરિવાર બહોળો એટલે બાળ-બચ્ચાંની સંખ્યા તો વધુ જ હોય ને... આ વડીલ ટેણિયા-મેણિયાઓને કાયમ ડોબા કહીને જ સંબોધે. મનમાં સ્હેજેય વડીલપણાનો ભાર નહીં, પણ વ્હાલ વ્યક્ત કરવાની તેમની આ રીત ગણો તો રીત, અને સ્ટાઇલ ગણો તો સ્ટાઇલ. એક વેળા પરિવારમાં સહુ કોઇ લગ્નપ્રસંગે ભેગાં થયા હતા. છોકરા આમથી તેમ દોડાદોડી કરતા હતા. વડીલને કંઇક કામ પડ્યું ને તેમણે, આદતવશ, ત્યાંથી પસાર થતાં દસેક વર્ષના એક ટાબરિયાને બોલાવ્યોઃ ‘એય... ડોબા, અહીં આવ તો...’. નજીકના પરિવારજનો તો વડીલના આ ‘સંબોધન’થી ટેવાયેલા હતા, પણ પે’લો ટાબરિયો આ જ ધરતી પર જન્મેલો અને ઉછરેલો. તે તરત ઉભો રહ્યો અને વડીલને લાગલું જ પૂછ્યું, ‘Dada, you told me Doba?’ વડીલ પણ જરાક ભારમાં બોલ્યા, ‘Ye...s’ પણ આ જવાબ પછી વડીલે જે સાંભળ્યું, એ તેમના માટે અણધાર્યું જ નહીં, આઘાતનો આંચકો આપનારું હતું. ‘Dada, don't tell me Doba, I'm not Doba... ok?’ ટાબરિયાના આ જવાબ પછી વડીલ મહાશય ગમેતેને ડોબા કહીને બોલાવવાની ટેવ ભૂલી ગયા હશે તેવું હું માનું છું.
ખેર, અંબાલાલકાકાના સંભવિત પ્રશ્ન જેવો કોઇ પ્રશ્ન તમારા મનમાં ઉઠે તે પહેલાં જ હું તેનો જવાબ રજૂ કરી દેવા ઇચ્છું છું. મારું વતન ભાદરણ, મોસાળનું મોસાળ (ખડમોસાળ) નડિયાદ ત્યાં જન્મી પ્રાથમિક શિક્ષણ છ જુદા જુદા ગામોમાં મેળવ્યું. આ લેખમાળાના નિયમિત વાચકો તો જાણે જ છે કે મારા માતુશ્રીને ટીબી હતો. વળી, પરિવારના સંજોગો પણ એવા સર્જાયા હતા. ૧૯૪૯માં ભાદરણ હાઇસ્કૂલમાં દાખલ થયો. પાંચ વર્ષ બાદ મેટ્રિક પૂરું કર્યું, અને વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો.
જોકે મારે વાત કરવી છે ૧૯૫૦ના શાળાપ્રવાસની. ભાદરણ સ્કૂલના વિદ્યાર્થીઓને ત્રણ રૂપિયાના ખર્ચે ત્રણ દિવસના વડોદરા પ્રવાસે લઇ જવામાં આવ્યા હતા, જેમાં હું પણ એક હતો. ભાદરણથી વાસદ બસમાં પહોંચ્યા હતા. વાસદથી વડોદરા ટ્રેનમાં અને પછી આખું વડોદરા પગપાળાં ધમરોળી નાખ્યું હતું. કમાટીબાગ, મ્યુઝિયમ, લક્ષ્મી વિલાસ પેલેસ એક પછી એક તમામ મહત્ત્વના સ્થળો જોઇ નાખ્યા. વાસદ સ્ટેશને પહોંચીને ટ્રેનની રાહ જોઇ રહ્યા હતા. ટ્રેન અમદાવાદ, આણંદ તરફથી આવે. બધા ટ્રેનની રાહ જોતાં જોતાં ગપસપ કરતાં હતા ત્યારે (જો નામમાં મારી ભૂલ ન થતી હોય તો) પંચોલી સાહેબે કહ્યું કે અહીંથી આગળ અડાસ સ્ટેશન છે. જ્યાં ૧૯૪૨માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય પાંચ લબરમૂછીયા યુવાનોને, બ્રિટિશ સામ્રાજ્યવાદી સત્તાના આદેશથી, હિન્દી પોલીસોએ ઠાર માર્યા હતા. સાહેબે આ પાંચેય સ્વાતંત્ર્યવીરોના નામ પણ કહ્યા. આ શહિદોમાંના એક રતિલાલ ગોરધનભાઇ પટેલ ભાદરણના હતા. સાહેબે અફસોસ સાથે એ પણ ઉમેર્યું કે માંડ આઠેક વર્ષ પહેલાની જ આ ઘટના છે, પણ લોકોના માનસપટ પરથી તે વીસરાઇ ગઇ છે.
