આતંકવાદનો વિશ્વને અજગરભરડો

Wednesday 25th March 2015 06:07 EDT
 

આતંકવાદનો ખતરો માત્ર ભારત પર જ નહીં, વિશ્વભરમાં કેવો વિકરાળ બની રહ્યો છે તે વાતનો પુરાવો જમ્મુ- કાશ્મીરમાં માત્ર ૨૪ કલાકમાં થયેલા બે આતંકવાદી હુમલાઓ અને આ ઘટનાના ચાર જ દિવસ પહેલાં આફ્રિકન દેશ ટ્યુનીશિયામાં થયેલા આતંકવાદી હુમલા પરથી પુરવાર થાય છે. યમનમાં પણ બોમ્બ વિસ્ફોટમાં અનેક મરાયા છે. પાકિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલા તો વિશ્વ હવે ધ્યાનમાં લેતું જ નથી કેમ કે તેણે જ તો આતંકવાદના આ ઝેરીલા સાપને દૂધ પાઇને ઉછેર્યો છે. ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)એ તો અમેરિકાના ૧૦૦ સુરક્ષા અધિકારીઓ, મોવડીઓના નામ-સરનામા સાથે જાહેરાત કરી છે આ બધા તેમના ‘કિલ લિસ્ટ’માં છે.
જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી શાંતિનો માહોલ પ્રવર્તતો હતો. સુરક્ષા જવાનોએ સરહદ પર ટાંપીને બેઠેલા ઘુસણખોરોને ફાવવા દીધા નહોતા, પણ કોઇક છીંડામાંથી ઘુસી આવેલા આતંકવાદીઓએ કથુઆ અને સાંબા ક્ષેત્રમાં બે સુરક્ષા સ્થાનો - પોલીસ સ્ટેશન અને લશ્કરી છાવણીને નિશાન બનાવીને કરેલા હુમલાએ તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે. ગોળીબારમાં પાંચ નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે તો સુરક્ષા દળોએ બન્ને સ્થળે કરેલી વળતી કાર્યવાહીમાં ચાર આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. આ હુમલાની જવાબદારી કોઇ આતંકવાદી સંગઠને સ્વીકારી નથી, પણ માર્યા ગયેલા આતંકવાદીઓના કબજામાંથી મળેલો માલસામાન તેમનું પાકિસ્તાન ક્નેકશન સાબિત કરે છે. મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સૈયદને હવે ડહાપણની દાઢ ફૂટી છે. ગયા પખવાડિયે કાશ્મીરમાં અલગતાવાદી નેતા મસરત આલમને જેલમુક્ત કરનાર સૈયદ હવે પડોશી પાકિસ્તાનને આતંકવાદને અંકુશમાં રાખવાની ચીમકી આપી રહ્યા છે. તેમનું આવું ડહાપણ કેટલું કામ લાગશે તે તો સમય જ કહેશે, પણ અત્યારે તો નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે.
ટ્યુનીશિયામાં રાજધાની ટ્યુનીશમાં સંસદભવન પાસે જ આતંકવાદીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૨૮ લોકો માર્યા ગયા છે અને અનેક ઘવાયા છે. નજીકમાં જ વિખ્યાત બોરડો મ્યુઝિયમ આવેલું હોવાથી હુમલાનો ભોગ બનેલા હતભાગીઓમાં મોટા ભાગના (એક બ્રિટીશ મહિલા સહિત) વિદેશી પર્યટકો છે. લોહીતરસ્યા આતંકવાદી સંગઠન આઇએસે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ટ્યુનીશ સંસદમાં ત્રાસવાદવિરોધી કાયદા અંગે ચર્ચા ચાલતી હતી ત્યારે જ હુમલો થયો હતો. ત્રાસવાદનો આ એક વધુ વરવો અને ભયાવહ ચહેરો છે. બંદૂકની અણીએ દુનિયાને ડરાવવા માગતા આતંકવાદીઓ નિર્દોષને નિશાન બનાવી છે. સમગ્ર વિશ્વે આ બનાવને વખોડી કાઢ્યો છે. ટ્યુનીશિયામાં છેલ્લા ૧૩ વર્ષમાં આ સૌથી ભીષણ આતંકી હુમલો છે. આ પહેલાં ૨૦૦૨માં પર્યટકોમાં ભારે લોકપ્રિય દેરબા ટાપુને નિશાન બનાવાયો હતો. જેમાં ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ટ્યુનીશિયા ખોબા જેવડો અરબ - આફ્રિકી દેશ છે, પણ અહીં એ યાદ અપાવવું જરૂરી છે કે આરબ દેશોમાં સરમુખત્યારશાહી વિરોધી ક્રાંતિનો જુવાળ આ દેશમાંથી જ ઉઠ્યો હતો. દેશમાં ૨૦૧૧માં સરમુખત્યારશાહીનો અંત આવ્યો અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઇ ગઇ. પણ વિશ્વના કેટલાક દેશોમાં બન્યું છે તેમ અહીં પણ આઇએસનો પગપેસારો થયા બાદ સ્થિતી વણસવાની શરૂઆત થઇ છે. એક અંદાજ મુજબ લગભગ ૩૦૦૦ ટ્યુનીશ નાગરિક સીરિયા અને ઇરાકમાં સક્રિય આઇએસ સાથે જોડાઇને આતંકવાદ ફેલાવી રહ્યા છે. આમાંથી અમુક વતન પાછા ફરીને ટ્યુનીશિયાની શાંતિમાં પલિતો ચાંપશે તેવી દહેશત સરકારને હતી જ અને એવું જ થયું છે.
આઇએસના ઉદભવ પછી વૈશ્વિક આતંકવાદનો પડકાર વધુ ગંભીર બન્યો છે. હવે આ સમસ્યા કોઇ એકલદોકલ રાષ્ટ્રની નથી રહી. ત્રાસવાદના દૈત્યને નાથવા માટે આંતરરાષ્ટ્રીય સહકાર અનિવાર્ય બન્યો છે. ગયા વર્ષે સિડનીમાં આઇએસના પોસ્ટરધારી હુમલાખોર દ્વારા કેફેટેરિયા પર હુમલો. આ પછી પાકિસ્તાનના પેશાવરમાં આર્મી સ્કૂલમાં આતંકીઓએ માસુમ ભૂલકાંઓને રહેંસી નાંખ્યા. તાજેતરમાં પાકિસ્તાનમાં બે ચર્ચ પર ભીષણ આત્મઘાતી હુમલા થયા હતા. પાકિસ્તાનને તેના જ પાપે તાલિબાની આતંકવાદી કનડી રહ્યા છે તો પાકિસ્તાનમાં અડ્ડો જમાવીને બેઠેલાં લશ્કર-એ-તૈયબા, હરકત-ઉલ-અન્સાર જેવા આતંકવાદી સંગઠનો ભારતમાં લોહી વહાવી રહ્યા છે. નાઇજીરિયામાં બોકો હરમે લોકોનું જીવન હરામ કર્યું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ખાતમો કરી શકાયો નથી. અને હવે આઇએસની બર્બરતાથી ત્રાસવાદનો નવો ચહેરો સામે આવ્યો છે. ઇસ્લામિક કટ્ટરવાદ વધુ ખતરનાક બને તે પહેલાં તેના સામેની વૈશ્વિક લડાઇને વધુ તીવ્ર બનાવવાની સાથે સાચી દિશામાં લઇ જવાની જરૂર છે. અને આ માટે પાકિસ્તાનથી પ્રારંભ કરવાનું આવશ્યક ગણાશે.


comments powered by Disqus