સેવા, સમર્પણ, વિદ્વતાનો સમન્વય

સી.બી. પટેલ Thursday 05th February 2015 09:43 EST
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ‘હાજર છું, સાહેબ...’ વેકેશન સિવાય અગાઉથી રજા મેળવ્યા બાદ વિદ્યાર્થી બે સપ્તાહ વર્ગમાં ગેરહાજર રહ્યા પછી વર્ગમાં હાજર થાય ત્યારે માસ્તર પૂછે તે પહેલાં જ પોતાની હાજરી નોંધાવી દે. સ્વાભાવિક છે કે જવાબમાં સાહેબ એમ તો ન જ પૂછે કે અલ્યાં ક્યાં ગયો હતો? પણ એટલી ઇન્કવાયરી અવશ્ય કરે કે અલ્યા, આ દિવસોમાં શું ઉંધુચત્તું કરી આવ્યો? તો સાહેબ અને સાહિબાનો, આપ સહુ પૂછો તે પહેલાં જ આ બંદાનો ‘હિસાબકિતાબ’ પણ જાણી લો.
પૂરા ૧૪ દિવસ ભારત યાત્રા કરી. આમાંથી ૧૨ દિવસ તો ગુજરાતમાં જ રહ્યો. ૧૬ એવા કાર્યક્રમોમાં હાજરી આપી કે જેમાં પાંચેક સ્થાને યજમાન હતો, બાકી બધે મહેમાન. કા...શ, આ સ્થળ-બંધન ન હોત... મારી હાજરીનો શબ્દશઃ અહેવાલ રજૂ કર્યો હોત. પરંતુ મારા ભારત પ્રવાસના અર્કરૂપ એટલું અવશ્ય કહી શકુંઃ ભારતથી પરત ફર્યા બાદ હું આપણી માભોમ માટે વધારે આશાવાદ સેવી રહ્યો છું. આ શબ્દોમાં લગારેય લાગણીવેડા નથી - ત્યાં જે કંઇ નરી આંખે જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે તેનું આ તારણ છે.
એક કવિની પંક્તિઓ અધકચરી યાદ છે, પણ ટાંકી રહ્યો છુંઃ
ઘણુંક ઘણું ભાગવું, ઘણુંક ઘણું તોડવું,
ઘણ ઉઠાવ મારી ભૂજા...
આપ સહુમાં અનેક લોકો સાહિત્યપ્રેમી છે. કદાચિત કોઇ આખી કવિતા કે તેના રચયિતા વિશે જાણતું હોય તો લખી જણાવવા કૃપા કરશો. આ બંદો આપનો ઉપકૃત થશે.
પ્રવાસી ભારતીય દિવસ, વાઇબ્રન્ટ ગુજરાત, નવમી જાન્યુઆરીએ કોચરબ આશ્રમ ખાતેની એ ઐતિહાસિક સવાર વગેરેના વિગતવાર અહેવાલ તો આપ સહુએ ‘ગુજરાત સમાચાર’- ‘એશિયન વોઇસ’માં વાંચ્યા જ હશે. પણ થોડી ભીતરની વાત કરું.
કોચરબ આશ્રમને આજે મોટા ભાગના લોકો લગભગ ભૂલી ગયા છે. નવમી જાન્યુઆરી - ૧૯૧૫ના રોજ મોહનદાસ કરમચંદ ગાંધી ૪૫ વર્ષની વયે દક્ષિણ આફ્રિકામાં વિશ્વવ્યાપી ડંકો વગાડીને માભોમની સેવામાં પરત ફર્યા. આ પ્રસંગની યાદ તાજી થતાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ના સાથીદારોને સદવિચાર આવ્યો કે આ પુનિત-પાવન દિન કોચરબ આશ્રમ ખાતે જ ઉજવવો જોઇએ. કેટલાક મિત્રોએ પણ મને કોચરબ આશ્રમમાં ઉજવણી સંદર્ભે પૂછ્યું હતું. હું તો એટલું માનું છું કે આપ સહુ વાચકોના પૂણ્યપ્રતાપે જ આવું આયોજન શક્ય બન્યું છે. આપ જ્યારે પણ અમદાવાદની મુલાકાતે જાવ ત્યારે તમારી ભાગદોડમાંથી અડધો-પોણો કલાક ફાળવીને કોચરબ આશ્રમની મુલાકાત અવશ્ય લેજો તેવી મારી આગ્રહભરી વિનંતી છે.