વાત તો પૂરી થઇ ગઇ, પણ મારા બાળમાનસમાં સાહેબની આ વાત બરાબર ઠસી ગઇઃ આ તે કેવું? જે લોકોએ આપણી આઝાદી કાજે પોતાના જીવ આપ્યા તેને પણ લોકો ભૂલી ગયા?! વાચક મિત્રો, તમે પણ મારી એ વાત સાથે તો સહમત થશો જ કે એક આમ આદમીના બલિદાનને બિરદાવવાની વાત આવે છે ત્યારે આપણી યાદશક્તિ હંમેશા કમજોર સાબિત થતી હોય છે.
૧૯૪૨માં ગાંધીજીએ મુંબઇથી ક્વીટ ઇંડિયા - ભારત છોડોની ચળવળ શરૂ કરી. તે વેળા ગાયકવાડી હદમાં આવતાં ગામડાં-ગામોમાં આઝાદી ચળવળ મર્યાદિત રીતે જ લડવાનું ગાંધીજી અને સરદારે નક્કી કર્યું હતું. આનું એક કારણ એ હતું કે બ્રિટિશ રાજવિરોધી પ્રવૃત્તિઓ હાથ ધરવાનું ઓછું હતું. બોરસદ, આણંદ વગેરે બ્રિટિશ તાબામાં હતા. આથી ભાદરણ જેવા ગામમાં બ્રિટિશ શાસનવિરોધી ખાનગી પત્રિકાઓ છપાતી હતી. અખબારો પર તો બ્રિટિશ શાસકો બાજનજર રાખતા હતા. આઝાદીની ચળવળ સાથે સંકળાયેલા નાના-મોટા સમાચારો સેન્સર થતા હતા. અખબારોમાં શું છાપવું અને શું ન છાપવું તેમાં ગોરા સાહેબોનો હસ્તક્ષેપ હોવાથી લોકો સુધી ચળવળના સમાચાર પહોંચાડવા માટે છાનેખૂણે છપાતી પત્રિકાઓ ખૂબ અસરકારક સાબિત થતી હતી. પત્રિકાઓ જૂના ખખડધજ મશીનો પર છપાય, અને રાતોરાત આસપાસના પ્રદેશમાં પહોંચી જાય.
અમારા વડીલ મુકુંદભાઇ રાવજીભાઇ પટેલ પણ આ ચળવળમાં સામેલ એટલે મોટેરાંઓની વાતચીત દરમિયાન સરકારને કનડતા સ્વાતંત્ર્યસેનાનીઓના ‘પરાક્રમો’ પાછળથી અમને સાંભળવા મળતા હતા. મારા પિતાશ્રી અને મુકુંદભાઇના પિતાશ્રી રાવજીભાઇ સગા કાકાના દીકરા. ખૂબ દેખાવડા અને તેજસ્વી. સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાની જુવાની હોમી દેનાર મુકુંદભાઇ આજીવન અપરિણીત રહ્યા હતા. ઇશ્વર પ્રત્યે અસીમ આસ્થા ધરાવતા મુકુંદભાઇએ દેશની આઝાદી બાદ બોચાસણ ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં પોતાનું જીવન સમર્પિત કર્યું. મંદિરમાં ખૂબ સેવા કરી અને અહીં જ આશરો મેળવ્યો હતો. થોડાંક વર્ષ પૂર્વે, આશરે ૯૦ વર્ષની ઉંમરે તેમણે આ દુનિયામાંથી વિદાય લીધી.
