૫૫ વર્ષના ક્રેગ લુઈ ૨૦૧૧માં હાર્ટની જીવલેણ બીમારીથી પીડાતા હતા. તેને ટેકસાસની હાર્ટ ઈન્સ્ટિટયુટમાં ભરતી કરાયા હતા. તે એમાઈલોયડોસિસ નામની અત્યંત દુર્લભ બીમારીથી પીડાતા હતા, જેમાં શરીરનું પ્રતિરક્ષા તંત્ર પોતાના શરીરની વિરુદ્ધ જ કામ કરવા લાગે છે. આ બીમારીમાં આંતરિક અંગોમાં ગાઢ પ્રોટીન જમા થવા લાગે છે, જેનાથી હૃદય, લીવર, કિડની કામ કરવાનું બંધ કરી દે છે! અને છેવટે વ્યક્તિ મોતને ભેટે છે.
જોકે લુઇના સદનસીબે ડો. બિલી કોન અને ડો. બડ ક્રેજિયરે તેની છાતીમાં એક યંત્ર લગાવ્યું. આ યંત્ર કંટીન્યુસસ ફલો ડિવાઈસ તરીકે ઓળખાય છે. યંત્રની મદદથી રોગીના શરીરમાં રક્તપ્રવાહ ચાલુ રહે છે અને તેના માટે હૃદયનું ધડકવું જરૂરી નથી રહેતું. આ યંત્ર ફીટ કરતા પહેલા ડોકટરોએ લુઈનું હૃદય કાઢી લીધુ હતું. બસ, ત્યારથી લુઈ હૃદય વગર જ જીવે છે. તે બોલી શકે છે. રોજ ડોકટરો સાથે વાત કરે છે, પણ તેનું દિલ ધડકતું નથી. આ યંત્રનું સફળ પ્રત્યારોપણ કરાવનાર લુઈ વિશ્વની પ્રથમ વ્યકિત છે.