કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) દ્વારા એક આશ્ચર્યજનક નિવેદનમાં વન-ડે ટીમના કેપ્ટન તરીકે અઝહર અલીના નામની જાહેરાત કરવામાં આવી છે. ૩૦ વર્ષીય અઝહર અલીએ ૧૪ વન-ડેમાં ૪૫૨ રન નોંધાવ્યા છે અને તે છેલ્લી વન-ડે બે વર્ષ પૂર્વે જાન્યુઆરી-૨૦૧૩માં ભારત સામે રમ્યો હતો. મિસ્બાહ-ઉલ-હકને ટેસ્ટ ટીમના અને શાહિદ આફ્રિદીને ટ્વેન્ટી-૨૦ ટીમના કેપ્ટન તરીકે યથાવત્ રાખવામાં આવ્યા છે. અઝહર અલી વન-ડેમાં ૪૧ રનની એવરેજ ધરાવતો હોવા છતાં તેને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું. અલબત્ત, ટેસ્ટ ટીમમાં અઝહર નિયમિત સભ્ય છે. વન-ડેમાં વાઇસ કેપ્ટન તરીકે સરફરાઝ અહેમદની વરણની કરવામાં આવી છે. પાકિસ્તાનની ટીમ આવતા મહિને બાંગ્લાદેશ પ્રવાસે જઇ રહી છે.