પે’લા મુઠ્ઠીભર હાડકાના, પણ એવરેસ્ટ કરતાં ય મુઠ્ઠીઊંચેરું વ્યક્તિત્વ ધરાવતા મહામાનવે ત્યાં ધૂણી ધખાવી હતી. સ્વદેશ આગમન પછીનો તેમનો આ સૌપ્રથમ આશ્રમ. આશ્રમની દિનચર્યા, તેની સુચનાઓ, નીતિનિયમો બધેબધું જ ગાંધીજી અહીં સ્વહસ્તે મૂકતા હતા. મહાદેવ દેસાઇ કે પ્યારેલાલજી જેવા સક્ષમ અને સમર્પિત અંગત સચિવો તો ગાંધીજીના જીવનમાં પછી આવ્યા. તારી હાક સૂણી કોઇ ન આવે તો એકલો જાને રે... ગીત યાદ છેને? ગાંધીજીએ આ જ ગીતને જાણે અક્ષરશઃ જીવનમાં ઉતાર્યું હતું. તેમણે હૈયાસૂઝથી ઉચ્ચ આદર્શો કંડાર્યા હતા. સમયના વીતવા સાથે, ત્રિભોવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુંદરમ્’ પણ અહીં આવી વસ્યા હતા. ગાંધીજીએ જેમને કવિવર તરીકે ઓળખાવ્યા હતા તેવા રવિન્દ્રનાથ ટાગોરની સુપ્રસિદ્ધ રચના ‘એકલા ચાલો, એકલા ચાલો રે...’નો ગુજરાતી ભાવાનુવાદ (‘એકલો જાને રે...’) ‘સુંદરમ’એ જ તો કર્યો છે. લોકનજરમાંથી સરી ગયેલો કોચરબ આશ્રમ આજે પણ નાનીમોટી ગાંધીવાદી પ્રવૃત્તિઓથી ધબકતો રહ્યો છે તેના મૂળમાં આશ્રમ સંચાલક શ્રી રમેશભાઇ ત્રિવેદી, આશ્રમનો વહીવટ જેમના હસ્તક છે તેવી ગૂજરાત વિદ્યાપીઠના ઉપ-કુલપતિ ડો. અનામિકભાઇ શાહ અને રજિસ્ટ્રાર ડો. રાજેન્દ્રભાઇ ખીમાણીની સૂઝબૂઝ છે. આ મહાનુભાવો સાચે જ ગાંધીચીંધ્યા માર્ગે આશ્રમનું સુંદર સંચાલન કરી રહ્યા છે.
મિત્રો, માદરે વતનની મુલાકાત દરમિયાન મને ભારતવાસીઓમાં - પછી તે આધુનિક શહેરીજન હોય કે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારનો નિવાસી, સહુ કોઇમાં - પ્રચંડ આશાવાદ, આત્મવિશ્વાસ અને સક્રિયતા જોવા મળ્યા છે. આ બધું જોતાં લાગ્યું કે અચ્છે દિન આને વાલે હૈ... નહીં, અચ્છે દિનની શરૂઆત થઇ ગઇ છે. અહીં-તહીં એક યા બીજા પ્રસંગે આપણા જેવા અનેક NRIને મળવાનો અવસર સાંપડ્યો. સદભાગ્યે ફિજીથી માંડીને છેક અમેરિકા સુધી ફેલાયેલાં કેટલાય NRIને હું જાણું છું, તેમની સાથે મારો સીધો સંપર્ક છે. આમાંના ઘણા પ્રવાસી ભારતીય દિવસમાં હાજરી આપવા આવ્યા હતા તો કેટલાક વાઇબ્રન્ટ ગુજરાતના સાક્ષી બનવા પહોંચ્યા હતા. અનેકને મળ્યો, પણ સહુમાં એક વાત સમાન જોવા મળી - આશાવાદ. તેમના ચહેરા પર ભારતની નેતૃત્વશક્તિમાં (અહીં તમે નરેન્દ્ર મોદી વાંચી શકો) ભરોસો ઝળકતો હતો. બહુમતી વર્ગનો એક સૂર હતો - આપણો દેશ કરવટ બદલી રહ્યો છે, બહુ ઝડપભેર પ્રગતિના પંથે પગરણ માંડી રહ્યો છે.
