બેંગલુરુના ચર્ચ સ્ટ્રીટ વિસ્તારમાં બ્લાસ્ટઃ

Wednesday 31st December 2014 08:53 EST
 

બેંગલુરુના પોલિસ કમિશનરના જણાવ્યા પ્રમાણે રાત્રે ૮.૩૦ વાગ્યે થયેલા આ બ્લાસ્ટમાં આઈઈડીનો ઉપયોગ થયો છે. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી આ બ્લાસ્ટની વધુ તપાસમાં જોડાઇ છે. પોલીસે આ કેસમાં બે લોકોની અટકાયત કરી છે.
• ભારતના મોસ્ટ વોન્ટેડ ભાગેડું ગુનેગાર દાઉદ ઈબ્રાહીમની વાતચીતની ટેપ ગુપ્તચર તંત્રને પ્રથમવાર હાથ લાગી છે. આ ટેપમાં દુબઈ ખાતે દાઉદ ઈબ્રાહીમ તેના સાગરીતો સાથે વાત કરી રહેલો જણાય છે. પશ્ચિમી ગુપ્તચર સંસ્થાએ સેટેલાઈટ દ્વારા મેળવેલી આ વાતચીતમાં એક રીયલ એસ્ટેટ એજન્ટ પણ વાત કરી રહેલો જણાય છે. દાઉદે વાતચીતમાં કબૂલ કર્યું છે કે તેની પાસે કરાચીમાં બેનામી સંપત્તિની સેંકડો કરોડોનો વહેવાર છે. દાઉદ પોતે કહે છે કે તે વડાપ્રધાનથી ઓછો નથી અને પોતે જ કોર્ટ અને પોતે જ જજ છે. ગુપ્તચર માહિતી પ્રમાણે દાઉદ હાલમાં કરાચીના પોશ વિસ્તાર કિલફરનમાં હોવાનું સમર્થન મળ્યું છે.
• શ્રીલંકામાં પ્રમુખ રાજપક્ષે ફરી ચૂંટાઈ આવે તે માટે તેમના સમર્થનમાં કોલંબોમાં ગત સપ્તાહે એક ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડના અભિનેતા સલમાનખાન અને અભિનેત્રી જેક્વેલિન ફર્નાન્ડિઝે હાજરી આપી હતી. સલમાનની હાજરીથી ભારતમાં તમિલ સમુદાયમાં નારાજગી વ્યાપી હતી.
• પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છે કે મુંબઈ આતંકવાદી હુમલાના કેસમાં કાયદાકીય છીંડાને કારણે કથિત માસ્ટર માઇન્ડ ઝકિઉર રહેમાન લખવી જામીન મેળવવામાં સફળ રહ્યો છે. કોર્ટે કહ્યું છે કે નબળા પુરાવા, શંકાસ્પદ ફરિયાદમાં સંબંધિત ન હોય તેવી કલમોની નોંધણી, અવિરત ચાલતી સુનાવણી અને કહેવાતા પુરાવાઓને કારણે લખવીને જામીન આપવામાં આવ્યા છે.
• ઉત્તર ભારત તીવ્ર ઠંડીના સકંજામાં સપડાયું છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં તેમજ દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. દિલ્હીમાં રવિવારે પાંચ વર્ષની સૌથી નીચું તાપમાન ૨.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ઠંડી સાથે તીવ્ર ધુમ્મસને કારણે માર્ગ, ટ્રેન અને રેલ ટ્રાફિક અવરોધાયો છે. શ્રીનગરનું પ્રખ્યાત દાલ સરોવર અને પાણીના બીજા સ્રોતો પણ અંશતઃ થીજી ગયા છે. શ્રીનગરમાં ઋતુનું સૌથી નીચું તાપમાન ૧.૫ ડિગ્રીએ પહોંચ્યું હતું.
• આસામના સોનિતપુર, કોકરાઝાર અને ચિરાંગ જિલ્લાઓમાં ગત સપ્તાહે બોડો ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં ૭૦ આદિવાસીઓના મોત થયા હતા. બોડો ઉગ્રવાદીઓ સફાયો કરવા માટે લશ્કરે શુક્રવારે ઓપરેશન ઓલઆઉટ હેઠળ વિસ્તારમાં ૯૦૦૦થી વધુ સૈનિકો ઉતાર્યા હતા. તેમાં સશસ્ત્ર સીમા દળના ૨૦૦ સૈનિકોનો પણ સમાવેશ થાય છે.

• કેરળમાં ક્રિસમસના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયેલા ‘ઘર વાપસી’ કાર્યક્રમમાં એક હિન્દુ મંદિરમાં ૫૮ વ્યક્તિઓએ હિન્દુ ધર્મ અંગિકાર કર્યો હતો. હિન્દુ ધર્મ અપનાવનારા મોટા ભાગના ખ્રિસ્તી પરિવારના હતા. જો કે અલિગઢમાં હિન્દુ જાગરણ સમિતિએ જાહેર કરેલો ધર્માંતરણ કાર્યક્રમ રદ કર્યો હતો અને અલિગઢમાં ચાંપતા બંદોબસ્ત હેઠળ દિવસ શાંતિપૂર્ણ પસાર થયો હતો. વિશ્વ હિન્દુ પરિષદની કેન્દ્રીય કમિટીએ ધર્માંતરણ મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી પરંતુ કોઈ સ્વેચ્છાથી હિન્દુ બનવા આવે તો સંસ્થાતેને રોકીશે નહીં. 


comments powered by Disqus