વડીલો સહિત સહુ વાચક મિત્રો, નાની-મોટી વિવિધ પ્રકારની આધિ, વ્યાધિ કે ઉપાધિ અવારનવાર માનવમાત્ર અનુભવતો હોય છે. આરોગ્ય, આયુષ્ય, પરિવાર, આર્થિક હાલત, સંતાન સંબંધિત સમસ્યા કે પછી પ્રિયજનો સાથે આત્મીયતાના મુદ્દે આપણે સહુ એક યા બીજી પ્રકારે વારંવાર મૂંઝવણ કે વ્યાકુળતા અનુભવતા હોઇએ છીએ. આધુનિક યુગમાં આ બધી તકલીફો, સમસ્યાઓના નિવારણ માટે કે તેને અમુક મર્યાદામાં નિયંત્રિત કરવા માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. પણ ક્યાંય (સમસ્યાનો ઉકેલનો) મેળ પડતો નથી ત્યારે વ્યક્તિ હતાશ, નાસીપાસ થઇ જતી હોય છે.
આ હતાશાના મૂળમાં હોય છે આપણી વિચારસરણી. આપણું મગજ, આપણું મસ્તક શુભ કે અશુભ, જરૂરી કે બિનજરૂરી, રચનાત્મક કે ખંડનાત્મક વિચારો કરવા માટે સદાય સક્ષમ હોય છે. મસ્તકમાં લાખો નહીં, કરોડો કોષ સક્રિય હોય છે અને તે બધા વિચારોના ઘોડાને પૂરપાટ દોડાવ્યા કરે છે. અલબત્ત, આ જ મગજ શરીર સાથે સંકળાયેલા બીજા કામો પણ કરતું હોય છે, પણ આપણે તો તેને ‘વિચારોની ફેક્ટરી’ તરીકે જ નિહાળીએ છીએ ને?
એક ઉદાહરણ આપીને કદાચ સમજાવવા પ્રયત્ન કરી શકાય.... જેમ મોટર ગાડીના એન્જીનમાં એક વિભાગમાં ફ્યુઅલ બળે, તો બીજા વિભાગમાં શક્તિ બને, સાથોસાથ ડાયનેમો પણ ચાલે અને એસી હોય તો તે પણ ચાલતા રહે... દરેક મશીનની કામગીરી અલગ અલગ હોય, પણ આખરે તો તે એક જ એન્જીનના ભાગ રૂપે જ કામ કરતા હોય છે. મગજની કામગીરી પણ એવી હોય છે - વિચારોના ઘોડા પણ દોડાવે (પછી તેમાં સુ-વિચાર પણ હોય ને કુ-વિચાર પણ હોય), શરીરનું નિયંત્રણ પણ કરે અને શરીરના જુદા જુદા અંગોને તેની કામગીરી અંગે આદેશ પણ આપતું રહે. કહેવાનું તાત્પર્ય એટલું જ આપણા શરીરમાં મગજ અતિ મહત્ત્વનું અંગ છે. તે જો ઠપ્પ થયું કે તેની કામગીરીમાં વિક્ષેપ પડ્યો તો વ્યક્તિનું જીવન ખોરવાય જાય. આવું મગજ એક યા બીજા કારણસર નબળું બને. સંજોગો વિપરિત બનતા રહે ત્યારે પરવશતા કબજો લે છે.