મુકુંદભાઇ અમને બધાને સ્વાતંત્ર્ય-સંગ્રામ સાથે જોડાયેલી અનેક ઘટનાઓ-પ્રસંગો કહેતા હતા. પત્રિકા ક્યાં તૈયાર થતી, ક્યાં છપાતી અને ગોરા શાસકોની નજરથી છુપાવીને છેવાડા લોકો સુધી પહોંચાડવા કેવું નેટવર્ક ગોઠવાયું હતું વગેરે. વાચક મિત્રો, જે સમયે આવી પત્રિકા પાસે રાખવી તે પણ ફોજદારી ગુનો ગણાતો હતો તેવા સમયે પત્રિકા તૈયાર કરવી, છાપવી અને લોકો સુધી પહોંચાડવી તે નાનીસૂની વાત નહોતી. પોલીસની ઝપટે ચઢ્યા કે સીધા કાળ કોટડીમાં પહોંચ્યા સમજો. ભારતને માત્ર સૂત્રોચ્ચારથી આઝાદી નથી મળી, ગાંધીજી જેવા મહામાનવથી માંડીને મુકુંદભાઇ જેવા પાયાના હજારો કાર્યકરોના યોગદાને માતૃભૂમિને ગુલામીની બેડીમાંથી મુક્તિ અપાવી છે. શહીદોની શહાદત તો ના જ ભૂલી શકાય.
તાજેતરમાં જ મેં આ કોલમમાં રાજમોહન ગાંધીના દરબાર ગોપાળદાસના જીવન-કવન પર આધારિત પુસ્તક ‘પ્રિન્સ ઓફ ગુજરાત’નો ઉલ્લેખ કર્યો હતો. આ અને આવા પુસ્તકો હું અવારનવાર વાંચતો રહું છું. હું માનું છું કે આવા પુસ્તકો આપણામાં ચેતનાનો સંચાર કરતા રહે છે. ગાંધીજીએ અમદાવાદ અને ચંપારણ સિવાય ખેડા-કઠલાલ, બોરસદ, બારડોલી, નાગપુર, દાંડીકૂચ... જ્યાં પણ સત્યાગ્રહ કર્યા અને તેમાં જેટલા લોકો જેલમાં ગયા તેમાંના અડધોઅડધ લોકો નડિયાદ અને આણંદ જિલ્લાના પાટીદાર હતા કેમ કે તેના મુખ્ય વ્યવસ્થાપક હતા સરદાર વલ્લભભાઇ પટેલ. તેઓ પણ ચરોતરના. વકીલ થયા બાદ બોરસદમાં પણ રહ્યા હોવાથી પાટીદારોની રગેરગથી વાકેફ. તેમણે પાટીદારોને આ સ્વાતંત્ર્ય-સંગ્રામમાં બરાબર પળોટ્યા હતા.
વાસદ રેલવે સ્ટેશને સાહેબ પાસેથી રતિલાલ ગોરધનભાઇ પટેલ અને તેમના મિત્રોની શહાદતની વાત સાંભળી ત્યારથી દિલોદિમાગમાં શહિદી, દેશપ્રેમ, ફનાગીરી જેવા શબ્દોએ આગવું સ્થાન જમાવ્યું હતું. આ શબ્દોનો ઉચ્ચાર, આજે ય, મને રોમાંચિત કરી દે છે. કોઇ અંગત સ્વાર્થ વગર દેશપ્રેમ કાજે પોતાના જીવનનું બલિદાન આપી દેવું તે કંઇ નાનીસૂની વાત નથી.
બાય ધ વે, વડોદરામાં પગપાળા પ્રવાસ દરમિયાન અમે બધા - વિદ્યાર્થીઓ અને સાહેબો - જ્યુબિલી બાગ જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં રાવપુરા રોડ પરથી પસાર થતાં કોઠી પોળના નાકે નાની પ્રતિમા કે સમાધિસ્થાન જેવું કંઇક જોયાનું આજેય મનમાં સ્મરણ છે. તેના પર કોઇ પંચાલ સાહેબ કે તેવું કંઇ નામ કોતરાયું હોવાનું પણ આછેરું યાદ છે. જો કોઇ વાચક મિત્ર તે વિશે જાણતા હોય કે તે સ્થળનો ફોટોગ્રાફ બની શકે તો, મોકલી આપવા ઘટતું કરશો તેવો અનુરોધ છે.
