ઇશાન ભારતમાં આશાનું કિરણ

Wednesday 03rd June 2015 05:36 EDT
 

ઇશાન ભારતીય રાજ્ય ત્રિપુરાના નાગરિકો માટે રાહતના સમાચાર છે. મુખ્ય પ્રધાન માણિક સરકારના નેતૃત્વ હેઠળની ડાબેરી મોરચા સરકારે રાજ્યમાં ૧૮ વર્ષથી લાગુ આર્મ્ડ ફોર્સિસ સ્પેશ્યલ પાવર એક્ટ ૧૯૫૮ (AFSPA - ‘આફસ્પા’) પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે. સુરક્ષા દળોને એક-બે નહીં, અનેક વિશેષાધિકારો આપતો આ કાયદો લોકો માટે દુઃસ્વપ્ન સમાન બની ગયો હતો. રાજ્યમાં ૧૯૯૦ના દસકામાં સ્થાનિક અલગતાવાદી તત્વોએ કેર વર્તાવ્યો હતો. રાજ્ય પોલીસ તેમને કાબુમાં લેવામાં અસમર્થ જણાતાં ૧૯૯૭માં ‘આફસ્પા’ લાદવામાં આવ્યો. આ ઉપરાંત, પંજાબમાં ત્રાસવાદને લગભગ નેસ્તનાબૂદ કરી નાંખનાર જાંબાઝ પોલીસ અધિકારી કે. પી. એસ. ગિલને ત્રિપુરાને હવાલો સોંપવામાં આવ્યો હતો. આ પછી અંતિમવાદીઓ તો અંકુશમાં આવી ગયા હતા, પણ દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ તેમ ફરી આતંકવાદ માથું ઊંચકશે તેવી આશંકા હોય કે પછી પ્રાદેશિક રાજકારણ નડતું હોય, ‘આફસ્પા’ હટાવવા કોઇ તૈયાર નહોતું. છેવટે રાજ્ય સરકારે કાયદો હટાવવા પહેલ કરી છે. ઇશાન ભારતના આ રાજ્યમાં છેલ્લાં ઘણાં વર્ષોથી શાંતિ પ્રવર્તતી હોવાથી માણિક સરકારે ‘આફસ્પા’ પાછો ખેંચવાની કાર્યવાહી હાથ ધરી છે.
‘આફસ્પા’ લાગુ કરવા પાછળ આતંકવાદને નાથવાનો ઉમદા ઇરાદો હોવા છતાં માનવાધિકારવાદીઓ વર્ષોથી તેનો વિરોધ કરતા હતા કેમ કે ઘણા સ્થળે કાયદાનો દુરુપયોગ થયો હતો. ‘આફસ્પા’ હેઠળ અમર્યાદિત વિશેષાધિકાર ધરાવતા જવાનો ગમે ત્યારે માનવવસ્તીમાં ઘૂસી શકે છે, પૂછપરછના નામે ગમે તેને ઉઠાવી શકે છે, સ્હેજ પણ અશાંતિ જણાય તો ગોળીબાર કરી શકે છે અને છતાંય સિવિલ કોર્ટ ગુનેગાર જવાનોને દંડી શકતી નથી. કોઇ કાયદો સામાન્યપણે ખરાબ હોતો નથી, તેનો અમલ કરનારાની સૂઝબૂઝ પર તેના સારા-નરસાં પાસાનો આધાર હોય છે. ‘આફસ્પા’માં પણ આવું જ હતું. સૂકા ભેગું લીલું બળતું હોવાથી લોકોમાં કચવાટ હતો.
‘આફસ્પા’ના દુરુપયોગનું સૌથી કલંકિત પ્રકરણ મણિપુરમાં નોંધાયું છે. નવેમ્બર-૨૦૦૦માં મણિપુરના માલોમ નામના શહેરમાં આસામ રાઇફલના જવાનોએ લોકોની ભીડવાળા વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો, જેમાં દસ નિર્દોષ માર્યા ગયા હતા. મૃતકોમાં ૧૮ વર્ષની એક યુવતી પણ સામેલ હતી, જેને ૧૯૮૮માં છ વર્ષની વયે બહાદુરી દાખવવા માટે ભારત સરકારે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરી હતી. આ ઘટનાએ ૨૮ વર્ષની શર્મિલા ઇરોમ નામની યુવતીને હચમચાવી નાખી અને તેણે રાજ્યમાંથી ‘આફસ્પા’ હટાવવાની માગ સાથે આમરણ ઉપવાસ શરૂ કર્યા, જે આજે એક દસકા પછી પણ ચાલુ છે. તંત્ર (પોતાની લાજ બચાવવા) બળજબરીથી નળી વાટે શર્મિલાના શરીરમાં પોષણ પહોંચાડે છે, પરંતુ શર્મિલા ઉપવાસ છોડવા તૈયાર નથી. શર્મિલા કોઈ રાજકીય પક્ષ કે સંગઠનની સભ્ય નથી, પણ તે એટલું જાણે છે કે મણિપુરમાં લશ્કરી જવાનોના અતિરેકની આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે અને એનું કારણ છે ‘આફસ્પા’ હેઠળ તેમને મળતા વિશેષાધિકારો.
માત્ર મણિપુરમાં જ નહીં, ભારતનાં જે પણ અશાંત રાજ્યોમાં ‘આફસ્પા’ અમલી છે ત્યાં એક યા બીજા સમયે આવી ઘટનાઓ નોંધાઇ છે. આથી જ સ્થાનિક પ્રજામાં ‘આફસ્પા’ સામે આક્રોશ જોવા મળે છે. ત્રિપુરામાં ‘આફસ્પા’ પાછો ખેંચાવાની જાહેરાત સાથે જ હવે ઈશાન ભારતના અન્ય રાજ્યો મણિપુર, આસામ અને નાગાલેન્ડમાંથી પણ આ એક્ટનો અમલ પાછો ખેંચાવાની આશા જાગી છે. આતંકવાદગ્રસ્ત જમ્મુ અને કાશ્મીર તો લાંબા સમયથી ‘આફસ્પા’ નાબૂદ કરવાની થઇ રહી છે. કાશ્મીર ખીણમાં તો આ કાયદાને ખતમ કરવાની માગણી સાથે લોકોએ ત્રણેક વર્ષ પહેલાં હિંસક આંદોલન પણ કર્યું હતું. જોકે અન્ય રાજ્યોની સરખામણીમાં જમ્મુ-કાશ્મીરની સ્થિતિ સ્ફોટક અને ગંભીર છે.
ઈશાનના અન્ય રાજ્યોમાં તો સત્તાધિશો માટે સ્થાનિક પ્રજાનો સાથસહકાર લઇને આતંકવાદીઓનો સફાયો કરવાનું કે તેને અંકુશમાં લેવાનું શક્ય બન્યું છે, પરંતુ કાશ્મીરમાં આવી શક્યતા ઘણી ઓછી જણાય છે. કાશ્મીર ખીણપ્રદેશમાં અત્યાર સુધીનો અનુભવ એવો રહ્યો છે કે આતંકવાદીઓને ખતમ કરવા માટે સ્થાનિક પ્રજાનો જેટલો સહકાર મળવો જોઇએ તેટલો મળ્યો નથી. પડોશી પાકિસ્તાનમાંથી કાશ્મીરમાં સક્રિય આતંકવવાદીઓને સતત મળતું પ્રોત્સાહન અને ભારતીય શાસકોની - મતબેન્ક આધારિત -થાબડભાણાંની નીતિને કારણે રાજ્યમાં અલગતાવાદે ઊંડી જડ ઘાલી છે. કાશ્મીર પ્રદેશમાં સક્રિય અલગતાવાદીઓએ છેલ્લા એક જ મહિનામાં બે વખત પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ સાથે જાહેર રેલી યોજીને ભારતવિરોધી સૂત્રોચ્ચાર કર્યા છે તે હકીકત છે. આમ પ્રવર્તમાન સંજોગો જોતાં જમ્મુ-કાશ્મીરમાંથી તો ‘આફસ્પા’ રદ થવાની કોઇ શક્યતા જણાતી નથી, પરંતુ ત્રિપુરા સરકારના નિર્ણયને પગલે ઈશાન ભારતના અન્ય રાજ્યો માટે જરૂર આશાનું કિરણ જાગ્યું છે.


comments powered by Disqus