વડીલો સહિત સહુ વાચક મિત્રો, વેમ્બલીના ઇલિંગ રોડ સ્થિત શ્રી સનાતન હિન્દુ મંદિરનો પંચમ્ પાટોત્સવ પર્વ ખૂબ ઉમંગ-ઉલ્લાસપૂર્વક ઉજવાયો. પૂજ્ય દ્વારકેશલાલજીના જ્ઞાનસભર મધુર સ્વરમાં ગીતા અમૃત મહોત્સવ તેમ જ અન્ય પ્રસંગો પણ હરખભેર સંપન્ન થયા. શુક્રવાર, ૨૯મીએ સાંજે લોહાણા કોમ્યુનિટી - નોર્થ લંડનના ઉપક્રમે હેરોમાં આવેલા ધામેચા લોહાણા સેન્ટરના ભવ્ય હોલમાં પૂ. દ્વારકેશલાલજીએ ‘જીવન એક અવસર’ વિષયક અત્યંત મનનીય પ્રવચન કર્યું. આ આખુંય પ્રવચન અન્ય સેંકડો શ્રોતાજનોની જેમ મેં પણ પળ પળ માણ્યું. તૃષાતુર ચાતક પક્ષી વર્ષાના બુંદ બુંદથી જે આહલાદક તૃપ્તિનો અનુભવ કરતું હશે કંઇક તેવી જ લાગણી, સંતોષ અમે સહુએ અનુભવ્યા.
પૂ. દ્વારકેશલાલજીએ ‘જીવન એક અવસર’ છે કે હતો કે હશે તેવા શબ્દો ન વાપરીને તેમનું આ વિષયનું ઊંડું જ્ઞાન અને ચિંતન તેમ જ અત્યંત ઉચ્ચ કક્ષાનો હકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો. સાચે જ આ વક્તવ્ય મનનીય રહ્યું.
જીવનમાં, પ્રત્યેકના જીવનમાં, સતત એક યા બીજા કારણસર નાની-મોટી સમસ્યા કે સંઘર્ષ એ એક સહજ ઘટના ગણવી રહી. સમન્વય અને સહયોગ દ્વારા ગમે તેવી પરિસ્થિતિમાં, પરિવર્તનમાં આપણે પ્રત્યેક જણ પ્રવૃત્ત બની શકીએ અને તે રીતે દિવસ અજવાળી શકીએ તેવી પાયાની અને ઉપયોગી જ્ઞાનદૃષ્ટિ
પૂ. દ્વારકેશલાલજીએ રજૂ કરી.
શ્રી વલ્લભનિધિએ પાંચ વર્ષ પૂર્વે આ ભવ્ય મંદિરનું લોકાર્પણ કર્યું. તેમાં અનેક દેવીદેવતાઓની પ્રાણપ્રતિષ્ઠા થઇ. જોકે તે પૂર્વેના દસ-પંદર વર્ષ, આપણા સહુના દુર્ભાગ્યે, ખૂબ વ્યથાગ્રસ્ત નીવડ્યા. મોટી રકમ ખર્ચવામાં આવી હોવા છતાં આ મંદિરનું કાર્ય ગોકળગાય ગતિએ આગળ ધપતું હતું. દરમિયાન શ્રી નરેન્દ્રભાઇ ઠકરારના અધ્યક્ષપણા હેઠળ ટ્રસ્ટીમંડળ, અસંખ્ય ધર્મપ્રેમીઓ તથા સ્વયંસેવકો અને
પૂ. દ્વારકેશલાલજીના સમર્થ સહયોગથી એકાએક મોટી સહાય ઉપલબ્ધ થઇ. મંદિરનું કાર્ય પરિપૂર્ણ કરવા માટે પાંચથી સાડા પાંચ મિલિયન પાઉન્ડના ખર્ચનું ક્વોટેશન એક તબક્કે અત્યંત અશક્ય જણાતું હતું. આટલી મોટી રકમ મેળવવી તે શ્રીનાથજી સનાતન મંદિરના અગ્રણીઓ માટે મોટી સમસ્યા હતી.
પૂ. દ્વારકેશલાલજીને સહુ વૈષ્ણવજનો જે.જે.ના હુલામણા નામે સંબોધે છે. અબાલ-વૃદ્ધો સહુ સાથે તેઓ સહજપણે મૈત્રીભાવ કેળવી શકે છે. સહુ સાથે સમાન થઇને રહેવું એ જાણે તેમનો મુદ્રાલેખ છે. તેઓ બહોળો અનુયાયી વર્ગ ધરાવે છે તેના મૂળમાં કદાચ આ જ વાત રહેલી છે. જે.જે.ના, સવિશેષ સાઉથ લંડનના, સમર્પિત તેમજ અનુભવી ભક્તોએ ઇલિંગ રોડ પરના મંદિરનું કાર્ય સંપન્ન કરવા માટે કમર કસી. હૈયે હામ હોય તેને હિમાલય જેવા મેરુ પણ આડા ન આવે એમ કંઇ અમસ્તું નથી કહેવાયું, બાપલ્યા. જે કામ માટે પાંચ - સાડા પાંચ મિલિયન પાઉન્ડના ખર્ચનું તોતિંગ ક્વોટેશન આવ્યું હતું તે કામ શ્રી સુબીરભાઇ જેવા અનુભવી કોન્ટ્રેક્ટરે માત્ર ૧.૨ મિલિયન પાઉન્ડમાં પૂર્ણ કરી આપવાનું બીડું ઝડપ્યું. અને હાથમાં લીધેલું કામ નમૂનેદાર રીતે સાકાર પણ કરી બતાવ્યું.