માનવજીવનમાં અતિ મહત્ત્વનું સ્થાન ધરાવતા મગજની સારવાર માટે આધુનિક તબીબી વિજ્ઞાનમાં ભલે સારવારના અનેક વિકલ્પ ઉપલબ્ધ હોય, પણ વિચારોના ઘોડાને નાથવાનું શક્ય નથી. દિલોદિમાગને બહેલાવવાના અનેક ઉપાયો ઉપલબ્ધ હોવા છતાં ક્યારેક વ્યક્તિને એવી ઉપાધિ ઘેરી વળતી હોય છે કે તેનું જીવન હરામ થઇ જતું હોય છે. સુખચેન હણાય જતા હોય છે. કોઇને આરોગ્ય સંબંધિત સમસ્યા હોય તો યોગ્ય સારવાર મળતી ન હોય, કે તબીયત સુધરતી ન હોય તો કોઇને વળી સંતાન સંબંધિત સમસ્યા કનડતી હોય છે - સંતાન હોય તો કુસંગે ચઢી ગયું હોય કે વ્યસન વળગ્યું હોય અને જો સંતાન ન હોય તો તે પામવાની ઝંખના કોરી ખાતી હોય છે. કોઇને વળી એવા વિચારો સતાવતા હોય છે કે મારા સંતાનો કે પરિવારજનોને મારી કિંમત જ નથી... કોઇ મને પ્રેમ કે આદર આપતું નથી. આપણે અંદરબહારનું જગત આપણી નજરે જ નિહાળ્યા કરીએ છીએ અને દુખી થતા રહીએ છીએ. સામેની વ્યક્તિ - પછી તે પતિ હોય કે પત્ની, પુત્ર હોય કે પુત્રી, કર્મચારી હોય કે માલિક - બધાની મૂલવણી આપણા જ ગજથી કરીએ છીએ અને તેનાથી પણ નવી નવી (માનસિક) સમસ્યા સર્જાતી હોય છે ને?
વાચક મિત્રો, આવા તો અનેક કારણસર વ્યક્તિ મૂંઝવણ કે ચિંતાની ઊંડી ગર્તામાં સરી પડતી હોય છે. આ સમયે વ્યક્તિને તલાશ હોય છે કોઇ સહારાની? કોઈ સાંભળે, સમજે, સહાનુભૂતિ દાખવે, કોઈ ઈલાજ બતાવે, કોઈ પ્રકારે રાહત થાય એવી સહજ મનોદશા પણ વધુ પીડાજનક બની શકે. ડૂબતો માણસ તરણું પકડે તેમ હતાશા કે ચિંતામાં ડૂબકાં ખાતી આવી કેટલીક વ્યક્તિઓ ફેઇથ હીલર્સ, ધંધાદારી જ્યોતિષીઓ કે તાંત્રિકોનું શરણું શોધતી હોય છે.
આવા શઠવૃત્તિના, શેતાનીવૃત્તિ ધરાવનારા લોકો મૂંઝવણ-સંતાપમાં મૂકાયેલી વ્યક્તિના સમયસંજોગનો દુરુપયોગ કરે છે અને તેમને પોતાની જાળમાં ફસાવે છે. પોતે ફેઇથ હિલર્સ હોવાનો કે ચમત્કારિક શક્તિ ધરાવતા હોવાનો કે જંતરમંતર જાણતા હોવાનો દાવો કરે છે અને પછી વિધિવિધાન, દોષનિવારણના દોરા-ધાગા, માદળિયા, તાવીજો આપવાનું ડિંડવાણું ચલાવે છે. આધિ-વ્યાધિ-ઉપાધિ છ પ્રકારની હોય છે ત્યારે લોકોની ઉપાધિ દૂર કરવાનો ‘ધંધો’ પણ ખૂબ ફૂલેફાલે જ તેમાં કંઇ નવાઇ નથી.
