દૈવી શક્તિના વિવિધ સ્વરૂપ

સી. બી. પટેલ Wednesday 28th January 2015 07:17 EST
 

વડીલો સહિત સહુ વાચકમિત્રો, ગયા ગુરુવારે કાર્યાલયમાં ગુજરાત સરકારના સક્ષમ અને માનવંતા વરિષ્ઠ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. નોંધપાત્ર સંખ્યામાં મહેમાનોની હાજરી હતી. આ પ્રસંગે ખાસ તો ત્રણ લોર્ડસ - નવનીત ધોળકિયા, ડોલર પોપટ અને રાજ લુંબા તેમ જ લંડન પાર્લામેન્ટ (એસેમ્બલી)ના સભ્ય નવીન શાહ ઉપરાંત અન્ય મહાનુભાવોએ હાજરી આપીને જે પ્રકારે વિવિધ પ્રશ્નોની ચર્ચાવિચારણા કરી તેથી આ સભા ચીરસ્મરણીય બની રહેશે તેમાં બેમત નથી. 

આ પ્રસંગે ચુડાસમાસાહેબે તેમના વક્તવ્યમાં ત્રણેક વખત પૂર્વ આયોજન સહિતના આકરા પરિશ્રમ તેમ જ અગાધ પ્રયાસો માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બિરદાવતા એવું નિવેદન કર્યું હતું કે તેઓ દૈવીશક્તિ ધરાવે છે. સમારંભમાં સહુ મહેમાનો હળ્યા-મળ્યા અને ભોજન કરીને વિખેરાયા...
...પણ આ સમારંભમાં હાજર એક મહેમાને બીજા દિવસે મને ફોન કરીને એવી લાગણી વ્યક્ત કરી કે નરેન્દ્રભાઇ સજ્જ અને સક્ષમ નેતા ખરા, પણ તેઓ દૈવીશક્તિ ધરાવતા હોવાનું કહીને આપણે તેમને ભગવાનનો દરજ્જો આપી રહ્યા હોય એવું તમને નથી લાગતું?
મારો સીધો જ જવાબ હતોઃ ના. તમારો પ્રશ્ન સમજી શકાય તેમ છે, પણ તમારા મંતવ્ય સાથે હું સંમત નથી.
સજ્જનને મારા જવાબથી નવાઇ તો લાગી, પણ પછી મેં તેમને મારો તર્ક સમજાવ્યો. મારું કહેવું હતું કે ચુડાસમાસાહેબના શબ્દોને તમે શબ્દશઃ પકડો તો ચોક્કસ તમે કહો છો એવો જ અર્થ નીકળે, પણ હું સમજું છું ત્યાં સુધી તેમના કહેવાનો ભાવાર્થ નરેન્દ્રભાઇને ભગવાન ગણાવવાનો તો નહોતો જ. મારા મતે, દરેક વ્યક્તિમાં ઊંડે ઊંડે શક્તિનો સ્રોત વહેતો હોય જ છે. વ્યક્તિ પોતાની સૂઝબૂઝ અને સમજશક્તિ અનુસાર આ શક્તિને પીછાણે, ખીલવે, જાળવે અને સદઉપયોગ કરે. વ્યક્તિ જ્યારે પોતાની આ હકારાત્મક શક્તિની ઉપેક્ષા કરીને નકારાત્મક ગુણોમાં તરબતર થઇ જાય ત્યારે તે રાક્ષસી વલણ ધરાવતી વ્યક્તિ ગણાય. અને જે વ્યક્તિ પોતાની અંદર ધરબાયેલું શક્તિનું આ તત્વ પીછાણે અને તેને સમાજ સેવાઅર્થે, કોઇ શુભકાર્યમાં સદુપયોગ કરવાનું નક્કી કરી તેમાં પોતાના પરિશ્રમનો સમન્વય સાધે તે દૈવીશક્તિ ગણાય. આવી દૈવીશક્તિ ધરાવતી વ્યક્તિ માત્ર અમુકની કુખે જ જન્મે કે ન જન્મે તે માનવું વાજબી નથી. વ્યક્તિએ અમુક શિક્ષણ મેળવ્યું છે કે કેમ તે વાત સાથે પણ તેને કોઇ નિસ્બત નથી. પરંતુ આપણે જ્યારે નરેન્દ્ર મોદીની વાત કરીએ છીએ ત્યારે કેટલાક સીમાચિહનો નજરમાં રાખવા જોઇએ.
