‘લાયર્સ ડાઈસ’ ઓસ્કારની સ્પર્ધામાંથી બહાર
ઓસ્કાર એવોર્ડ માટે ભારતની સત્તાવાર ફિલ્મ ‘લાયર્સ ડાઈસ’ સ્પર્ધામાંથી બહાર ફેંકાઇ ગઈ છે. આ ફિલ્મ સર્વશ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ શ્રેણીમાં પસંદ કરાયેલી નવ ફિલ્મોમાં સ્થાન પામી શકી ન હતી.
આ શ્રેણીમાં ૮૩ ફિલ્મો હરિફાઇમાં હતી, જેમાંથી નવ ફિલ્મો પસંદ થઈ હતી. ‘લાયર્સ ડાઈસ’માં પોતાના ગૂમ થયેલા પતિની શોધ કરતી એક આદિવાસી મહિલાની કથા છે. ગીતૂ મોહનદાસની આ ફિલ્મમાં ગીતાંજલિ થાપા અને નવાઝુદ્દિન સિદ્દીકીએ મુખ્ય ભૂમિકા ભજવી છે.
અંતિમ યાદીમાંથી છેલ્લે પાંચ ફિલ્મોની પસંદગી કરવામાં આવશે જેમાંથી એક ફિલ્મ સર્વશ્રેષ્ઠ વિદેશી ભાષા ફિલ્મને ઓસ્કાર એવોર્ડ મળશે.
રહેમાન ફરીથી ઓસ્કારની રેસમાં
જોકે સારા સમાચાર એ છે કે બે વાર ઓસ્કર એવોર્ડ જીતી ચૂકેલા સંગીતકાર એ.આર. રહેમાન ફરીવાર ઓસ્કારની રેસમાં છે. ઓસ્કાર માટેની ઓરિજિનલ સ્કોર કેટેગરીમાં એ.આર. રહેમાનની ત્રણ એન્ટ્રીને સ્થાન મળ્યું છે. મિલિયન ડોલર આર્મ, હન્ડ્રેડ ફૂટ જર્ની અને ભારતીય ફિલ્મ કોચાડિયાનમાં રહેમાને આપેલા સંગીતને આ શ્રેણીમાં સમાવવામાં આવ્યું છે. આ યાદી જાહેર થયા બાદ અંતિમ યાદી ૧૫ જાન્યુઆરીએ જાહેર કરાશે અને ૨૨ ફેબ્રુઆરીએ ઓસ્કાર એવોર્ડ એનાયત કરાશે.
‘રાજેશ ખન્નાઃ કુછ તો લોગ કહેંગે’નું વિમોચન
બોલિવૂડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાના જીવન પર આધારિત લખાયેલા પુસ્તક ‘રાજેશ ખન્નાઃ કુછ તો લગો કહેંગે’નો વિમોચન તાજેતરમાં મુંબઇમાં થયું હતું. દંતકથા સમાન અભિનેતા રાજેશ ખન્નાના જીવનના પૃષ્ઠોને ખોલતા આ પુસ્તકના લેખક યાસિર ઉસ્માન છે અને તેનું લોકાર્પણ પૂર્વ વિદેશ પ્રધાન તથા કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે કર્યું હતું. ખાસ વાત એ છે કે રાજેશ ખન્નાના જીવનમાં અજાણી વાતો કહેતું આ પુસ્તક હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં યાસિરે જ પોતાના વિચાર રજૂ કર્યા છે. યાસિરે રાજેશ ખન્નાની સાથે કામ કરી ચૂકેલા અભિનેતા, દિગ્દર્શક અને નિર્મતાઓ સાથે વાત કરી તેમના જીવન અંગેની માહિતી મેળવી છે. યાસિરે જણાવ્યું હતું કે, આ પુસ્તકમાં ખન્નાની જિંદગીના ચઢાવ-ઉતાર અંગે જ વાત નથી કરી. પરંતુ પુસ્તકની કથા મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પણ સારા અને ખરાબ સમયને દર્શાવે છે. સલમાન ખુર્શીદે પણ રાજેશ ખન્ના સાથેની મૈત્રીનાં સંસ્મરણોને વાગોળ્યા હતા.