બ્રિસબેનઃ ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપના પ્રથમ બે મુકાબલામાં પરાજયનો સામનો કરનાર પાકિસ્તાનની ટીમની પરેશાનીઓ વધી ગઈ છે. ટીમ મેનેજમેન્ટથી લઈને પાકિસ્તાન સુધી આ બાબતની અસર દેખાઈ રહી છે. ટીમે વધતા દબાણના કારણે સોમવારે તેની પ્રેક્ટિસ પણ રદ કરી હતી. એક અહેવાલ અનુસાર, પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ ટીમના ખરાબ પ્રદર્શન સંદર્ભે તપાસનો આદેશ પણ આપી શકે છે.
પાકિસ્તાન વર્લ્ડ કપમાં ભારત બાદ વેસ્ટ ઇન્ડિઝ સામે પણ હારી ગયું છે. હવે તેનો મુકાબલો પહેલી માર્ચે બ્રિસબેનમાં ઝિમ્બાબ્વે સામે છે. ટીમે પોતાની તૈયારીઓને વધુ મજબૂત કરવા સોમવારે પ્રેક્ટિસ કરવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ તેને રદ કરી દીધી છે. ટીમ મેનેજમેન્ટે તેના સ્થાને સમીક્ષા મિટિંગનું આયોજન કર્યું હતું. જેમાં ટીમ મેનેજર નાવિદ અકરમ ચીમા તથા કોચ વકાર યુનુસે ખેલાડીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે ખેલાડીઓને નિષ્ફળતાઓને ભૂલી જઈને આગામી મેચો માટે સજ્જ થવા સલાહ આપી હતી.