પ્રવાસી ભારતીય દિવસ વેળા મહાત્મા મંદિરની લગોલગ કેટલાક મિત્રો સાથે ગોઠડી માંડી હતી. ચોમેર હકારાત્મક માહોલ હોય ત્યારે નકારાત્મક વાત કરતાં કોઇ પણ વ્યક્તિ ખચકાય તે સ્વાભાવિક છે. એક ભારતીય-કેનેડિયન મિત્રમાં કંઇક આવું જ જોવા મળ્યું. બહુમતીના આશાવાદ સામે પ્રશ્ન ઉઠાવતા તેમણે સાશંક પૂછ્યુંઃ આંખો આંજી નાખતી આ ઝાકઝમાળ, તોતિંગ ખર્ચા, બડી બડી બાતેં તો સમજ્યા, પણ સરવાળે લાભ શું થયો છે? પ્રશ્ન પૂછનાર ભલે એક હતો, પણ તેને જવાબ આપનારા એકથી વધુ હતા. દરેકની વાતનો સાર એક જ હતોઃ આ વાતોનાં વડાં નથી. આપણે જેમ ઘરઆંગણે રંગોળી પૂરતાં પહેલાં જેમ આઉટલાઇન દોરી નાખીએ છીએ તેમ છેલ્લા આઠેક મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની આઉટલાઇન તૈયાર કરી નાખી છે. હવે ધીમે ધીમે તેમાં પ્રગતિના રંગ ભરાઇ રહ્યા છે. (આ વર્ષે ક્રિસમસ દરમિયાન લંડનની ઓક્સફર્ડ સ્ટ્રીટમાં અતિસુંદર રોશની કરવામાં આવી, વધારાનો ખર્ચ થયો પણ હવે જાહેર થયું છે કે વેપારમાં ખૂબ તેજી આવી. ‘એક નૂર આદમી, હજાર નૂર કપડાં!)
એક મિત્રે વળી તેમને યાદ કરાવ્યું કે તાજેતરમાં જ વડા પ્રધાને તમામ મુખ્ય વિભાગોના ૨૩ સચિવોની એક મહત્ત્વની બેઠક યોજીને તેમની કામગીરીના લેખાંજોખાં કર્યાં છે. છ મહિનામાં કોણે શું કર્યું છે તે જાણવાની સાથોસાથ વડા પ્રધાને હવે પછી કોણ, ક્યારે, કેવી રીતે, શું કરવાનું છે તેનો બારીકાઇથી તાગ મેળવ્યો છે. વાચક મિત્રો, સાચું કહું તો ભારત સરકારમાં ભૂતકાળમાં આવું ક્યારેય થયું હશે કે કેમ તે વાતે મને તો શંકા છે.
સમાજને અજવાળતા દીવડાં
આ બધી વાતો વચ્ચે બે-ત્રણ નાના પ્રસંગ પણ આપ સહુએ જાણવા જેવા હોવાથી રજૂ કરી રહ્યો છું. લંડનથી અમદાવાદ પહોંચતા દોઢ-બે કલાક મુંબઇ એરપોર્ટ પર ફરજીયાત રોકાવું પડ્યું. વળતી મુસાફરીમાં તો વળી પાંચ કલાકનો બ્રેક હતો. મારા માતુશ્રી કાયમ કહેતા કે ચંદ્રકાંત તો વાડ સાથે ય વાત કરી શકે એમ છે ને વા સાથે ય વાત કરી જાણે. માતુશ્રીના શબ્દોને સાચા ઠેરવતાં હું પેસેન્જર લોન્જમાં એક અમેરિકી પત્રકાર સાથે વાતે વળગ્યો હતો. અમારી ચર્ચાનો વિષય તો પછી અખબારોમાં પણ આવી ગયો છે, પણ હું જે વાત કરવા માગું છું તેના સંદર્ભ માટે કેટલીક માહિતી, પુનરાવર્તનના જોખમ છતાં, ફરી રજૂ કરી રહ્યો છું.
