લો, ઈસુ વર્ષ ૨૦૧૫નો સૂર્યોદય થઈ ગયો! ગુજરાતમાં ઈસાઈ પરિવારોના ઘર પર કાગળના તારકોની રોશની દેખાઈ તો નવી પેઢીએ - ધર્મસંપ્રદાયના કોઈ ખાસ વળગણ વિના - નાતાલથી તેની ઊજવણીની શરૂઆત કરી દીધી! સાન્તા ક્લોઝ અને તેના ખીસ્સા કે થેલીમાં રહેલી રંગબેરંગી ચીજવસ્તુઓથી બાળ રાજાઓ ખુશ કેમ ના થાય? મીણબત્તીના અજવાળે ચર્ચની ઘંટડીઓ રણકે છે ત્યારે પણ શૂળીએ ચડેલા ઈસુનું સ્મરણવંદન થયા વિના રહેતું નથી.
૨૦૧૪ પોતાનાં પગલાં ૨૦૧૫ની સમયરેત પર મૂકી ગયું છે. રાજકારણ, સમાજકારણ, વિદ્યાકારણ, અને અર્થકારણઃ આ તમામ ‘કારણ’ની પાછળનાં ‘કારણો’થી ૨૦૧૪ની બજારમાં ધમધમાટ વધી ગયો હતો. ગુજરાતના નસીબે આ વર્ષે જ ‘નવાં રાજકીય પ્રમાણ’નો અવસર આવ્યો. મોરારજીભાઈ દેસાઈ પછી પહેલા ‘ગુજરાતી’ વડા પ્રધાન દેશને મળ્યા. સ્વાભાવિક રીતે જ કોંગ્રેસના હોઠ પર ભાજપ કરતાં મોદીનું નામ વધુ આવે છે, કારણ ૧૯૭૪-૭૫માં તો ગુજરાતમાં ‘જનતા મોરચા’એ (જેમાં જનસંઘ, સંસ્થા કોંગ્રેસ, સમાજવાદ, લોકદળ એકત્રિત થયા હતા) પ્રથમ વાર બિનકોંગ્રેસી શાસનનો પ્રયોગ લગભગ એકાદ વરસ સુધી દર્શાવ્યો ત્યારથી પક્ષની પનોતી શરૂ થઈ તે ગુજરાતથી દિલ્હી સુધી પહોંચી અને આ વખતે તો મોદી વત્તા ભાજપે પોતાનાં જ બળ પર કેન્દ્રમાં સરકાર પણ રચી. કોંગ્રેસને પછી મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઝારખંડમાં પીછેહઠ કરવી પડી તેમાં આ ‘ગુજરાત’ અને ‘ગુજરાતી’નો ફાળો વધારે છે, જ્યાંથી કોંગ્રેસને બે મોટા મહા-રથી ગાંધીજી તેમ જ સરદાર વલ્લભભાઈ મળ્યા હતા, જેનાં નામ-સ્મરણ કોંગ્રેસ માટે આજે ય અનિવાર્ય બની ગયાં છે.
અને ગાંધીનું ગુજરાત
હવે વાત ગાંધીની આવી. ૨૦૧૪માં જ ‘ગુજરાતી’ વડા પ્રધાને ગાંધીજીના નામે સ્વચ્છતા સપ્તાહ અને ૧૯૧૯માં ગાંધીજીના ભારત-આગમનને ૧૦૦ વરસ પૂરાં થયાંની ઊજવણી ‘સ્વચ્છ ભારત’ અભિયાન સ્વરૂપે કરવાની જાહેરાત કરી. શું ભાજપ ગાંધીને પોતાની પાસેથી ખૂંચવી લેવા માગે છે? આ સવાલ હવે કોંગ્રેસી નેતાઓના મનમાં છે ત્યારે એક અતિઉત્સાહી યુવા કોંગ્રેસી નેતાથી કહેવાઈ ગયુંઃ કંઈ વાંધો નહીં. અમારી પાસે બીજા બે ‘ગાંધી’ (શ્રીમતી સોનિયા અને રાહુલ ગાંધી) તો બચ્યા છે ને?
