માલવિયા-વાજપેયીને ભારત રત્નનાં વધામણાં

ગાંધીજીને નોબેલ પારિતોષિક કે ભારત રત્ન નહીં, પણ મોરારજી દેસાઈને ભારત રત્ન અને નિશાન-એ-પાકિસ્તાન!

હરિ દેસાઈ Wednesday 31st December 2014 07:56 EST
 

બનારસ હિન્દુ યુનિવર્સિટી (બીએચયુ)ના સંસ્થાપક અને અખિલ ભારતીય કોંગ્રેસ તથા હિન્દુ મહાસભાના અધ્યક્ષ રહેલા ડો. મદનમોહન માલવિયા તથા જનસંઘ અને ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ રહેલા અટલ બિહારી વાજપેયીને વડા પ્રધાન અને વારાણસીના સાંસદ એવા નરેન્દ્ર દામોદરદાસ મોદીની ભલામણથી ભારતનો સર્વોચ્ચ સન્માન-ઈલ્કાબ ‘ભારત રત્ન’ મળે ત્યારે સ્વાભાવિક રીતે જ હરખ થાય. ડો. માલવિયાને ભારત રત્ન મળ્યાનો હરખ કરનારાઓ કરતાં કવિહૃદય વાજપેયીને ભારત રત્ન મળ્યાનો હરખ કરનારાઓની સંખ્યા વધુ હોય એ સ્વાભાવિક છે. જોકે વડા પ્રધાન મોદીએ પહેલું નામ ડો. માલવિયાનું લીધું અને એ પછીના ક્રમે અટલજીનું એ વાતનો સવિશેષ હરખ કરવાનું અમોને મન થવું સ્વભાવિક છે. કારણ ? ૧૯૯૧માં દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ૫૬૨ રજવાડાંનું એકીકરણ કરીને ભારતનો વર્તમાન નક્શો તૈયાર કરવાનું યશસ્વી કામ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્ન આપતાં એમના સાથી-કાર્યકર અને ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનાં વડા પ્રધાન રહેલાં ઈંદિરા ગાંધીના વડા પ્રધાન રહેલા પુત્ર સ્વ. રાજીવ ગાંધીનું નામ સરદાર કરતાં આગળ લેવાયું હતું. એ વાત ઘણાને કઠી હતી. અમને પણ.