આશરે પાંચ દાયકા પૂર્વે, ૧૪ વર્ષની વયે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં નિયમિત જતા હતા. ભણતાં ભણતાં જ, કુટુંબને સહાયરૂપ થવાની ભાવનાથી, તેઓ વડનગર રેલવે સ્ટેશને ચાની કિટલી ધરાવતા પિતાને મદદ કરવા પણ પહોંચી જતા હતા. આ બાળ નરેન્દ્રે ખૂબ વાંચન કર્યું. ચર્ચાસભાઓ, વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો. જાણ્યે-અજાણ્યે તેમની વિચારશક્તિ ખીલી. અને આ તમામ પ્રવૃત્તિઓ દરમિયાન (સમાજ માટે કંઇક કરી છૂટવાની ભાવના સાથે) પણ મનોમંથન તો ચાલતું જ હશે. સમય વીતવા સાથે તેમણે પોતાના આ વિચારોને એક યા બીજા પ્રકારે શબ્દદેહ આપ્યો. તેમણે કેટલું બધું લખ્યું છે - કેટલાય લેખો, વાર્તાઓ, અને કવિતાઓ પ્રકાશિત થયાં. તેમણે ભારે જહેમત ઉઠાવીને પોતાની જાતને કેળવી છે. આજે આપણે એ પણ યાદ કરવું રહ્યું કે સંઘ પરિવારના પ્રચારક તરીકે સેંકડો કે હજારો ઘંટીનો લોટ ચાખ્યો છે. આ દરેક સ્તરના ભોજને નરેન્દ્રભાઇ મોદીને કંઇકેટલાય પ્રકારના પાઠ શીખવ્યા હશે. આ બધાના પરિણામે તેમણે પોતાની અંદરની તાકાત ઓળખી છે અને તેનો મન, વચન, કર્મ દ્વારા ઉપયોગ કરી રહ્યા છે. આવું આધુનિક રાજકારણમાં ક્વચિત જ જોવા મળશે. જરા તમે જ કહો, ભારત ભાગ્યવિધાતાએ અત્યાર સુધીમાં કેટકેટલા મુખ્ય પ્રધાનો, કેટકેટલા વડા પ્રધાનો નિહાળ્યા છે, પણ આમાંથી કેટલાં લોકો નરેન્દ્રભાઇની જેમ સાવ સામાન્ય સ્તરેથી શરૂઆત કરીને આટલા ઊંચા સ્થાને પહોંચ્યા છે? કદાચ એક પણ નહીં. આપણે અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના ત્રણ દિવસના ભારત પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદીની શક્તિ, પ્રભાવના વધુ એક વખત સાક્ષી બન્યાં જ ને!
નામ મોટા અને વર્તનમાં ખોટાં...
આપ સહુએ ‘અલબેલા’ ફિલ્મમાં કોમેડિયન ભગવાન પર ફિલ્માવાયેલું એક જૂનું અને જાણીતું ગીત અચૂક સાંભળ્યું જ હશે.