વિશ્વની કુલ વસ્તી અંદાજે ૭૦૦ કરોડથી  વધુ છે. આમાં અતિ તવંગર વસ્તી ધરાવતા લઘુમતી દેશો પણ આવી ગયા અને દારુણ ગરીબીમાં સબડતા બહુમતી દેશો પણ આવી ગયા. આવા વિશ્વની અડધોઅડધ અસ્ક્યામત, માલમિલ્કત માત્ર એક ટકો તવંગરોના હાથમાં છે. તમે કહી શકો કે આ ધનાઢયોના કબ્જામાં વિશ્વની પચાસ ટકા સંપત્તિ છે. અડધમાં રામ ને અડધમાં ગામ - તેના જેવી વાત થઇ. અલબત્ત, આમાંના મોટા ભાગના તવંગર સ્વબળે આટલા ઉચ્ચ સ્થાને પહોંચ્યા છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. અને આમાંના બહુમતી વર્ગના હૈયે રામ વસતા હોવાનું મારું માનવું છે.
વૈશ્વિક રોકાણકાર વોરન બફેટ, માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ જેવા ધનાઢયો હોય કે પછી આપણા ભારતીય બાંધવોની જ વાત કરીએ તો... આઇટી જાયન્ટ કંપની ઇન્ફોસિસના વડા નારાયણ મૂર્તિ કે પછી વિપ્રોના વડા અઝીમ પ્રેમજી હોય, સહુ કોઇ સમાજના જરૂરતમંદ વર્ગ માટે સખાવતની ગંગા વહાવતા રહ્યા છે. લગભગ તમામ ધનપતિઓ સત્કાર્યોમાં ઓછાવત્તે અંશે અનુદાન આપતાં રહ્યાં છે. આ બધાને ત્યાં તો ધનનો ભંડાર હોવાથી સંપત્તિનો અમુક હિસ્સો સમાજ માટે વાપરતા રહે છે તે આનંદની વાત છે, પણ હું અહીં બે અદના આદમીની વાત કરવા માંગું છું. આ મહાનુભાવો આગળ ટાંક્યા છે તેવા ધનાઢય જેવા સંપત્તિવાન ભલે ન હોય, પણ દિલની અમીરીમાં તેમના સમોવડિયા છે.
હું લંડનથી મુંબઇ ફ્લાઇટમાં પ્રવાસ કરી રહ્યો હતો તેમાં હરહંમેશની જેમ કેટલાય પરિચિત ચહેરા મળી ગયા. કેટલાક એવા પણ ખરા, જેમને હું નહોતો ઓળખતો, પણ તેમને મારો પરિચય હતો. પ્રવાસી પરિચિતોમાં જગદીશભાઇ બદિયાણી અને તેમના જીવનસાથીનું નામ મોખરે મૂકવું પડે. તેમની સાથેનો પરિચય લગભગ સાડા ત્રણ દસકા જૂનો. લંડનમાં તેમનો વસવાટ. મિત્રની ભાગીદારીમાં તેમણે ફોટોલેબનો વ્યવસાય જમાવ્યો હતો. કાળક્રમે મિત્રનું અવસાન થયું. મિત્રના પુત્ર સાથે પણ એવા જ સુદૃઢ આર્થિક-પારિવારિક સંબંધો નિભાવ્યા. બદિયાણી દંપતીના ભારત પ્રવાસનું રસપ્રદ પાસું એ હતું કે તેઓ સેવા અર્થે વતન જઇ રહ્યા હતા. તેમનું વતન એટલે સૌરાષ્ટ્રમાં આવેલું જામજોધપુર ગામ. ગામમાં તેમણે જનસેવાર્થે - એક દવાખાનું સ્થાપ્યું છે. અનેક લોકો ડિસ્પેન્સરીમાં સારવાર-સુશ્રુષાનો લાભ મેળવે છે. દર વર્ષે તેઓ ત્રણેક મહિના જામજોધપુરમાં મુકામ કરીને અનેકવિધ સેવાકાર્યો કરે. દંપતીને અભિનંદન આપ્યા તો જગદીશભાઇ બહુ સહજતાથી બોલ્યા, ‘અરે, અમે તો અમારી રીતે નાનકડું કામ કરીએ છીએ. કંઇક સારું કામ કરવાનો અમારો પ્રયાસ છે... બાકી બધી પરમાત્માની કૃપા છે.’ બોલો, કેટલી નમ્રતા. સેવા કર્યાનો સ્હેજેય ભાર નહીં!