મૂળ વાત પર પાછા ફરીએ તો... બાળમાનસમાં દિલોદિમાગ પર છવાઇ જનારી ઘટના હતી પાંચ વીર સપૂતોનું દેશ કાજે બલિદાન. આ ઘટનાક્રમે મને શૌર્ય, વીરતા, શહાદતની ઘટના વિશે વાંચવા-જાણવા માટે પ્રેર્યો. ચરોતરમાં ગાયકવાડી રાજ્યે સ્થાપેલા પુસ્તકાલયોએ મારી જ્ઞાનપિપાસા સંતોષી. તે સમયે પુસ્તકાલયમાં ઝવેરચંદ મેઘાણીનું વિપુલ સાહિત્ય ઉપલબ્ધ હતું. ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તાઓ, ‘સોરઠી બહારવટિયા’, ‘કુરબાનીની કથાઓ’ વગેરે ઘણુંબધું વાંચ્યું.
વાચક મિત્રો, સમયના વહેવા સાથે કાયદાનું ભણ્યો. વેપાર-ધંધા થકી લક્ષ્મીજીની સાધના પણ કરી અને સ્વામીજીના આંગળી ચીંધામણથી જ્ઞાનયજ્ઞનો આરંભ કર્યો. ૧૯૭૫માં કુસુમબહેન શાહે ‘ગુજરાત સમાચાર’ની જવાબદારી સોંપી. આ ગાંગડુને કશી ખબર નહોતી કે અખબારી પ્રકાશન, પ્રિન્ટીંગ, વિતરણ શું છે, પણ બંદાએ તો ઝૂકાવી જ દીધું. પે’લો બોસ નિર્દેશ-સંકેત આપે તેમ એક - એક ડગલું ભરતો ગયો. આંખ-કાન-મન ખુલ્લાં રાખીને જાણતો ગયો, સમજતો ગયો. કામ કરતો ગયો. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક પુસ્તકો પણ વાંચ્યા. એક તબક્કે તો પત્રકારત્વના મૂલ્યો, સિદ્ધાંતોની સોડમને આત્મસાત કરવા રાણપુર અને સાથોસાથ બગસરા પણ જઇ આવ્યો. રાણપુર એટલે ‘સૌરાષ્ટ્ર’ના કર્તાહર્તા અમૃતલાલ દલપતભાઇ શેઠની કર્મભૂમિ અને બગસરા એટલે આપણા લોકસાહિત્યના રખેવાળ ઝવેરચંદ મેઘાણીની જનમભોમકા. સમય વીત્યે ‘સૌરાષ્ટ્ર’માંથી સૌરાષ્ટ્ર ટ્રસ્ટ રચાયું અને પછી તેમાંથી જન્મ થયો જન્મભૂમિ જૂથના અખબારોનો.
આ બધી વાતોએ સૌરાષ્ટ્ર તરફનું મારું આકર્ષણ વધાર્યું. સૌરાષ્ટ્ર એટલે સંત, શૂરવીર અને દાતાની ભૂમિ. વાચક મિત્રો, આપનામાંથી ઘણાએ એક દોહો અવશ્ય સાંભળ્યો હશે.
જનની જણજે ભક્ત જણ કાં દાતા કાં શુર,
નહીંતર રે'જે વાંઝણી મત ગુમાવીશ નૂર...
આ શબ્દો સૌરાષ્ટ્રની ખુમારી રજૂ કરે છે. હું સૌરાષ્ટ્રમાં બહુ ફર્યો છું, અને મેં તો ઠેર ઠેર સંતપણું, શૂરવીરતા, દાતાઓની ઉદારતા નિહાળી છે. સૌરાષ્ટ્ર માટેના મારા લગાવમાં ઝળહળાવતા દીવડામાં ઘી પૂર્યું છે પરમ પૂજ્ય સ્વામીશ્રી સચ્ચિદાનંદજીએ. તાજેતરમાં ગુજરાતની મુલાકાત દરમિયાન ૧૧ જાન્યુઆરીના રોજ સુરેન્દ્રભાઇ પટેલ (ભવનવાળા)એ અગાઉથી નક્કી કર્યા પ્રમાણે પ્રેમાળ માયાબહેન, તેમના પતિ દીપકભાઇ અને હું ગાંધીનગરના સીમાડે આવેલા કોબા જઇ પહોંચ્યા. ત્યાં પૂજ્ય સ્વામીશ્રી સચ્ચિદાનંદજીનો નાનો આશ્રમ છે. આશ્રમ એટલે ખરા અર્થમાં આશ્રમ જ! આજકાલના કેટલાક આશ્રમોમાં જોવા મળે છે તેવી ફાઇવસ્ટાર હોટેલ જેવી સુવિધાનો અંશ પણ તમને ન દેખાય. હા, સ્વામીજીના હેત-ભાવ અઢળક મળી રહે.
