અમદાવાદ-લંડન સીધી ફ્લાઇટઃ ચોખીચટ વાત કરો

Wednesday 28th January 2015 07:14 EST
 

જે રાજ્યમાં તાજેતરમાં જ સંપન્ન થયેલી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં વૈશ્વિક મૂડીરોકાણકારોએ ૨૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાના કોલ-કરાર કર્યા હોય ત્યાં પૂરતી ઉડ્ડયન સેવાની ઉપલબ્ધતા આવશ્યક જ નહીં, અનિવાર્ય ગણાય. તેમણે રાજ્યના નાગરિક ઉડ્ડયન પ્રધાન અને એરપોર્ટ અધિકારીઓ સાથેની બેઠકમાં ગુજરાતની ઉડ્ડયન સેવા સાથે સંકળાયેલા અનેક મુદ્દે ચર્ચા કરી. જેમાં ધોલેરામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ગુજરાતને મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સાથે હવાઇમાર્ગે જોડવા, સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ એરપોર્ટ પર સુવિધાસજ્જ એર કાર્ગો, રાજકોટ, સુરત, ડીસા, કેશોદ એરપોર્ટના રનવેની લંબાઇ વધારવાના મુદ્દા સામેલ હતા. કેટલા મુદ્દા સ્થળ પર ઉકેલ્યા તો કેટલાકને દિલ્હી સાથે લઇ ગયા. રાજકોટ-દિલ્હી ફ્લાઇટ ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થઇ રહ્યાની જાહેરાત પણ કરી. જોકે તેમણે અમદાવાદ-લંડનની સીધી ફ્લાઇટ વિશે ‘બહુ રસપ્રદ’ નિવેદન કર્યું. ‘ગુજરાત સમાચાર’ના પ્રતિનિધિએ તેમને પૂછ્યું કે અમદાવાદ-લંડન સીધી ફ્લાઇટ ક્યારે શરૂ કરવાનું આયોજન છે? ત્યારે તેમનો જવાબ હતોઃ અમદાવાદ-લંડન સીધી ફ્લાઇટ માટે લાંબા સમયથી માગ છે, પણ પેસેન્જરનો પૂરતો ટ્રાફિક ન હોવાથી હાલ ફ્લાઇટ શરૂ કરવાનું આયોજન નથી.
માનનીય નાગરિક ઉડ્ડયન પ્રધાનને અમદાવાદ-લંડન રૂટ પર અવરજવર કરતાં પ્રવાસીઓનાં આંકડાઓ કોણે પૂરાં પાડ્યા છે તે તો આપણે નથી જાણતાં, પણ તેઓ એ વાતે ચોક્કસ અજાણ લાગે છે કે એક સમયે આ જ રૂટ પર સપ્તાહમાં ચાર ફ્લાઇટ ઓપરેટ થતી હતી. પેસેન્જરોનો ભારે ધસારો હશે ત્યારે જ આટલી ફ્લાઇટ ઓપરેટ થતી હશેને? તે વેળા પણ એર-ઇંડિયા પેસેન્જર ટ્રાફિકનું કારણ આગળ ધરીને સીધી ફ્લાઇટ શરૂ કરવાનું ટાળતી હતી. અનેક રજૂઆત પછી નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એર-ઇંડિયાએ સપ્તાહની એક ફ્લાઇટ શરૂ કરાવી. પછી તો પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા એક પછી એક ફ્લાઇટ શરૂ થતી ગઇ. હા, પછી યુપીએ સરકારના નાગરિક ઉડ્ડયન પ્રધાને એક ખાનગી એરલાઇનને લાભ કરાવવા એર-ઇંડિયાની ફ્લાઇટ બંધ કરાવી દીધી તે અલગ વાત છે.