અમદાવાદથી લંડન પરત ફર્યો તો અહીં ઓફિસમાં ટેબલ પર નવમી જાન્યુઆરીનો પત્ર પડ્યો હતો. પત્ર પ્રેસ્ટનના ઇબ્રાહીમભાઇ ડી. પટેલે મોકલ્યો હતો, જેમાં લખ્યું હતુંઃ પ્રિય સી.બી., ‘ગુજરાત સમાચાર’ દ્વારા તમે ગુજરાતી ભાષા અને આપણા સમાજની ખૂબ સારી સેવા કરી રહ્યા છે. આ પત્ર સાથે આપને ૧૫ પાઉન્ડનો ચેક મોકલી રહ્યો છું જે દાન તરીકે સ્વીકારશો અને તમને યોગ્ય લાગે તે સત્કાર્યમાં વાપરશો.’
મેં ગયા શુક્રવારે ઇબ્રાહીમભાઇને ફોન કર્યો. ઇબ્રાહીમભાઇ પણ જગદીશભાઇ બદિયાણીની જેમ સામાન્ય માણસ, પણ અસામાન્ય માણસાઇના માલિક. લાગણીસભર પત્ર અને ૧૫ પાઉન્ડના ચેક માટે હું આભાર માનું તે પહેલાં તો ઇબ્રાહીમભાઇ બોલ્યા, ‘વર્ષોથી ગુજરાત સમાચાર વાંચું છું તેથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે નાની રકમ મોકલી છે. કોઇ પણ સત્કાર્યમાં વાપરો તેવી લાગણી છે.’ ખરેખર તેમની લાગણીથી હું ગદગદ થઇ ગયો. મેં તેમને કહ્યું, ‘અરે સાહેબ, રકમ નાની નથી, એ તો તમે પ્રેમથી મોકલેલી અમૂલ્ય ભેટ છે. તમારી ભેટને માથે ચઢાવું છું, પણ સવિનય એ પણ જણાવવું રહ્યું કે ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ પ્રકાશિત કરતી એબીપીએલ કંપની આવું કોઇ દાન સ્વીકારી શકે નહીં. પરંતુ તમે જે ભાવનાથી ભેટ મોકલી છે તે મારા માટે હૃદયસ્પર્શી છે. આથી જો તમે મંજૂરી આપો તો હું આ રકમમાં કર્મયોગ ફાઉન્ડેશન તરફથી ૧૫૦ પાઉન્ડ ઉમેરીને કુલ ૧૬૫ પાઉન્ડ ભરૂચ જિલ્લામાં ચાલતા મુનીબાર શિક્ષણ સંકુલને મોકલી આપવા માગું છું. આ શાળામાં ૫૫૦૦થી ૬૦૦૦ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ શિક્ષણ મેળવે છે. હું થોડાક વર્ષ પૂર્વે આ શાળાની મુલાકાતે ગયો હતો અને તેમના શિક્ષણકાર્યથી બહુ પ્રભાવિત છું.’ ઇબ્રાહીમભાઇએ પળભરનો વિચાર કર્યા વગર સંમતિનો થપ્પો મારતાં કહ્યું કે તમને યોગ્ય લાગતું હોય તો મને કોઇ વાંધો નથી.