મૂવી- અલબેલા - ૧૯૫૧
ગાયક - લત્તા મંગેશકર, સી. રામચંદ્ર
ગીતકાર- રાજેન્દ્ર કૃષ્ણ

ભોલી સુરત દિલ કે ખોટે,
નામ બડે ઔર દર્શન છોટે

નયે જમાને કે યે છૈલા,
ઉજલે કપડે દિલ હૈ મેલા,
રંગ-બિરંગી ઈનકી ટાઈ,
ઘર મેં લૈકીન કડકી છાયી,
ફૈશન મેં દિલ લોટે-પોટે
નામ બડે ઔર દર્શન છોટે

નયે જમાને કી યે નારી,
ઊંચી સેન્ડલ બાંકી સાડી,
નૈનો મેં કજરા, હોંઠો પે લાલી,
હાથ મેં કંગન, કાન મેં બાલી, કાન મેં બાલી
નૈનો મેં કજરા, હોંઠો પે લાલી,
નખરે બડે મોટે મોટે,
નામ બડે ઔર દર્શન છોટે

હુશ્ન ઔર ઈશ્ક કી યે લડાઈ,
શુરુ સે જગ મેં હોતી આયી,
ના કોઈ જીતે, ના કોઈ હારે,
અજી ક્યોં ન દિલ મિલ જાયેં પ્યારે,
ના હમ બડે, ના તુમ છોટે,
નામ બડે ઔર દર્શન છોટે
આ ગીત ભલે કોઇ ઢોંગી સાધુ-બાબાને વધુ લાગુ પડતું હોય, પણ આજે હું જે ઘટનાક્રમની વાત કરવાનો છે તેને પણ આ ગીત એકદમ બંધબેસતું જણાય છે. વાત ભલે હળવાશથી શરૂ કરી, પણ બહુ ભારે હૈયે રજૂઆત કરી રહ્યો છું. ઊંડા મનોમંથન બાદ આપણા સમાજની એક જાણીતી સંસ્થામાં બનેલી શરમજનક ઘટનાને અહીં ટાંકી છે. આ પ્રકારના સમાચારને લખવા કે નહીં તે વિશે પૂરા ૨૦ દિવસથી અવઢવમાં હતો. હું આ અંકમાં અન્યત્ર પણ સમાચાર તરીકે આ ઘટનાનો ઉલ્લેખ કરી શક્યો હોત, પણ તે મારી સ્ટાઇલ નથી. દરમિયાન આ જ સંસ્થાના એક સભ્યે મને ભારપૂર્વક સૂચવ્યું કે આપણા સમાજની અન્ય કોઇ સંસ્થામાં આવું અઘટિત વર્તન ન થાય તે માટે પણ તમારે કંઇક તો લખવું જ જોઇએ. અને મેં નક્કી કર્યું તેને આ કોલમમાં રજૂ કરવાનું.
ગત પાંચમી જાન્યુઆરીએ એક સંસ્થાની કમિટીની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો હતો ૧૫ ડિસેમ્બરે સંસ્થા દ્વારા ભારતના એક મહાન સપૂતની સ્મૃતિમાં યોજાયેલા સારા કહેવાય તેવા કાર્યક્રમનાં લેખાંજોખાં કરવાનો. કોઇ પણ સંસ્થા આવું મોટા પાયે આયોજન કર્યા બાદ તેની સફળતા-નિષ્ફળતાની સમીક્ષા કરવા આવી બેઠક યોજે તેમાં કંઇ નવું નથી. આવી બેઠકમાં કાર્યક્રમની સફળતા-નિષ્ફળતાના મુદ્દે મતભેદ વ્યક્ત થવા પણ સ્વાભાવિક હોય છે. કોઇ સભ્યને આયોજન સારું લાગ્યું હોય તો કોઇને વળી ક્યાંક કચાશ પણ જણાય હોય. તુંડે તુંડે મતિ ભિન્ના... સહુ કોઇ બેઠકમાં રજૂ થયેલા એકબીજાના વિચાર કે સૂચનને માન આપે અને ભવિષ્યમાં તે અંગે ઘટતું કરવાનું નક્કી કરે તે તંદુરસ્ત વલણ થયું. પણ આ બેઠકમાં આવું ન થયું.
