મહારાષ્ટ્ર સરકારને ૧૬ જાન્યુઆરીએ એવો પત્રો મળ્યો હતો કે લંડનમાં આવેલું બાબાસાહેબ આંબેડકરનું મકાન એક અજ્ઞાત વ્યક્તિને વેચી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારને પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ૧૦, કિંગ હેન્રીઝ રોડ પર આવેલા બાબાસાહેબના મકાનનો સોદો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર અને ભારત સરકાર દ્વારા મકાન ખરીદવા માટેના કોઈ પ્રયાસો કરવામાં આવ્યા નહોતા. આ સોદો એની નક્કી કરેલી કિંમત ૩,૧૦,૦૦૦ પાઉન્ડ (આશરે ૪૦ કરોડ રૂપિયા) કરતાં પણ વધુ ભાવે થયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
આ મકાન પર મારેલી બ્લુ રંગની તકતી પર ‘ડો. ભીમરાવ રામજી આંબેડકર (૧૮૯૧-૧૯૫૬), ભારતીય સામાજિક ન્યાયના લડવૈયા ૧૯૨૧-૨૨ દરમ્યાન અહીં રહ્યા હતા’ એમ લખ્યું છે. આ મકાન એક પ્રાઇવેટ ડેવલપરને વેચવામાં આવ્યું છે, જે હવે આ ૨૫૦૨ ચોરસ ફૂટ મકાનના સ્થાને ફ્લેટ બનાવવા માગે છે.
આ સમાચારથી ડો. બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓએ ભારે આઘાત અને આંચકો અનુભવ્યા છે. પ્રોપર્ટી એજન્ટ ગોલ્ડસ્મિથ એન્ડ હાઉલેન્ડે જણાવ્યું હતું કે તેમણે સોદાને ફાઇનલ કરતાં પહેલાં ભારત સરકાર તરફથી મકાન લેવાનો ઇરાદો જાહેર કરતા પત્રની ચાર મહિના સુધી રાહ જોઈ હતી, પરંતુ કોઈ ઔપચારિક સમાચાર ન મળતાં સોદો પાકો કર્યો છે.