વાચક મિત્રો, આવા તો કેટલાય જગદીશભાઇ અને ઇબ્રાહીમભાઇ છાને ખૂણે સેવાની જ્યોત પ્રજવલ્લિત રાખીને બેઠા હશે. સમાજ આવા સેવાભાવીઓના લીધે તો રૂડો છે. આવા મૂક સેવકોના લીધે જ જીવન જીવવા યોગ્ય બની રહ્યું છે. તાજેતરમાં જ વાંચ્યું કે ખગોળશાસ્ત્રીઓએ સૂર્યમંડળના અગોચર વિશ્વમાં બે નવા ગ્રહો શોધી કાઢ્યા છે. આધુનિક સાધનોની સહાય અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ખાંખાંખોળા કરવાથી નવા નવા ગ્રહો મળી રહે છે. આ જ રીતે દરેક વ્યક્તિ પણ એક યા બીજા સમયે પોતાના અંતરમનમાં વિચરતો રહે છે, માનવીય અભિગમ સાથે ખાંખાખોળા કરતો રહેતો હોય છે.
ગોવિંદભાઇના સત્કાર્યની સુવાસ
મેં હમણાં ધનલક્ષ્મીના સદઉપયોગની વાત કરી. જેની જેવી પહોંચ. ઉદારતાની સરહદને ગજવા કરતાં ગજુ વધુ આંકતી હોય છે. ભારતમાં મને જાણવા મળ્યું કે સુરતમાં અભિનવ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. ગોવિંદભાઇ ધોળકિયાએ જાતમહેનતે હીરાઉદ્યોગ ક્ષેત્રે કાઠું કાઢ્યું છે. તેમણે પોતીકા નાણાંમાંથી એક ટ્રસ્ટ રચ્યું છે, જેના વ્યાજમાંથી દર વર્ષે તેઓ સુયોગ્ય પાત્રને સંતોકબા માનવરત્ન સન્માનથી નવાજે છે. આપે ‘ગુજરાત સમાચાર’માં તાજેતરમાં વાંચ્યું હશે કે દલાઇ લામાને વર્ષ ૨૦૧૪નું સન્માન એનાયત થયું. હવે આઠમી ફેબ્રુઆરીએ બીજા ત્રણ ટોચના મહાનુભાવોને સંતોકબા માનવરત્ન સન્માન એનાયત થશે. આ મહાનુભાવો એટલે ફાધર વાલેસ, સુશ્રી સુધા મૂર્તિ અને ઘરઆંગણાના લોર્ડ ભીખુભાઇ પારેખ.
ફાધર વાલેસના નામથી ભાગ્યે જ કોઇ ગુજરાતી વાચક અજાણ્યો હશે. મૂળ સ્પેનના વતની પણ આજે સવાયા ગુજરાતી તરીકે ઓળખાય છે. દસકાઓ સુધી ગુજરાતમાં વસવાટ કરનાર ફાધર વાલેસે ગુજરાતી સાહિત્યમાં સત્વસભર સર્જન કરીને આગવું સ્થાન મેળવ્યું છે. તેમના સાહિત્યમાં ગુજરાતી સંસ્કાર-સમાજનું પ્રતિબિંબ ઝળકે છે. સુશ્રી સુધા મૂર્તિની એક ઓળખ એટલે આઇટી કંપની ઇન્ફોસિસના સ્થાપક ચેરમેન નારાયણ મૂર્તિના જીવનસંગીની. પરંતુ આ તો અધૂરી ઓળખ થઇ. અધધધ સંપત્તિના માલિક સુધા મૂર્તિ ખુદ લેખક અને સમાજસેવક તરીકે આગવી નામના ધરાવે છે. જિંદગીની ખાટીમીઠ્ઠી વાતો રજૂ કરતા અનેક પુસ્તકોના સફળ લેખક સુધા મૂર્તિએ રાજસ્થાનના અંતરિયાળ રેતીલા પ્રદેશ સહિત અનેક સ્થળે પીવાના પાણીની સમસ્યા હલ કરીને લાખો ગરીબોની આંતરડી ઠારી છે. અને લોર્ડ પ્રો. ભીખુભાઇ પારેખની ઓળખ?! ભલા માણસ શું મજાક કરો છો... ક્યો ભારતીય-બ્રિટિશ તેમના નામ અને કામથી અજાણ હશે? તેમના માટે લખવા બેસીએ તો આ આખું પાન પણ નાનું પડે. છતાંય તેમના વિશે એક વાક્ય તો કહી જ દઉં... બહુ મોટા ગજાના શિક્ષણવિદ્, પણ સ્વભાવે એકદમ નમ્ર અને સાલસ.

