લોકસભા અને વિવિધ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયથી આઘાતમાં સરી પડેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ થોડાં સપ્તાહ માટે અજ્ઞાતવાસમાં જવાનો નિર્ણય કર્યો છે. સોમવારથી સંસદનાં મહત્ત્વનાં બજેટ સત્રનો પ્રારંભ થયો છે ત્યારે દેશના મહત્ત્વના રાજકીય પક્ષના ઉપાધ્યક્ષ દ્વારા સંસદીય કાર્યવાહીમાં ગેરહાજર રહેવાના નિર્ણયની ચારેકોરથી ટીકા થઇ છે. જો કે એવી પણ ચર્ચા છે કે કેટલાક વરિષ્ઠ કોંગ્રેસીઓથી નારાજ રાહુલ રજા પર ઊતરી બેંગકોક ગયા છે. રાહુલની રજાની અરજી મંજૂર કરતાં સોનિયાએ જણાવ્યું હતું કે રાહુલને કેટલાંક સપ્તાહનો સમય આપો. અત્યારે તેઓ થોડા દિવસની રજા પર ગયા છે. વેકેશન માણ્યા બાદ રાહુલ બધું કામ સંભાળી લેશે.
• અંબાણી પરિવારના જમાઇ શ્યામ કોઠારીનું નિધનઃ રિલાયન્સના મુકેશ અને અનિલ અંબાણીના બનેવી ઉદ્યોગપતિ ભદ્રશ્યામ કોઠારીનું ૫૩ વર્ષની વયે અમેરિકામાં અવસાન થયું છે. શ્યામ કોઠારી તેમનાં પત્ની નીના અને એક પુત્ર-પુત્રીને વિલાપ કરતાં છોડી ગયા છે. ચેન્નાઈના આ ઉદ્યોગપતિ શ્યામ કોઠારીના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. તેઓ ધીરુભાઈ અંબાણીની મોટી પુત્રી નીનાના પતિ હતા. તેઓ સારવાર માટે અમેરિકાના હ્યુસ્ટન ગયા હતા.
• બિહારના મુખ્ય પ્રધાનપદે નીતિશકુમારના શપથઃ બિહાર વિધાનસભામાં ૨૦ ફેબ્રુઆરીએ વિશ્વાસમત હાથ ધરાય તે પહેલાં જિતનરામ માંઝીએ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. ગત રવિવારે જનતાદળ (યુ)ના નેતા નીતિશકુમારે બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યાં હતાં. રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ નીતિશકુમારને ૨૪૩ સભ્યોની વિધાનસભામાં ૧૬ માર્ચ સુધીમાં વિશ્વાસ મત મેળવવા કહ્યું છે. ૧૭ મે ૨૦૧૪ના રોજ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપનાર નીતિશકુમાર ચોથીવાર બિહારના મુખ્ય પ્રધાન બન્યા છે.
• કોંગોમાં સ્વામિનારાયણ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠાઃ મધ્ય આફ્રિકાના લુમ્બાસી (કોંગો)માં ગઢડા શ્રી ગોપીનાથજી મહારાજના તાબાના ભવ્ય સ્વામીનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં વડતાલ ગાદીના ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ તથા લાલજી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજની નિશ્રા હતી. ઘનશ્યામભાઈ જોબનપુત્રા પરિવાર સહિત હરિભક્તો જોડાયા હતા.
• હિન્દુ સાંસદ તુલસી વૈદિક વિધિથી લગ્ન કરશેઃ અમેરિકન કોંગ્રેસમાં પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગાબાર્ડ એપ્રિલમાં વૈદિક વિધિ પ્રમાણે સિનેમેટોગ્રાફર અબ્રાહમ વિલિયમ્સ સાથે લગ્ન કરશે. હવાઈમાંથી ડેમોક્રેટીક કોંગ્રેસવુમન તરીકે બીજી ટર્મમાં રહેલા ૩૩ વર્ષીય તુલીસએ પોતાની સગાઈ અંગે એક મહિના પહેલા જાણી કરી હતી.
• ગુજરાતી ડેન્ટીસ્ટ સામે હત્યાનો આરોપઃ અમેરિકામાં એક ૬૪ વર્ષીય મહિલાના મોંઢામાંથી એક જ વખતે ૨૦ દાંત કાઢી નાખવાનો પ્રયાસ કરનાર ભારતીય મૂળની ૪૫ વર્ષીય ડેન્ટિસ્ટ રશ્મી પટેલ સામે દર્દીની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
• જમ્મુ-કાશ્મીરમાં ભાજપ-પીડીપી સરકાર રચાવાનું નક્કીઃ જમ્મુ અને કાશ્મીરમાં મુફતી મહોમ્મદ સઈદના નેતૃત્વમાં પીડીપી-ભાજપની ગઠબંધન સરકાર ૧ માર્ચે શપથ ગ્રહણ કરે તેવી સંભાવના છે. બંને પક્ષો વચ્ચે સેનાને રાજ્યમાં વ્યાપક સત્તા આપતાં અફસ્પા અને બંધારણની ૩૭૦ કલમ મુદ્દે સહમતી સધાઈ છે. ગંઠબંધનની ઔપચારિકતા પૂર્ણ કરવા માટે પીડીપીના વડાં મેહબૂબા મુફતી મંગળવારે ભાજપ પ્રમુખ અમિત શાહને મળ્યાં હતાં.
• ...પરંતુ મધર ટેરેસાની લાગણી ધર્માંતરણની હતીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો ડો. મોહનરાવ ભાગવતે જણાવ્યું કે, દીનદુઃખિયાની સેવા નિઃસ્વાર્થભાવે કરવી જોઈએ. તેમણે મધર ટેરેસાનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, ટેરેસા દ્વારા સારી સેવા થઈ હતી પરંતુ તે સેવા પાછળ ક્યાંક ધર્માંતરણનો ભાવ રહેલો હતો.