દાદાભાઈની સ્મૃતિ
૨૦૧૪માં ગુજરાતે તેમના યશસ્વી પારસી-ગુજરાતી પુત્ર દાદાભાઈ નવરોજીને અનોખી રીતે યાદ કર્યા! પહેલી મે, ગુજરાત-રાજ્ય સ્થાપના દિવસે નવસારીમાં પ્રદેશ સરકારનો રાજ્યોત્સવ ઊજવવામાં આવ્યો તે ‘નવરત્ન નવસારી’ના નાટ્યસ્વરૂપે! ‘દેશના દાદા’ દાદાભાઈ નવરોજી અહીં જન્મ્યા હતા. મુંબઈમાં ઉછર્યા હતા, ત્યાંથી ‘રાસ્ત ગોફતાર’ નામે અખબાર પ્રકાશિત કર્યું હતું. ઇંગ્લેન્ડ જઈને પ્રથમ ભારતીય સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને પંડિત શ્યામજી કૃષ્ણવર્માની સાથે ‘ઇન્ડિયન હોમરુલ લીગ’ની સ્થાપના લંડનમાં કરી હતી. અમદાવાદને ‘માન્ચેસ્ટર’ બનાવનારી કાપડ મિલોના સ્વપ્નદૃષ્ટા રણછોડલાલ રેંટિયાવાળાને પહેલવેલી ‘કેલિકો મિલ’ ઊભી કરવા માટે લંડનથી તેમણે સહયોગ કરીને બે વાર યંત્ર સામગ્રી મોકલાવી હતી. (પહેલી વાર તે ખંભાતના કિનારે પહોંચે તે પહેલાં જ વહાણ દરિયામાં ડૂબી ગયેલું!)
લંડનમાં વહેણ અને વલણ
પરંતુ આ બધું હવે તો વિવાદના વમળમાં ફસાયેલું પ્રકરણ બની ગયું! કુસુમ વડગામા પણ તેમના પુસ્તકમાં ૧૯૦૫થી લંડનમાં રહેલા પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કે ૧૯૩૫માં લંડનમાં બેસીને પંડિતજીની જીવની લખનારા ઇન્દુલાલ યાજ્ઞિક અને ‘ઇન્ડિયા હાઉસ’નાં તેજસ્વિની મેડમ કામા વિશે કંઈ લખ્યું જ નથી એ માહિતીનો અ-ભાવ હશે?
મેઘનાદ દેસાઈનું સન્માન અને ઇતિહાસ પ્રશ્ન
ગાંધી-પ્રતિમા માટે દિલ્હીમાં રહીને પ્રયાસ કરનાર લોર્ડ મેઘનાદ દેસાઈ જાન્યુારીના પ્રથમ સપ્તાહમાં અમદાવાદમાં રાજ્યપાલ મહોદયના વરદ હસ્તે વિશ્વ ગુજરાતી સમાજનો પ્રથિતયશ ‘સરદાર વલ્લભભાઈ વિશ્વ પ્રતિભા એવોર્ડ’ પ્રાપ્ત કરશે. ગુજરાતી લોર્ડઝ સર્વશ્રી ભીખુભાઈ પારેખ, નવનીત ધોળકિયા, મેઘનાદ દેસાઈ અને બિલિમોરિયા રહ્યા છે, તેમની અલગ અલગ પ્રકારની કારકિર્દીને ગુજરાત પણ દૂર બેસીને નિહાળી રહ્યું છે. હમણાં લોર્ડ ભીખુ પારેખ એક બૌદ્ધિક ગોષ્ઠિ કરી ગયા તેના વિશે આ કોલમમાં લખાયું તેનો નિખાલસ જવાબ તેમણે આપ્યો તે છપાયો છે. આ ચર્ચાથી એટલું તો જરૂર થયું કે તટસ્થ બૌદ્ધિકોએ કોઈ ખાસ - પ્રત્યક્ષ કે પરોક્ષ - વળગણ રાખ્યા વિના, પક્ષપાત યા પૂર્વગ્રહથી દૂર રહીને પોતાના અભિપ્રાયો આપવા જોઈએ તે મુદ્દો સ્થાપિત થયો. હમણાં ૧૩ ડિસેમ્બરે કચ્છ-માંડવીના કોડાઈ રસ્તા પર ૭૨ જિન દેવાલયના વિશાળ પ્રાંગણમાં ગુજરાત ઇતિહાસ પરિષદનું અધિવેશન યોજાયું હતું. મારા પ્રારંભિક પ્રવચનમાં મેં ‘ઇતિહાસ અને ઇતિહાસબોધ’નો મુદ્દો સવિસ્તાર ચર્ચ્યો ત્યારે પણ આ વાતનો સંદર્ભ આવ્યો કે ઇતિહાસકાર અભ્યાસીએ કેવો ઇતિહાસ લખવો જોઈએ? તેમણે રોમિલા થાપરનો અનુસરવું જોઈએ કે રાધાકમલ મુખરજીને? જૂલેવર્ન નાનાસાહેબ પેશવાને ‘ડેમોન ઓફ કાનપુર’ ગણાવે તે સાચું કે પંડિત સુંદરલાલના ‘ભારતમાં અંગ્રેજી રાજ્ય’ ગ્રંથમાં આવતું નાનાસાહેબ વિશેનું વર્ણન સાચું? અરે, લંડનમાં જ બેસીને ઇન્ડિયા લાયબ્રેરીના દસ્તાવેજોનાં અધ્યયન પછી વિ. દા. સાવરકરે ૧૮૫૭ વિશે જે ગ્રંથ લખ્યો (જેને છપાતાં પહેલાં જ બ્રિટિશ સરકારે પ્રતિબંધિત કરી દીધો હતો અને ભારતમાં તે સરદાર ભગતસિંહના સાથીઓએ પ્રકાશિત કરેલો) તેમાં પણ નાનાસાહેબનાં તથ્યો છે. આમાંથી જ ઇતિહાસનાં પુનરાવલોકનનો અને પુનર્લેખનનો પ્રશ્ન ઊભો થાય છે. ગુજરાત અને ગુજરાતી તે વિશે સજાગ અને સક્રિય થયો તે ય ૨૦૧૪ની યાદગાર ઘટના ન ગણાય?