સ્વામીજીને વંદન કર્યા. અને તેમણે આજીવન સાચવી શકાય, વારંવાર સેવન કરી શકાય તેવા ‘પ્રસાદ’ રૂપે ‘સૌરાષ્ટ્રનું શૂરાતન’ પુસ્તક ભેટ આપ્યું. પત્રકારકારત્વ સાથે સંકળાયેલા જીવ માટે પુસ્તકથી વધુ મહામૂલી ભેટ કઇ હોઇ શકે?!
‘ક્રાંતિકારી સંત’ની ઓળખ ધરાવતા સ્વામીશ્રી સચ્ચિદાનંદજીએ ૯૬ પુસ્તકો લખ્યા છે. કેટલાક પુસ્તકોનું સંપાદન પણ કર્યું છે. તેમણે ૧૭૦૦ જેટલા તો પ્રવચનો આપ્યા છે. આ તમામ પ્રવચનો તમે વેબસાઇટ www.sachchidanandji.org પર વિનામૂલ્યે સાંભળી પણ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો. હું આ વિશે વધુ કંઇ કહેવાના બદલે એટલું સૂચન અવશ્ય કરીશ કે સમય અને અનુકૂળતા સાંપડે ત્યારે આ વેબસાઇટની વિઝીટ અવશ્ય લેજો. અઠવાડિયે બે-ચાર કલાક ઇન્વેસ્ટ કરશો તો ‘ડિવિડન્ડ’ અચૂકપણે સારું જ મળશે.
‘સૌરાષ્ટ્રનું શૂરાતન’ અક્ષરસઃ વાંચી ગયો છું. સ્વામીશ્રીએ પુસ્તકમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રના શૂરવીરોની કથા સામેલ કરી છે. ભારતના પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો શૂરવીર શબ્દનો ઉદય થયો રાજપૂતો થકી. મધ્યકાલીન યુગ સુધી આપણી વર્ણ-વ્યવસ્થાના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાના પાલન, સુરક્ષાની જવાબદારી રાજપૂતોની ગણાતી હતી. અંદરના કે બહારના દુશ્મનોની ચઢાઇ વખતે રાજપૂતો રાડ્ય પડ્યે રજપૂત છુપે નહીં એમ મેદાનમાં ઉતરી પડતા હતા. આ પુસ્તકમાં રાજપૂતોની ખૂબીઓ અને ખામીઓ વિશે ઘણું બારીક વિશ્લેષણ રજૂ થયું છે. ચાલો, ચારેક વાક્ય તો શબ્દશઃ જ રજૂ કરું છુંઃ
‘આવી મહાન કોમના માથે ત્રણ મોટા દોષ લાગેલા છેઃ એક, પરસ્પરની પ્રબળ ઇર્ષ્યા. બે, નાની-નાની તુચ્છ બાબતોને મોટું રૂપ આપી લડી મરવું, અને ત્રણ, એકતાનો અભાવ. ક્યાંય સરવાળો નહીં, બાદબાકી જ બાદબાકી.’
સ્વામીશ્રી સચ્ચિદાનંદજીના પુસ્તકમાં મેં ખાસ નોંધ્યું છે કે શૂરવીરતા માટે ભલે મહદ્ અંશે રાજપૂત કોમને બિરદાવવામાં આવી હોય, પણ આ જ પુસ્તકમાં અન્ય જ્ઞાતિઓ કે કોમના શૂરવીરો કે જવામર્દોનો પણ ઉલ્લેખ છે. જેમાં દલિત, નાગર, ગઢવી, ચારણ, કુંભાર, ખેડૂત, ભગત, બ્રાહ્મણ, મુસ્લિમ, દરબાર કે પટેલ સહુ કોઇ આવી જાય છે. ભવિષ્યમાં શક્ય હશે તો આ વિશે વિગતવાર ઉલ્લેખ કરવાનો મારી ઇચ્છા છે.
અલબત્ત, હું તો આપ સહુને એ જ અનુરોધ કરીશ કે આ અને આવા પુસ્તકો મેળવો અને વાંચો. તમે તો આપણા અમર સંસ્કારવારસાથી જ્ઞાનસંપન્ન થશો જ સાથોસાથ સંતાનોને પણ તેની ઝાંખી કરાવી શકશો. ખરેખર ભાવિ પેઢીના જતન-સંવર્ધનમાં બહુ ઉપયોગી થાય તેવા આ પુસ્તકો છે.