વાચક મિત્રો, અહીં મને ભગવાન સોહમનો કિસ્સો યાદ આવે છે. આજથી ૫૦ વર્ષ પૂર્વે લંડનમાં ભગવાન સોહમ્ નામના જ્યોતિષ વિદ્યાના જાણકારનું નામ બહુ ગાજતું હતું. ભગવાન સોહમ્ એટલે આમ તો નડિયાદના ભાઇલાલભાઇ પટેલ. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ વેળા સેવાદળમાં બહુ સક્રિય યોગદાન આપ્યું હતું. મને યાદ છે કે હું દસ વર્ષની વયે દલાલ વિઠ્ઠલદાસ સોમચંદ વ્યાયામ શાળામાં જતો હતો ત્યારે તેઓ સેવાદળના અગ્રણી તરીકે મોખરાનું સ્થાન ધરાવતા હતા. અમને, બધા બાળકોને, તેઓ અંગકસરતના દાવપેચ શીખવે. કાળક્રમે દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો. સેવાદળ તેમજ કોંગ્રેસના કેટલાય સેવકો સરકારમાં ‘સાહેબ’ બની બેઠા. જેમણે દેશની સ્વતંત્રતા કાજે અંગ્રેજોની લાઠીનો માર ખાધો હતો, જેલની કાળ કોટડીમાં દિવસો વીતાવ્યા હતા તેવા ભાઇલાલભાઇ સહિતના કેટલાય સેવકો સામે જીવનનિર્વાહ તેમજ ભાવિ કારકિર્દીનો પ્રશ્ન ઉભો થયો. સેવકો અવનવા વ્યવસાયમાં જોતરાવા લાગ્યા. ભાઇલાલભાઇએ જ્યોતિષ શાસ્ત્રનો થોડો ઘણો અભ્યાસ કર્યો. ‘સોહમ્’ તખલ્લુસ ધારણ કર્યું. અને વડોદરાના રાવપુરા રોડ પર પંચમુખી મહાદેવની પોળના ખૂણે આવેલા મકાનના ઉપરના માળે જ્યોતિષ કાર્યાલય શરૂ કર્યું. પાટિયામાં તેમણે સૂત્ર લખાવ્યું હતુંઃ
હરે સોહમ્, હરે સોહમ્, સોહમ્ સોહમ્ હરે હરે,
હરે મોહન, હરે મોહન, મોહન મોહન હરે હરે.
આ સૂત્રમાં મોહન એટલે ગાંધીજી એવું આપણે માનવું રહ્યું. ભાઇલાલભાઇએ ભગવાન સોહમ્ નામે નવું સ્વરૂપ ધારણ કર્યું અને તેમનું ગાડું તો ભઇ, ચાલ્યું... અરે ચાલ્યું જ નહીં, પૂરપાટ દોડ્યું. મને આજે પણ યાદ છે કે પચાસના દસકામાં કેટકેટલા લોકો તેમને હાથ બતાવવા, પ્રશ્નોના ઉકેલ માટે આ ઓફિસમાં આવતા હતા. ભગવાન સોહમ્ તેમની રીતે માર્ગદર્શન આપે. અને જરૂર પડ્યે તાવીજ-માદળિયાં પણ આપતા હતા.
વાયરા સાથે વાત ઉડતાં ઉડતાં ગુજરાતથી બ્રિટન આવી પહોંચી - ભગવાન સોહમ્ નામના એક જ્યોતિષી પાસે મનુષ્યને પજવતી દરેક સમસ્યાનો ‘અકસીર ઇલાજ’ છે. દક્ષિણ લંડનના વોન્ડસવર્થ ટાઉનમાં તેમનું નિવાસસ્થાન અને ઓફિસ. એક બંગાળી તેમના મેનેજર તરીકે બધું કામકાજ સંભાળે. બીજો સ્ટાફ પણ ખરો. દેશ-દેશાવરના એસ્ટ્રોલોજી, પામિસ્ટ્રી સંબંધિત પ્રકાશનોમાં ભગવાન સોહમની આખું પાન ભરીને જાહેરખબરો છપાતી હતી. અરે, લંડનના ટ્યુબ સ્ટેશનોમાં પણ તેમની મોટી મોટી જાહેરખબરો નજરે પડતી હતી. તેઓ જુદા જુદા માધ્યમોમાં જાહેરખબર કરવા માટે વર્ષેદહાડે ૫૦ હજારથી વધુ પાઉન્ડ ફાળવતા હતા, અને તે પણ ૧૯૭૦ના દસકામાં! મિત્રો, આના પરથી તમે ભગવાન સોહમની ધીકતી કમાણીની કલ્પના કરી શકો છો. અરે, આપણા ‘ગુજરાત સમાચાર’માં પણ ૧૯૭૬થી ૧૯૭૮ દરમિયાન (લગભગ બે વર્ષ) પ્રતિ સપ્તાહ આખું પાન તેમની જાહેરખબર પ્રકાશિત થતી હતી.