ભારે દુઃખ અને શરમ સાથે કહેવું પડે છે કે બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચે ઉગ્ર શાબ્દિક ટપાટપી થઇ. અહીં સુધી તો સમજ્યા, બન્ને પોતાની માનમર્યાદા છોડીને એકબીજા સામે તું-તા પર આવી ગયા. વાત વણસી ગઇ. તમે મને તુંકારો કરીને મારું ઘોર અપમાન કર્યું છે એમ કહીને ઉપપ્રમુખે તો પ્રમુખને રીતસર ધાકધમકી જ આપી કે તમે મને ઓળખતા નથી... હું તો તલવાર વાપરી શકું છું, તમારું ગળું કાપી શકું તેમ છું... વગેરે વગેરે. મિટિંગમાં ભારે ઉશ્કેરાટ છવાઇ ગયો. કમિટીના સમજદાર સભ્યો વચ્ચે પડ્યા. સમજાવટથી મામલો થાળે પાડ્યો. બન્ને ‘મહાનુભાવો’ ટાઢા પડ્યા અને છેવટે એકબીજાને સોરી કહીને હાથ મિલાવ્યા. ઝઘડો સમેટાયો. મિટીંગ પૂરી કરીને સહુ છૂટા પડ્યા.
પણ પ્રમુખના મનમાં ઊંડે ઊંડે શું ચાલતું હશે ઇશ્વર જાણે. રાત્રેને રાત્રે જ તેમણે ઉપપ્રમુખ સામે પોલીસ ફરિયાદ નોંધાવી પોતાને હત્યાની ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો. આ દેશના પોલીસ તંત્રને તો તમે જાણો જ છો. કોઇને હત્યાની ધમકી આપવાનો ગુનો પણ ખૂબ જ ગંભીર ગણાય છે. હવે પોલીસ કામે લાગી છે. મિટીંગમાં હાજર
તમામ સભ્યોના નિવેદન લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મને જે સજ્જને રજૂઆત કરી તેમનું કહેવાનું હતું કે સભ્યો સંસ્થાના કામે મળ્યા હોય અને તેમાં વિચારભેદ હોય તો શું થયું? એક મહાપુરુષના નામે ચાલતી આ સંસ્થાને આવું શોભતું નથી. ધારો કે કોઇ મુદ્દે બોલાચાલી થઇ, પણ પછી સમજાવટથી મામલો થાળે પડી ગયો હોય અને બન્ને પક્ષકારોએ એકબીજાને સોરી કહીને દિલગીરી પણ વ્યક્ત કરી દીધી હોય. આ પછી પણ પોલીસ પાસે દોડી જવું એ તો ખોટું કહેવાય.
સજ્જનની વાતમાં દમ તો છે જ. વાચક મિત્રો, હું પણ તેમની વાત સાથે સંમત છું. તમે કે હું કોઇ આ મિટિંગમાં હાજર નહોતા, તેથી સાચું કોણ અને ખોટું કોણ તે આપણે નથી જાણતા, પણ એક વખત સમાધાન થઇ ગયા પછી પોલીસ ફરિયાદ કરવી એ વલણ વાજબી તો નથી જ ને?!
મને આ ઘટના સંદર્ભે વીસેક ઇમેઇલ આવ્યા છે. કોઇમાં પ્રમુખની તરફેણમાં વાત છે તો કોઇમાં ઉપપ્રમુખની તરફેણમાં. બન્ને પક્ષને પોતાનો દૃષ્ટિકોણ જ સાચો લાગે તેમાં કંઇ નવાઇ નથી, સંસ્થાની કમિટીની મિટીંગ તાકીદે બોલાવવી અને આ મુદ્દે ચર્ચાવિચારણા થાય તે સંસ્થાના હિતમાં હોવા છતાં જ્યારે મન આટલી હદે આળાં થયાં હોય ત્યારે થોડો સમય રાહ જોવામાં ડહાપણ ગણાય.
