ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં વટહુકમ દ્વારા ભારતીય નાગરિકત્વ ધારો, ૧૯૫૫માં સુધારા કરશે. સાત જાન્યુઆરીએ ગાંધીનગરમાં પ્રવાસી ભારતીય દિવસ શરૂ થાય તે પહેલાં જ આ કામ કરાશે. સરકાર વટહુકમ દ્વારા ખરડા પસાર કરાવી રહી છે તેમાં વધુ એકનો ઉમેરો થશે. સરકાર સંસદની અવગણના કરીને આ માર્ગ અપનાવી રહી હોવાની ટીકા પણ થશે.
આ વટહુકમ દ્વારા એક તારીખ નિશ્ચિત કરાશે. તે તારીખ સુધીમાં વર્તમાન પીઆઇઓ કાર્ડ ધારકને ઓસીઆઇને મળતા હક અને વિશેષાધિકારોની સમકક્ષ ગણાશે. મોદીએ તાજેતરમાં સીડનીમાં કહ્યું હતું કે બે મહિનાની અંદર પીઆઇઓ અને ઓસીઆઇ કાર્ડને મર્જ કરાશે. ગૃહ મંત્રાલયે ચાલુ મહિનાની શરૂઆતમાં સિટીઝનશિપ (સુધારા) ખરડો, 2014 રજૂ કર્યો હતો પરંતુ સંસદની કાર્યવાહી વારંવાર ખોરવાઈ જવાના કારણે ખરડો પસાર થઈ શક્યો ન હતો.
અધિકારીઓએ જણાવ્યું કે સરકાર માને છે કે સંસદના આગામી સત્ર સુધી (ફેબ્રુઆરી સુધી) રાહ જોવામાં આવશે તો વચન પાળ્યું નહીં ગણાય. ત્યાં સુધીમાં પીઆઇઓ-ઓસીઆઇ કાર્ડને મર્જ નહીં કરી શકાય તો મૂંઝવણભરી સ્થિતિ ગણાશે. તેથી ગૃહ મંત્રાલય એનઆરઆઇ લોકોને એક ગિફ્ટ તરીકે આ વટહુકમ લાવવા માંગે છે.
વડા પ્રધાનને આપેલું વચન પાળવા માટે આગામી પ્રવાસી ભારતીય દિવસ શ્રેષ્ઠ સમય ગણાશે. કેન્દ્રિય કેબિનેટની આગામી બેઠકમાં જ આ
મુદ્દો ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે.