તેઓ વિજ્ઞાપન પાછળ અઢળક નાણાં ખર્ચતા હતા તો સામે અઢળક કમાણી પણ કરતા હતા. જાતભાતના પ્રશ્નો સાથે લોકો તેમનો રૂબરૂ સંપર્ક તો કરતાં જ , પણ દુનિયાભરમાંથી - વેસ્ટ ઇંડીઝ, નાઇજીરિયા, સાઉથ આફ્રિકા જેવા દેશોમાંથી પોસ્ટ દ્વારા તેમને ત્યાં પ્રશ્નોનો ઢગલો થતો, અને સાથોસાથ પાઉન્ડનો પણ. પ્રશ્ન પૂછનારે મનીઓર્ડર કે પોસ્ટલ ઓર્ડરથી ફી મોકલી જ આપી હોય. જોકે અઢળક કમાણી કરતાં ભગવાન સોહમ્ માટે એટલું તો કહેવું જ રહ્યું કે તેઓ ઉદારમના પણ એટલા જ હતા. તેમણે અનેક નાની-મોટી સંસ્થાઓને દાન આપ્યું હતું. તેમના નિવાસસ્થાને મોટા ગજાના લોકોનો આવરોજાવરો રહેતો હતો. આમાં ગુજરાતના તે સમયના મુખ્ય પ્રધાન બાબુભાઇ જશભાઇ પટેલ પણ ખરા.
ભગવાન સોહમનો સૂરજ મધ્યાહને તપતો હતો ત્યારે સ્થાનિક અખબાર ‘સન્ડે પીપલ’એ એવો સનસનાટીભર્યો ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ પ્રકાશિત કર્યો કે સોહમના તાવીજ કે માદળિયામાં નાડાછડીના ટુકડા સિવાય કંઇ હોતું નથી. આ તો લોકો સાથે બનાવટ કરવાનું તૂત છે વગેરે વગેરે... પણ ‘સન્ડે પીપલ’ના સનસનાટીભર્યા રિપોર્ટનું સૂરસૂરિયું થઇ ગયું. લોકોની સોહમભક્તિમાં લેશમાત્ર ઓટ આવી નહોતી!
બ્રિટન હોય કે ભારત, આમ સમુદાયની આ જ તો (નબળી) માનસિકતા છેને? ભારતમાં પણ તમે જોયું, વાંચ્યું કે સાંભળ્યું જ હશે કે ફલાણા સંપ્રદાયના સાધુ કે સંત હત્યા કે ગેરરીતિના કેસમાં સંડોવાયેલા હોવાનું જાહેર થવા છતાં કે પછી કોઇ ગુરુનું નામ જાતીય શોષણના કેસમાં ચમકે છે તો પણ તેમના અનુયાયીઓની સંખ્યામાં કે તેમને મળતી દાન-દક્ષિણામાં ભાગ્યે જ કોઇ ઘટાડો થતો હોય છે.
જોકે આ બાબત વ્યક્તિગત શ્રદ્ધાની, વ્યક્તિગત માન્યતાની હોવાથી હું આ મુદ્દે કોઇ વિશેષ ટીપ્પણી કરવા તો માગતો નથી, પણ એટલું અવશ્ય કહીશ કે પોતપોતાના ધર્મ-પરંપરામાં શ્રદ્ધા જરૂર રાખવી, અંધશ્રદ્ધા નહીં. આંધળી ભક્તિ હંમેશા વિનાશના પંથે દોરી જતી હોય છે.