આ ઉપરાંત સન્માન સમારંભમાં ઉપસ્થિત ૧૫૦૦થી વધુ આમંત્રિતોને સન્માનિત મહાનુભાવ લિખિત કોઇ એક પુસ્તકની નકલ ભેટ આપવામાં આવશે. લોર્ડ ભીખુભાઇ પારેખના ગાંધીજી વિશેના પુસ્તકની નકલ મહેમાનોને આપવામાં આવશે. આ પ્રકારના મોટા પાયે આયોજન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય, પણ ગોવિંદભાઇના પેટનું પાણી પણ હલતું નથી. આપ સહુએ થોડાક સમય પહેલાં ‘ગુજરાત સમાચાર’માં વાંચ્યું જ હશે કે ગોવિંદભાઇએ તેમના ડાયમંડ યુનિટમાં કામ કરતાં સેંકડો લોકોને મકાનો, ગાડી સહિતની લ્હાણી કરી હતી. આવું કરવા માટે તેમની પાસે દિલ છે, ગજું છે. તેમણે ટ્રસ્ટના ખાતામાં ૨૫થી ૫૦ કરોડ રૂપિયા જમા રાખ્યા છે, અને તેના વ્યાજમાંથી મહાનુભાવોને બિરદાવવાનું કામ ચાલે છે.
૫૦ કરોડ રૂપિયા એટલે સમજોને આપણા પાંચ મિલિયન પાઉન્ડ. આપણા સમાજમાં, ભારતમાં કે ભારત બહાર અન્યત્ર, ૧૦૦, ૨૦૦ કે ૫૦૦ મિલિયન પાઉન્ડની જંગી અસ્ક્યામત ધરાવતા સંખ્યાબંધ સજ્જનો વસે છે. સંભવ છે કે ધોળકિયા સાહેબના આવા સત્કાર્યની સુવાસ આ સજ્જનો સુધી પહોંચશે અને તેઓ પણ આવું કંઇક સત્કાર્ય કરવા પ્રેરાશે. જો આવું થાય તો તેમની સંપત્તિના સોનામાં સુગંધ ભળશે. મેં અગાઉ અડધમાં રામ અને અડધમાં ગામની વાત કરી હતી, પણ આ તો આપણી વચ્ચે રહીને ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતોને વાસ્તવિક જીવનમાં અનુસરતા મહામાનવોની વાત છે.
વિચારવલોણું ધમધમી રહ્યું છે
મારો એક વણલખ્યો નિયમ છે - ભારતથી પરત ફરું ત્યારે પુસ્તકો અવશ્ય સાથે લેતા આવવાના. આ વેળા ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધીએ લખેલું દરબાર ગોપાળદાસનું જીવનચરિત્ર લેતો લાવ્યો છું. અંગ્રેજીમાં લખાયેલા આ પુસ્તકમાં પટેલ કોમની ખાસિયતો, ખાસ તો જે ખૂબીઓ અને ખામીઓ વર્ણવી છે તે પટેલ સમાજના સભ્યોને તો ઠીક અન્યોને પણ વાંચવા નમ્ર નિવેદન છે. આ સપ્તાહના ‘એશિયન વોઇસ’માં પુસ્તકના પ્રકાશકનું નામ-સરનામું આપ્યું છે.
ભારતમાં આ વખતે બીજી એક નોંધનીય બાબત એ જોવા મળી કે ત્યાં વૈચારિક ક્ષેત્રે નીતનવીન અભિયાન ચાલી રહ્યાં છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા છે. પૌરાણિક અને આધુનિક વિચારસરણીનો અદભૂત સમન્વય કરીને નૂતન ભારતનું નવસર્જન કરવાનું આ નરબંકાએ જાણે બીડું ઉઠાવ્યું છે. કેટલાક બુદ્ધિજીવીઓ નેહરુ યુગને યાદ કરીને વૈચારિક ક્રાંતિ વધુ સમતોલ બનાવવા પ્રયત્નશીલ છે.
બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટી ૧૨ ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં અભિનવ કાર્યક્રમ યોજી રહી છે. Life & Legacy of Pandit Nehru વિષયને કેન્દ્રમાં રાખીને ચર્ચાસત્ર યોજાયું છે, જેમાં પાંચ ઊંચા ગજાના દિગ્ગજો પોતાના વિચારો રજૂ કરશે. આમાં બ્રિટનથી લોર્ડ પ્રો. ભીખુભાઇ પારેખને આમંત્રણ છે. આ ઉપરાંત અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના પ્રો. અકીલ બિલગ્રાની, સેંટ એંટની કોલેજ, ઓક્સફર્ડના ફેલો, ડો. ફૈઝલ દેવજી, કિંગ્સ કોલેજ કેમ્બ્રિજના ડો. શ્રુતિ કપિલા (ઇંડિયન હિસ્ટ્રી ફેલો) અને દિલ્હીના પ્રતાપ ભાનુ મહેતા પંડિત નેહરુના જીવન અને કાર્ય વિશે પોતપોતાના વિચારો રજૂ કરશે.
વિચારવલોણું રાષ્ટ્રીય સ્તરે જ ચાલે છે એવું નથી, ગુજરાતમાં પણ આવું કામ થઇ રહ્યું છે. મને પણ આમાં ભાગ લેવાનું આમંત્રણ તો છે, પણ કમનસીબે હું જઇ શકું એમ લાગતું નથી. વડોદરાસ્થિત સેન્ટર ફોર કલ્ચર એન્ડ ડેવલપમેન્ટના ઉપક્રમે ૨૯ જાન્યુઆરીએ એક કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. વિષય છે - 'A Critical Assesment: Nehru's Contribution to India'. કાર્યક્રમમાં જેસ્યુઇટ પાદરી પ્રો. લેન્સી લોબો અને લોર્ડ ભીખુભાઇ પારેખ પોતાના વિચારો રજૂ કરવાના છે.
અમેરિકા માટે એવું કહેવાય છે કે આ સાધનસંપન્ન દેશમાં ભૌતિકવાદની સાથોસાથ વિદ્વતાને પણ ખાસ પ્રાધાન્ય આપવામાં આવે છે. દરેક મુદ્દા વિશે અભ્યાસ થાય, સંશોધન થાય, અને ભિન્ન-ભિન્ન વિચારો ઉદ્ભવે તો તેનો સમન્વય થાય. આ અભિગમ અમેરિકાની મોંઘેરી મૂડી છે. ભારતમાં નરેન્દ્ર મોદીના આગમન બાદ વિકાસની સરવણી વધુ સંગીન બની છે તેવું હું માનું છું. (ક્રમશઃ)

સન્માન સમારંભ યોજાયા બાદ અન્ય માહિતી તો આપની સમક્ષ અમે સાદર કરશું જ, પણ ગોવિંદભાઇ કેવા મોટા સ્તરે આ સત્કાર્ય કરે છે તે જાણવામાં આપ સહુને રસ પડશે. તિબેટીયન ધર્મગુરુ દલાઇ લામાને સન્માન વહેલું આપવામાં આવ્યું તેનું કારણ એ છે કે તેઓ આઠમી ફેબ્રુઆરીએ સુરત આવી શકે તેમ નહોતા. પણ આઠમી ફેબ્રુઆરીએ દરેક સન્માનિત મહાનુભાવને સન્માનપત્ર અને રૂ. ૨૫ લાખ ઉપરાંત તે મહાનુભાવે જે ક્ષેત્રે પ્રદાન આપ્યું છે તેની ઝલક દર્શાવતો કોફીટેબલ જેવો ગ્રંથ અને તેમના જીવનકવનને આવરી લેતી ૪૦ મિનિટની વીડિયો ફિલ્મ સાદર કરવામાં આવશે.


comments powered by Disqus