બ્રિટિશ હકૂમતનો વાવટો ભારત પરથી સંકોલાયો ત્યાર પછી ઈલકાબોની પરંપરાનો અંત આવવો જોઈતો હતો. રાજા-રજવાડાંની પરંપરા કરતાં લોકશાહી અને પ્રજાસત્તાક રાષ્ટ્રની પરંપરા નોખી થવી સ્વાભાવિક ગણાય. પરંતુ ૧૯૫૪થી ભારતીયોને પદ્મ એવોર્ડ અને ભારત રત્ન આપવાની પરંપરા શરૂ થઈ અને ખુદ પંડિત જવાહરલાલ નેહરુએ પણ ભારત રત્ન સ્વીકાર્યો અને ખોટી પરંપરા સ્થાપિત કરી. કારણ એ વેળા એ પોતે વડા પ્રધાન હતા એટલે દલા તરવાડીની જેમ તેમણે પોતાની સરકાર કનેથી પોતે જ ભારત રત્ન લીધો અને પોતાના અત્યંત નિકટના સાથી અને દેશના સ્વતંત્રતા સંગ્રામમાં અભૂતપૂર્વ યોગદાન કરનાર સરદાર પટેલને છેક વિસારે પાડ્યા. સરદાર પટેલને ખૂબ વિસારે પાડવા કે અન્યાય કરવાના કોંગ્રેસી યુગનો અંત આણવા નરેન્દ્ર મોદીએ સરદારના નામનો રાજકીય ઉપયોગ ખૂબ કર્યો, પરંતુ સરદાર પટેલને ભારત રત્નનો ઈલકાબ આપવાનું કામ રાજીવ ગાંધીની કોંગ્રેસના ટેકે સ્થપાયેલી અને ચાલતી ચંદ્રશેખરના વડપણવાળી કેન્દ્ર સરકારની ભલામણથી પી.વી. નરસિંહરાવની કોંગ્રેસ સરકારે જ કર્યું હતું. એ દરમિયાન રાજીવ ગાંધીની પણ હત્યા થઈ હતી એટલે સરદાર પટેલની સાથે જ રાજીવને પણ ભારત રત્નનું અલંકરણ થયું હતું. ઈંદિરાજીને તો પહેલેથી ભારત રત્ન મળી ચુક્યો હતો.
સૌ પ્રથમ ભારત રત્ન સી. રાજગોપાલાચારી મેળવી શક્યા. એ પછી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ અને પંડિત જવાહરલાલ નેહરુ (૧૯૫૫) તથા પંડિત ગોવિંદ વલ્લભ પંત (૧૯૫૭). મૌલાના આઝાદ આવા ઈલકાબોના વિરોધી હોવા છતાં ભારત સરકારે તેમને પણ ભારત રત્ન આપ્યો. સરદાર પટેલ પ્રતિમાઓ સ્થાપવાના વિરોધી હોવા છતાં એમની ગગનચુંબી પ્રતિમા સ્થાપવા માટે વર્તમાન વડા પ્રધાન મોદી જે રીતે મેદાને પડ્યા છે એવું જ અદ્દલ.
ગાંધીજીના અંતેવાસી મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા ત્યારે એમની સરકારમાં વિદેશ પ્રધાન અટલબિહારી વાજપેયી હતા અને માહિતી અને પ્રસારણ પ્રધાન લાલકૃષ્ણ અડવાણી હતા. સ્વયં મોરારજીભાઈ પ્રજાસત્તાક ભારતમાં આવા ઈનામ-અકરામના વિરોધી હોવાથી ૧૯૭૭થી ૧૯૮૦ દરમિયાન પદ્મ એવોર્ડ અને ભારત રત્ન આપવાની પરંપરા સ્થગિત કરાઈ હતી. એ પછી મામલો સુપ્રીમ કોર્ટે જતાં ૧૯૯૨થી ૯૮ દરમિયાન પર આવાં અલંકરણની પ્રથા બંધ રહી. સંયોગ તો જુઓ જે મોરારજી આવાં અલંકરણોના વિરોધી હતા તેમને ભારત સરકારે ભારત રત્ન આપ્યો એટલું જ નહીં, પાકિસ્તાન સરકારે પણ તેમને સર્વોચ્ચ ઈલકાબ ‘નિશાન-એ-પાકિસ્તાન’થી નવાજ્યા હતા! વાજપેયી સરકાર વખતે તત્કાલીન રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામે આવાં અલંકરણોની વિરુદ્ધ નોંધ પાઠવી હતી, પરંતુ સર્વોચ્ચ અદાલતે અમુક શરતો મૂકીને અને તમામ પદ્મ-એવોર્ડની સંખ્યાને ૫૦ કરતાં વધવા નહીં દઈને ચાલુ રાખવાનું બંધારણીય લેખાવતો ચુકાદો આપ્યો એટલે એ પરંપરા અખંડ રહી. આશ્ચર્યની વાત તો એ છે કે ડો. મદન મોહન માલવિયાને મરણોત્તર ભારત રત્ન અપાય છે, પરંતુ ગાંધીજીને ભારત રત્ન આપવાનું કોઈને સૂઝતું નથી. ગાંધીજીને તો ત્રણ-ત્રણ વાર નોબેલ પારિતોષિક મળતાં મળતાં રહી ગયું હતું. હકીકતમાં અહિંસાના આ પૂજારીને શાંતિનું નોબેલ પારિતોષિક એટલા માટે ના મળ્યું કે તેમણે પાકિસ્તાન પર આક્રમણની તરફેણ કરી હતી! ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઘણો મોટો વર્ગ ગાંધીજીને ભાગલા માટે જવાબદાર લેખતાં રાષ્ટ્રપિતા માનવાનો પણ ઈનકાર કરે છે. ઈતિહાસ ખૂબ કડવો હોય છે.
વડા પ્રધાન મોદી એ જ સંઘની પરંપરામાંથી કેન્દ્રસ્થાને સ્થાપિત થયા છે અને મહાત્મા ગાંધીને નામે સ્વચ્છતા અભિયાન સહિતની ઝુંબેશો છેડે છે. ગાંધીજીને નોબેલ પારિતોષિક મળે કે ભારત રત્ન મળે, એમાં પારિતોષિક કે અલંકરણનું મહાત્મ્ય વધે છે, ગાંધીજીને સ્વર્ગે સિધાવ્યા પછી આવાં અલંકરણોનો શો ખપ? મોદીએ સુભાષચંદ્ર બોઝને ભારત રત્ન આપવા ચાહ્યો, પણ એ હજુ જીવિત હોવાનું માનતા તેના પરિવારજનોએ એને સમર્થન આપ્યું નહીં. ભારત રત્ન જેમને અપાય એ માટે આંદોલનો ચાલે છે. વાજપેયીને ભારત રત્ન અપાય એ માટે ભાજપની નેતાગીરીએ રીતસર ઝુંબેશ ચલાવી હતી એ સર્વવિદિત છે. અટલજીને અભિનંદન આપીએ જરૂર, પણ આજની સ્થિતિમાં અટલજીને પણ આવાં અલંકરણોની જરૂર ક્યાં હતી?


comments powered by Disqus