મુંબઇની કેઇએમ હોસ્પિટલની પથારી પર છેલ્લા ૪૨ વર્ષથી લગભગ નિશ્ચેતન જીવન જીવી રહેલા અરુણા શાનબાગ તો અંતિમ શ્વાસ લઇને આ ફાની દુનિયા છોડી ગયાં, પરંતુ જતાં જતાં તેઓ બે તદ્દન વિરોધાભાસી મુદ્દાઓ ભણી સમાજનું ધ્યાન દોરતાં ગયાં છે - ભારતમાં મહિલાઓ પર જાતીય અત્યાચાર અને તબીબી ક્ષેત્રની માનવતા. કેઇએમ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતાં અરુણા શાનબાગ ૨૭ નવેમ્બર, ૧૯૭૩ના રોજ જાતીય હિંસાનો ભોગ બન્યા અને કોમામાં સરી પડ્યા. તે દિવસની ઘડીથી માંડીને સોમવારે શ્વાસ છોડ્યો ત્યાં સુધી તે જ હાલતમાં રહ્યાં. અરુણા શાનબાગની ઘટના વખતે પણ ભારે ઉહાપોહ થયો હતો અને દિલ્હીમાં નિર્ભયા ગેંગરેપ સમયે પણ ભારે દેકારો થયો હતો. વચ્ચે ચાર દસકા કરતાં વધુ સમય વહી ગયો, પણ ભારતમાં મહિલાઓ પર જાતીય અત્યાચારોની ઘટનામાં ઘટાડો થયાનું જણાતું નથી. જે દેશમાં યત્ર નાર્યેસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતાઃ જેવી ઋચાનું ગાન થતું હોય ત્યાં આવી ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે તે કાયદાની નબળાઇ દર્શાવે છે. જ્યારે નઠારા તત્વોના મનમાં કાયદાનો ભય રહેતો નથી ત્યારે જ તેઓ બળાત્કાર, જાતીય શોષણ જેવા દુષ્કૃત્યો આચરવાની હિંમત કરતા હોય છે. જ્યારે જ્યારે બળાત્કારની ઘટના બને છે ત્યારે ત્યારે દોષિતને દાખલારૂપ સજા થવી જોઇએ, કેસની સુનાવણી ઝડપથી થવી જોઇએ તેવી ચર્ચા તો ચાલે છે, પણ સમયના વીતવા સાથે વાત વિસારે પડી જાય છે. જો દેશના શાસકો ખરેખર સ્ત્રીઓને સુરક્ષિત માહોલ પૂરો પાડવા માગતા હોય તો તેમણે બળાત્કારી માટે આકરામાં આકરી સજાની જોગવાઇ કરવી રહી.
પહેલો મુદ્દો નઠારા તત્વોની વરવી માનસિક્તા છતી કરે છે તો બીજો મુદ્દો સમગ્ર વિશ્વ સમક્ષ તબીબી ક્ષેત્રનો માનવીય ચહેરો રજૂ કરે છે. કેઇએમ હોસ્પિટલનો સ્ટાફ કોમામાં સરી પડેલાં અરુણાની ૪૨ વર્ષથી પરિવારના એક સભ્યની જેમ કાળજી લેતો હતો. અરુણાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે શરૂઆતના દિવસોમાં સાથે રહેલા પરિવારજનો ધીમે ધીમે અળગા થતા ગયા. આ માટે સામાજિક, આર્થિક, પારિવારિક કારણો જવાબદાર હશે તેની ના નહીં, પણ લોહીનો સંબંધ ધરાવતા લોકોએ અરુણાને તરછોડ્યા ત્યારે હોસ્પિટલના કર્મચારીગણે તેમની સંભાળ લેવાનું શરૂ કર્યું. કર્મચારીઓને તેમના માટે એટલી હદે લગાવ હતો કે અરુણાને ઇચ્છામૃત્યુ આપવું જોઇએ તેવી રજૂઆત સાથે હાઇ કોર્ટમાં અરજી થઇ ત્યારે સ્ટાફે ત્રણ દિવસ હડતાળ પાડીને અરજીનો વિરોધ કર્યો હતો. અને જ્યારે કોર્ટે ઇચ્છામૃત્યુની અરજી ફગાવી દીધી તો મીઠાઇ વહેંચીને ઉજવણી પણ કરી. અરુણાનું શરીર કોઇ પ્રતિભાવ આપતું નહોતું, પણ સ્ટાફના સભ્યો તેમની સાથે વાતચીત પણ કરતા હતા, તેમના રૂમમાં તાજા ફૂલો મૂકતા હતા અને અરુણાને ગમતા લતા મંગેશકરના ગીતો પણ વગાડતા હતા. આ બધી વાતો ભલે નાની લાગતી હોય, પણ સતત ૪૨ વર્ષ એટલે કે ૧૫,૩૩૦ દિવસ સુધી આ પ્રકારે ‘પારકાંની’ નિસ્વાર્થ સેવા કરવી સહેલું કામ નથી. તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને દેવદૂત કંઇ અમસ્તા નથી જ ગણાવાયા તે અરુણા શાનબાગના કિસ્સા પરથી પુરવાર થાય છે.