મિત્રો, આ સંસ્થાના હોદ્દેદારોના નામ જાહેર કરીને તેમના માટે નીચાજોણું કરવા માગતો નથી, પણ સૌ સંસ્થાના હોદ્દેદારોને એટલી વિનંતી અવશ્ય કરીશ કે તમારા વિચાર, વાણી અને વર્તનમાં સાબદા રહો. કોઇ પણ સંસ્થા હોય, આપણે તેમાં જોડાયા હોઇએ અને તેમાં પણ કોઇ હોદ્દો મળ્યો હોય ત્યારે તો આપણી જવાબદારી ખાસ વધી જાય છે. આપણે સંસ્થાના હિતમાં યથામતિ, યથાશક્તિ સહયોગ આપવો જોઇએ. ટાંટિયાખેંચ કરવાનું ટાળો. અન્ય પર દોષારોપણ કે આક્ષેપબાજી કરવાનું વલણ નેતૃત્વની મનોવાંચ્છના ધરાવતા લોકો માટે નુકસાનકારક છે, શરમજનક છે. આમાં પણ મિટીંગમાં ચડભડ થાય, આક્રોશ વ્યક્ત થાય અને સમાધાનનો હાથ મિલાવ્યા પછી પોલીસ ફરિયાદ કરવાનું તો શોભે જ નહીં. તમે મારું અપમાન કર્યું કે તમે માનભેર ન બોલાવ્યો તેવા મુદ્દે તલવાર ખેંચવા જેવું વલણ પણ શોભાસ્પદ નથી.
તમે કોઇ પણ સંસ્થામાં હોદ્દેદાર તરીકે કાર્યરત હો, નરેન્દ્ર મોદીના ઉદાહરણને નજરમાં રાખો. એક નેતા તરીકે તેમના પર કેટલા માછલા ધોવાયા, બદનામ કરવાના કેટલા બધા પ્રયાસ થયા, અરે... વિરોધ પક્ષના તો ઠીક, પોતાના જ પક્ષમાંથી પણ તેમના પર ટીકાના તીર છૂટ્યા હતા, વિરોધનો સૂર ઉઠ્યો હતો, છતાં તેઓ તેમના ધ્યેયમાંથી ચલિત થયા નહોતા. પૂરી ઇમાનદારી સાથે તેઓ તેમની કામગીરીને વળગી રહ્યા. તમામ ટીકાટીપ્પણ વચ્ચે તેઓ જલકમલવત્ રહ્યા અને પોતાની શક્તિને કેન્દ્રીત કરીને આગેકૂચ કરતા રહ્યા છે. આજે પરિણામ આપણી નજર સમક્ષ છે. તેઓ સમાજના લગભગ તમામ વર્ગનું સમર્થન ધરાવતા મજબૂત, સક્ષમ નેતા તરીકે ઉભર્યા છે.
તમામ સંસ્થાના હોદ્દદારોને હું એટલું જ કહેવા માગું છું કે આવા મોટા હોદ્દે સમાજે તમને બેસાડ્યા છે તો માથું નહીં, મન મોટું રાખો, હૃદય મોટું રાખો. કોઇ કોઇનો અંત આણી શકતું નથી. આપ સહુને મારી જ વાત કરું તો... એક સંસ્થાએ અઘટિત પગલું ભરીને મને સ્થાપક સભ્યપદેથી હાંકી કાઢ્યો. મેં હકાલપટ્ટીના આ નિર્ણયને પડકાર્યો. તેમણે રજૂ કરેલા દરેક દરેક વાંધાના જવાબ માગ્યા. મોડા મોડા પણ તેમને સત્યનું ભાન થયું અને મારી માફી માગી સભ્યપદ રદ કરતો નિર્ણય પાછો ખેંચ્યો. બસ, રાત ગઇ તો બાત ગઇ. આ પછી હકાલપટ્ટી કરનાર તે જ હોદ્દેદારોને એકથી વધુ વખત મળ્યો છું, પણ મેં ક્યારેય તે ઘટનાનું પિષ્ટપેષણ કર્યું નથી. જીવનમાં સુખી થવું છે? ભલા માણસ, કડવાશને ભૂલતાં શીખો, મીઠાશને ઘોળતા શીખો.