ભગવાન સોહમ્ જ્યોતિષી તરીકે કાર્યરત હતા, અઢળક કમાણી કરતા હતા તે બધું સાચું, પણ આજકાલના ઢોંગી-ધુતારા જેવા તાંત્રિક-માંત્રિકોની જેમ લોકોને નઠારી રીતે ફસાવતા નહોતા એ તો લખવું જ રહ્યું. આજે તો પોતાને ત્રિકાળ જ્ઞાની, અઘોર જ્ઞાની, જંતર-મંતરના નિષ્ણાત, અમુક દેવી કે દેવતા પોતાને હાજરાહાજુર હોવાની વાતો કરતા કે પછી ગમે તેવા જટિલ પ્રશ્નને ચપટી વગાડતાં દૂર કરી નાખવાની ઇશ્વરીય શક્તિ ધરાવતા હોવાનો દાવો કરતા લુચ્ચા-લફંગા જંતરમંતરના જાદુગરો, તાંત્રિકો ટાંપીને જ બેઠાં હોય છે. ક્યારે મુસીબતમાં સપડાયેલો ‘શિકાર’ આવે તેને લૂંટી લેવો. મુશ્કેલીમાં મૂકાયેલી વ્યક્તિનું આર્થિક શોષણ તો કરે જ કરે, આવા ધુતારાઓ ફાવતું મળી જાય તો જાતીય શોષણ કરતાં પણ ખચકાતા નથી. ખરેખર એક માનવ થઇને બીજા દુખિયારા-દુભાયેલા માનવનું શોષણ કરે તેના જેવું બીજું કોઇ અધમ કૃત્ય હોય શકે જ નહીં. જોકે ભગવાન સોહમ્ જુદી માટીના બનેલા હતા.
તેમણે એક વર્ષ મૌન પાળવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે અનેક લોકોએ આશ્ચર્યનો આંચકો અનુભવ્યો હતો. એક જ્યોતિષીનું મૌન એટલે ધીકતી કમાણીને જાકારો. ત્યારબાદ તેમણે કાયમ માટે બ્રિટન છોડીને ભારત પરત થવાનો અને જ્યોતિષ ક્ષેત્રેથી નિવૃત થવાનું નક્કી કર્યું. ભગવાન સોહમ્ સાથે મારા સંબંધો બહુ સારા હતા. અલબત્ત, એક સમયે અમારી વચ્ચે અમુક મુદ્દે ગેરસમજ પણ થઇ હતી. પણ માનવસંબંધોમાં આમાં ક્યાં કંઇ નવું છે?
બ્રિટનની વિદાય સમારંભના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તેમણે મને આમંત્રણ મોકલ્યું, અને ભારપૂર્વક આગ્રહ કરીને મને તેમની બાજુમાં બેસાડ્યો હતો. આ સમયે તેમણે નિખાલસતાપૂર્વક કબૂલ્યું કે ખરેખર તો આ માનસિક શોષણનો વ્યવસાય હતો અને છે. છેતરપિંડીનો વ્યવસાય છે. ‘એક યા બીજા કારણસર હું ભાન ભૂલીને આ વ્યવસાયમાં લપેટાયો હતો, અને તેના પ્રાયશ્ચિત રૂપે જ મેં મૌન પાળવા નિર્ણય કર્યો હતો.’
બીબીસી રેડિયોની એશિયા નેટ ચેનલમાં શુક્રવાર, ૨૦ ફેબ્રુઆરીએ સવારે ૧૦ વાગ્યે જંતરમંતરવાળાઓ, ફેઇથ હીલર્સ વગેરેના વિષયને કેન્દ્રમાં રાખીને એક રચનાત્મક, આવકારદાયક ચર્ચા થઇ હતી. જેમાં આવા બધા ફેઇથ હીલર્સ કઇ રીતે નબળા મનના લોકો સાથે છેતરપિંડી કરે છે, તેમનું શોષણ કરે છે તે મુદ્દાઓ આવરી લેવાયા હતા. અને હા, આ ચર્ચા એકપક્ષીય નહોતી. ચર્ચામાં ફેઇથ હીલર પણ ઉપસ્થિત હતા તો ડો. હરીશ મહેરા પણ જોડાયા હતા. ડો. મહેરા રેશનાલિસ્ટ તરીકે આગવી ઓળખ ધરાવે છે. તેઓ વહેમ, અંધશ્રદ્ધા, અયોગ્ય ધાર્મિક રીતરિવાજમાં માનતા જ નથી. જ્યારે જ્યારે કોઇ વ્યક્તિ આવા તથ્યહિન દાવા કરે છે ત્યારે તેઓ પ્રખર વિરોધ કરે છે. બીબીસી રેડિયો ચેનલના આ લાઇવ પ્રોગ્રામમાં શું ચર્ચાયું તે વિશે વધુ માહિતી આવતા અંકે. (ક્રમશઃ)