આશ્રમમાં સ્વામીશ્રીની સાથોસાથ ઉકાભાઇ ગોવાભાઇ સોલંકીને પણ મળવાનો લ્હાવો મળી ગયો. જોતાં જ ઉમળકાભેર ભેટી પડ્યા. ઉકાભાઇ એટલે સૌરાષ્ટ્રના ઉપલેટા પંથકના મુઠ્ઠીઉંચેરા આદમી. વર્ષોથી કેલિફોર્નિયામાં વસે છે અને વેપાર-ધંધામાં મોટું નામ કાઢ્યું છે, પણ માદરે વતનને ભૂલ્યા નથી. માત્ર કમાઇને બેસી રહ્યા છે એવું પણ નથી, છૂટ્ટા હાથે સખાવત પણ કરી જાણે છે.
સ્વામીશ્રી સચ્ચિદાનંદજીએ લખેલું પુસ્તક ‘સૌરાષ્ટ્રનું શૂરાતન’ ઉકાભાઇના માતુશ્રીને અર્પણ કરાયું છે. પુસ્તકના પ્રારંભે લખાયું છેઃ ‘સ્વ. આહીર માતુશ્રી કડવીબહેન ગોવાભાઇ સોલંકીની પૂણ્યસ્મૃતિમાં...’ કડવીમા, તમારો ઉકાભાઇ સાચા અર્થમાં દેશવિદેશમાં ખૂબ મીઠાશ ફેલાવી રહ્યો છે.
શૌર્ય, શહાદત, સ્મરણ વગેરેની વાત ચાલે છે ત્યારે હું બીજી પણ એક વાત પ્રત્યે ખાસ ધ્યાન દોરવા માગું છું. ભાદરણમાં શહિદ રતિલાલ ગોરધનભાઇ પટેલના બલિદાનને બિરદાવતી પ્રતિમા સ્થપાયેલી છે. ચારેક વર્ષ પૂર્વે હું દક્ષિણ ભારતના પ્રવાસે ગયો હતો. રામેશ્વરમાં ભોળા શંભુના ચરણોમાં મહાશિવરાત્રી ઉજવી હતી. ત્યાં મેં લગભગ દરેક ગામમાં - દેશવાસીઓને આઝાદીના પંથે દોરી જનાર - ગાંધીજીની પ્રતિમા નિહાળી. આ જ રીતે સૌરાષ્ટ્રના મોટા ભાગના ગામ-નગર-શહેરમાં, ભારતને એકતાંતણે બાંધી રાખવામાં મહામૂલું પ્રદાન આપનાર, સરદાર પટેલની પ્રતિમા નિહાળી છે. શું આના પરથી આપણે એમ સમજવું રહ્યું કે મરદ જ મરદને પિછાણી શકે? ચરોતરમાં સરદાર સાહેબની પ્રતિમા છે તો ખરી, પણ ઓછી.
કાઠિયાવાડની વાત નીકળી છે ત્યારે એક બીજી પણ બાબતનો ઉલ્લેખ કર્યા વગર રહી શકતો નથી. અહીં તમને લગભગ ગામેગામ પાળિયા જોવા મળશે. ગામ પર સંકટ કે આફત ત્રાટકી હોય ત્યારે કોઇ નરબંકાએ તેનો સામનો કરવા સ્વેચ્છાએ જાનની બાજી લગાવી દીધી હોય, શહિદી વહોરી લીધી હોય તેની યાદમાં ગ્રામજનો દ્વારા ઉભું કરાતું સ્મારક એટલે પાળિયો કે ખાંભી. દરેક પાળિયા સાથે શૌર્ય, વીરતાની કહાણી જોડાયેલી હોય છે. પાળિયા અને ખાંભી કુરબાની, ફનાગીરી, આત્મસમર્પણ અને શહાદતને બિરદાવે છે. ગામના લોકો તેને પૂજે પણ ખરા, અને પ્રસંગોપાત માથું નમાવવા પણ પહોંચે. આવા અદકાં આદર-માન-સન્માન દાન આપીને તખ્તી કે પ્રતિમા મૂકાવીને મેળવી શકાતા નથી. પાળિયા કે ખાંભી તો બલિદાન આપનારના જ નસીબમાં હોય - ખરુંને? (ક્રમશઃ)