આધુનિક યુગની દેન - સ્થળાંતર
આધુનિક યુગમાં સ્થળાંતર વધુને વધુ વ્યાપક બની રહ્યું છે. બ્રિટનના કેટલાક અખબારોમાં સનસનાટીભર્યા સમાચાર જોવા મળે છે કે લગભગ ૧૬ વર્ષમાં તો બૃહદ લંડનના રહેવાસીઓમાંથી ૫૦ ટકાથી વધુ વિદેશમાં જન્મેલા હશે. અહીં હું ઇમિગ્રેશનના રાજકારણલક્ષી ચર્ચા કરવા માગતો નથી, પણ મને, તમને અને સહુને એક યા બીજી રીતે સ્પર્શતા મુદ્દા અંગે અંગૂલીનિર્દેશ કરવા માગું છું.
અમેરિકાની સેનેટની ચૂંટણીમાં સુશ્રી કમલા હેરિસે ઝૂકાવ્યું છે. સુશિક્ષિત, પ્રતિભાશાળી અને મહત્ત્વાકાંક્ષી એવા આ સન્નારી સેનેટમાં ચૂંટાશે તો યુએસ સેનેટમાં બિરાજનાર પ્રથમ ભારતીય વંશજ તરીકે નવો વિક્રમ સ્થાપશે. આ કમલા હેરિસ વિશે આપ સહુ કદાચ વધુ જાણતા નહીં તો જણાવવાની રજા લઉં. તેમના માતુશ્રી દક્ષિણ ભારતમાં ઉચ્ચ શિક્ષા મેળવી અમેરિકામાં સ્થાયી થયા. સમયના વહેવા સાથે એક જમૈકન-અમેરિકન સાથે લગ્ન કર્યા. તેમનું સંતાન એટલે કમલા. આવો જ એક બીજો દાખલો લઇએ. ગયા સપ્તાહના ગુજરાત સમાચાર-એશિયન વોઇસમાં આપ સહુએ અમેરિકાના ભારત ખાતેના નવનિયુક્ત એમ્બેસેડર રિચાર્ડ રાહુલ વર્મા વિશે વાંચ્યું હશે. ભારતીય-અમેરિકન રાહુલ વર્માના પત્ની આર્મેનિયન છે. ત્રીજો એક દાખલો જોઇએ. તાજેતરમાં કેનેડાના ભારત ખાતેના એમ્બેસેડર તરીકે નાદિર પટેલની નિમણૂક થઇ છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે નાદિર પટેલ મૂળ ગુજરાતી છે. ગુજરાત સમાચારના વર્ષોજૂના વાચક અને મારા મિત્ર મોહમ્મદ પીરભાઇના જણાવ્યા પ્રમાણે, નાદિરભાઇના પિતા યુસુફભાઇ વર્ષોપૂર્વે ભારતથી કેનેડા જઇ વસ્યા હતા. આ પરિવાર મૂળ અંકલેશ્વર પાસેના કાપોદ્રાનો વતની છે.
આમ એક અર્થમાં આપણા સહુની જીવનશૈલી અને નવા યુગના પ્રવાહો અનુસાર સમાજમાં મિશ્ર જાતિના સંતાનોની સંખ્યા વધી રહી છે. ભારતીયતાની વાત કરીએ ત્યારે આપણા આ સંતાનોમાં આપણો સંસ્કારવારસો જળવાય રહે તે જોવાની ફરજ આપણી છે. મારી છે, તમારી છે. અમે તાજેતરમાં એકથી વધુ વડીલ સન્માન સમારંભ યોજ્યા છે તેનો મુખ્ય ઉદ્દેશ વડીલો, સંતાનો અને તેમના પણ સંતાનો વચ્ચેનો નાતો વધુ મજબૂત બનાવવાનો છે. વડીલો સાથે સંતાનો કે તેમના સંતાનોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંસ્કાર વારસા સાથે જોડવાની આપણી ફરજ છે.
(ક્રમશઃ)


comments powered by Disqus