આ વાત આઠેક વર્ષ જૂની છે. તો આ અરસામાં પેસેન્જરોનો પ્રવાહ ઘટ્યો હોય કે વધ્યો હોય? હવે જરા લંડનસ્થિત ભારતીય દૂતાવાસ ‘ઇંડિયા હાઉસ’માંથી ઇસ્યુ થતાં વિસાના આંકડા પર નજર નાખીએ. અહીંથી પ્રતિ સપ્તાહ ૭૦૦૦થી વધુ પ્રવાસી વિસા મેળવે છે. આમાંથી અંદાજે ૪૦ ટકા ગુજરાતી હોય છે. મતલબ કે ૨૮૦૦ થયા. આમાંથી અડધા ભલે દેશના બીજા ભાગમાં જતાં હોય, પણ બાકીના અડધા સીધા અમદાવાદ જતા હોય તો ૧૪૦૦ પ્રવાસી થયા. શું એક ફ્લાઇટ માટે આટલા પેસેન્જર પૂરતાં નથી?
આ ઉપરાંત, બીજા પણ કેટલાક આંકડા અમે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ધ્યાન પર મૂકવા માગીએ છીએ. બ્રિટન-ગુજરાત વચ્ચે કરતાં પ્રવાસ કરતાં લોકોમાં આશરે ૩૦ ટકા સિનિયર સિટીઝન હોય છે, ૧૫ ટકા મહિલા બાળકો સાથે પ્રવાસ કરતી હોય છે અને ૧૦થી ૧૫ ટકા પેસેન્જર શારીરિક અક્ષમતાના કારણોસર વ્હીલચેરમાં પ્રવાસ કરતા હોય છે.
નાગરિક ઉડ્ડયન પ્રધાનને અમારો સીધો અને સટ એક જ પ્રશ્ન છેઃ અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ ઓપરેટ કરવા તમારે કેટલા પેસેન્જર જોઇએ? તમારી પાસે પણ ગુજરાત-લંડન કે અમદાવાદ-લંડન વચ્ચે અવરજવર પ્રવાસીઓના આંકડાઓ તો હશે જ... તેને જાહેર કરો અને તમારા દાવાને સાચો ઠેરવો. અમે તો ગુજરાતના વેપારઉદ્યોગ ક્ષેત્રનાં સર્વોચ્ચ સંગઠન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (જીસીસીઆઇ)ના પ્રમુખ રાકેશભાઇ શાહને પણ અનુરોધ કર્યો છે કે ગુજરાતથી લંડન અવરજવર કરતાં પ્રવાસીઓનો સર્વે કરાવો. એક સ્વતંત્ર વેપાર-ઉદ્યોગ સંગઠન દ્વારા સ્થાનિક ટ્રાવેલ એજન્ટો અને એજન્સીઓ પાસેથી માહિતી એકત્ર કરીને જે ચિત્ર રજૂ થશે તેને તો માનશો ને?
છેલ્લા દસકામાં બન્ને પ્રદેશો વચ્ચેનો ટ્રાફિક ખૂબ વધ્યો છે. વિદ્યાર્થીથી માંડીને વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની અવરજવર વધી છે. વતનની મુલાકાતે આવતા ગુજરાતીઓ અને પ્રવાસન અર્થે ગુજરાત આવતા પ્રવાસીની સંખ્યા પણ વધી છે. આ બધાના આઠથી નવ કલાકના પ્રવાસ માટે ૧૪થી ૧૬ કલાક બગડે છે. ગુજરાતથી લંડન જતાં કે પરત ફરતાં પ્રવાસીને ટ્રાન્ઝીટ એરપોર્ટ પર ફરજીયાત ચાર-છ કલાક રોકાવું પડે છે. આ તો સમય અને નાણાંનો નર્યો વેડફાટ છે ને? રાજુસાહેબ, તમે પેસેન્જરના ટ્રાફિકની ચિંતા ન કરો. એક વખત એર-ઇંડિયાને રૂટ માટે મંજૂરી આપો. એર-ઇંડિયા માટે આ રૂટ કમાઉ દીકરો સાબિત થશે તેમાં બેમત ના હોઈ શકે.


comments powered by Disqus