સમયરેતનાં પગલાં
૨૦૧૪માં ગુજરાતને પ્રાપ્ત થયેલાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન, ભાજપના પણ પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન - એ રાજકીય ઘટના છે. તો ધીરુભાઈ ઠાકર, ચૂનીભાઈ વૈદ્ય જેવાની વિદાય એ દુઃખદ ઘટનાઓ છે. ધીરુભાઈએ ગુજરાતમાં ‘વિશ્વકોશ’નું ઐતિહાસિક કામ કર્યું, હવે તે કુમારપાળ દેસાઈના મજબૂત ખભા પર આવ્યું છે. કવિ ચંદ્રકાંત શેઠ પણ તેમાં સાથીદાર છે. ધીરુભાઈ એક ઉત્તમ પ્રાધ્યાપક અને વિવેચક પણ ખરા. મણિલાલ દ્વિવેદી વિશેના તેમના આધિકારિક લેખનની ગણના આજેય થાય છે. છેલ્લા દિવસોમાં તેમને એક તરફથી કેન્દ્ર સરકારનો પદ્મ-એવોર્ડ મળ્યો તો બીજી તરફથી વિશ્વ ગુજરાતી સમાજનો ‘ગુજરાત પ્રતિભા એવોર્ડ’! ત્રીજી જાન્યુઆરીએ યોજાયેલા સમારંભમાં ધીરુભાઈ સમાજનો મરણોત્તર એવોર્ડ પ્રાપ્ત કરનારા વિદ્વદ્જન હશે!
હમણાં લંડનથી ‘ગુજરાત સમાચાર’ના નિયમિત વાચક વિનુ સચાણિયાએ એક લાંબા પત્ર સાથે કુસુમબેન વડગામાની લેખ-સામગ્રી મને મોકલી. કુસુમ વડગામાના ‘ઇન્ડિયા ઇન બ્રિટન’ પુસ્તકથી તો હું સુપરિચિત હતો પણ તેમણે એક બીજા પારસી - ગુજરાતી કોર્નેલિયા સોરાબજી (૧૮૬૬-૧૯૫૪)ની શાનદાર જીવનીને સુપ્રતિષ્ઠ કરી અને તેમનાં વિશે ‘An Indian Portia: Selected Writings’ પુસ્તક લખ્યું તેની રસપ્રદ જાણકારી આ પત્ર પછી જ મળી. નાઇરોબી, કેનિયામાં જન્મેલાં, ગાંધીજીની ચળવળથી પ્રેરિત થયેલાં, ૧૯૫૩માં ઇંગ્લેન્ડ નિવાસ કર્યા બાદ શિકાગોમાં વધુ અભ્યાસ કરીને વળી લંડન આવ્યાં. ત્યાં પણ ‘લંડન એકેડમી ઓફ મ્યુઝિક એન્ડ ડ્રામેટિક આર્ટ’માં અભ્યાસ કર્યો. તેમનાં ‘ઇન્ડિયા ઇન બ્રિટન’ પુસ્તકની પ્રસ્તાવના પ્રિન્સ ચાર્લ્સ અને તત્કાલીન વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ લખી છે. સરસ દસ્તાવેજી પુસ્તક છે અને તેમાં ગુજરાત - સૌરાષ્ટ્રના રાજવીઓ ઉપરાંત દાદાભાઈ નવરોજીની વિગતો (ફોટોગ્રાફ્સની સાથે) આપી છે (આ પુસ્તક તો ગુજરાતની સાહિત્ય કે ઇતિહાસની સંસ્થાઓએ ગુજરાતીમાં અનુવાદિત કરવા જેવું છે) કુસુમ વડગામાએ વાજબી રીતે લંડનમાં પાર્લામેન્ટ સામેના ચોકમાં દાદાભાઈની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ એવો અભિપ્રાય આપ્યો છે. ગાંધી-પ્રેમીઓએ તેનાથી દુઃખી ન થવું જોઈએ. બ્રિટનમાં કહે છે કે દસેક પ્રતિમા તો ગાંધીજીની છે જ, તો એકાદ જગ્યાએ દાદાભાઈને સુપ્રતિષ્ઠ કરાય તો તેમાં ખોટું શું? એમ તો પંડિત શ્યામજી કૃષ્ણવર્મા અને મેડમ કામાનાં નામ પણ ગણાવી શકાય,