જમ્મુ-કાશ્મીરમાં શાંતિ માટે સ્થિરતા આવશ્યક

Wednesday 31st December 2014 08:08 EST
 

૮૭ બેઠક ધરાવતી વિધાનસભામાં મુફ્તી મહમ્મદ સઈદની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) ને ૨૮ બેઠક અને ભારતીય જનતા પક્ષને ૨૫ બેઠક મળી છે ત્યારે બન્ને પક્ષો ગઠબંધન સરકાર રચે તે જ હિતાવહ ગણી શકાય. અનેક રાજકીય સમીકરણો ઘડાઈ રહ્યાં છે. પીડીપી (૨૮ બેઠક), એનસી (૧૫ બેઠક) અને કોંગ્રેસ (૧૨ બેઠક) મળીને સરકાર રચી શકે અથવા ભાજપ અને એનસી અપક્ષોના સહકાર સાથે સરકાર રચી શકે તેવી તડજોડના પ્રયાસો ચાલી રહ્યાં છે. જોકે, બે-ત્રણ પક્ષોની સરકાર કેટલું લાંબુ ખેંચે તે પણ એક પ્રશ્ન છે. રાજકારણમાં કાયમી દુશ્મનાવટ હોતી નથી તેને ધ્યાનમાં રાખી કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે તો પીડીપીને સમર્થન આપવાની આગોતરી જાહેરાત પણ કરી દીધી છે.
આમ તો દરેક રાજકીય પક્ષનો પોતાનો એજન્ડા હોય છે. પીડીપીને ભાજપના કલમ ૩૭૦ની નાબૂદીના એજન્ડા સામે વિરોધ હોવા સાથે રાજ્યમાં આર્મીને અપાયેલી વિશેષ સત્તા સામે વાંધો છે. મહત્ત્વની અને નોંધપાત્ર બાબત એ છે કે પીડીપીને સૌથી વધુ બેઠક મુસ્લિમ પ્રભુત્વ હેઠળના કાશ્મીર ખીણ વિસ્તારમાંથી મળી છે અને ખીણ વિસ્તારમાં તેનો દબદબો રહ્યો છે. આની સામે ભાજપને સૌથી વધુ બેઠક હિન્દુ પ્રભુત્વ હેઠળના જમ્મુ વિસ્તારમાં મળી છે અને ખીણ કે લડાખ વિસ્તારમાં કોઈ બેઠક ન મળતા તેના મિશન-૪૪ને નિષ્ફળતા મળી છે.
આના કારણે જ હિન્દુ અને મુસ્લિમ વસ્તીના હિત સચવાય, બન્ને કોમ અને રાજ્યનો સર્વાંગી વિકાસ થઈ શકે તે માટે પીડીપી અને ભાજપ ગઠબંધન સરકાર રચાય તે સમયનો તકાજો છે. કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે પૂરતા ભંડોળની માગણી પણ આ સમીકરણથી સચવાશે. બન્ને પક્ષોના હિત ટકરાતા હોય ત્યારે થોડી છૂટછાટો મૂકાય તેમાં જ રાજકીય શાણપણ રહ્યું છે. નિર્ધારિત સ્થળે પહોંચવા માટે ‘એક કદમ તુમ ભી ચલો, એક કદમ હમ ભી ચલે’ની નીતિ અપનાવવી પડશે. કોમન મીનિમમ પ્રોગ્રામની રચના પણ કરી શકાય, જે કટોકટીકાળ પછી રચાયેલી જનતા સરકાર સમયે થયું હતું.


comments powered by Disqus