રવિવારે સત્કાર સમારંભમાં ચેરમેન નરેન્દ્રભાઇ ઠકરારે આ અને આવા બધા સુખદ પ્રસંગનો ઉલ્લેખ કરીને લાગતાવળગતા સહુ કોઇનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ પ્રસંગે મને પણ સંક્ષિપ્ત ઉદ્બોધન કરવાનો અવસર સાંપડ્યો હતો. નરેન્દ્રભાઇનું સબળ નેતૃત્વ, સહુનો સહકાર મેળવવા માટે આવશ્યક આગવું પ્રયોજન અને તેમની નમ્રતાનો મેં સવિશેષ ઉલ્લેખ કર્યો.
આ મંદિર બ્રિટિશ ગુજરાતીઓ અને હિન્દુઓના એક ગઢ ગણાતા વેમ્બલી વિસ્તારમાં દીર્ઘ કાળ સુધી આપણી સંસ્કૃતિનો ભવ્ય ધ્વજ ફરકાવતું રહેશે તેવી મારી શ્રદ્ધા છે.
મૂઢ મતિના માનવી...
વડીલો સહિત સહુ વાચક મિત્રો, કલમને આગળ ધપાવતાં પહેલાં પ્રાણવાન ભજનની એક પંક્તિને ટાંકી લઉંઃ
ઓ મૂઢ મતિના માનવી, તારી કાયા બની છે કારમી,
વણસી જાતા વાર નહીં, ઓ મૂઢ મતિના માનવી...
આ મૂઢ શબ્દ ઉપર વધુ ભાર આપવાની જરૂર નથી. આ ભજનની પંક્તિને પણ સમજાવવાની કોઇ જરૂર જણાતી નથી, પરંતુ પૂ. જે.જે. જેવા આપણા ધર્મપ્રવર્તકો છે, વિચારકો છે, તેઓનું આંગળી ચિંધામણ આપણે વાગોળીએ અને તે વિશે વધુ વિચારવંત બનીને આપણા જીવન પંથને વધુ પ્રશસ્ત બનીને કંડારીએ તો પણ ભયો ભયો..
આજનો લ્હાવો લીજીયે રે, કાલ કોણે દીઠી છે... આજનો દિન, આ પળ, આ ઘડી આપણાં છે. તેને જો સોનેરી અવસર બનાવીને ઉજવીએ, માણીએ અને
તેને અનુરૂપ વિચાર, વાણી અને વર્તન અપનાવીએ તો આવતીકાલ કે ભવિષ્ય માટે ચિંતા કરવાની કોઇ જરૂર જણાતી નથી.
-------------------
જ્યાં જ્યાં નજર મારી ઠરે...
હું આપ સહુની સક્રિયતાને માણવા બદલ ખરેખર નસીબવંતો છું. ‘ગુજરાત સમાચાર’માં પ્રતિ સપ્તાહે લગભગ ૨૦ કે તેથી વધુ સંસ્થા સમાચારો આપ સહુ વાચક મિત્રો વાંચતા હશો. તેમાં ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક, સેવાલક્ષી... અનેકવિધ પ્રકારની પ્રવૃત્તિનો આભાસ થતો રહે છે. સંસ્થા સમાચાર વિભાગમાં કોઇ પણ સંસ્થાના અહેવાલને સંક્ષિપ્તમાં, વિનામૂલ્યે સમાવી લેવા અમે યથામતિ-યથાશક્તિ પ્રયત્ન કરીએ છીએ. કોઇ પણ સંસ્થાને પોતાની પ્રવૃત્તિઓની સુજાણ કરવા પ્રચાર અને પ્રસાર આવશ્યક છે. બીએપીએસ, ભારતીય વિદ્યાભવન જેવી સંસ્થાઓ કાર્યક્રમ અગાઉ (પ્રિ-ઇવેન્ટ) અને આયોજન પશ્ચાત (પોસ્ટ ઇવેન્ટ) સમાચારો-અહેવાલો વાચકો સુધી પહોંચાડવા માટે ખૂબ સુંદર આયોજન કરતા આવ્યા છે. સમાજના વ્યાપક હિતાર્થે થતી કોઇ પણ શુભ પ્રવૃત્તિનો પ્રચાર અને પ્રસાર એક યથાયોગ્ય અને આવશ્યક ગણી શકાય. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ આ વિભાગ માટે સહુથી વધુ સ્પેસ (જગ્યા) ફાળવે છે તે વાતનો અમને આનંદ પણ છે અને ગૌરવ પણ, કેમ કે આ પ્રવૃત્તિ અમારા આરાધ્ય દેવો (વાચકો) પ્રત્યેની અમારી ભાવના પ્રગટ કરે છે. વાચક મિત્રો, આપની સમક્ષ બીજી પણ એક મહત્ત્વની માહિતી સવિનય રજૂ કરતાં મારી કલમને રોકી શકતો નથી.

માત્ર આ બોક્સ જેટલી માહિતી પ્રકાશિત કરવામાં ‘ગુજરાત સમાચાર’ને કેટલો ખર્ચ થતો હશે જાણો છો?! રહેવા દો, માથું ખંજવાળવાની જરૂર નથી... હું જાણું છું કે બહુમતી વાચકોનો જવાબ નકારમાં જ હશે. એક કોલમ એક સેન્ટીમીટરના આ બોક્સ જેટલી માહિતી (પછી તે સમાચાર હોય કે સંસ્થાની પ્રવૃત્તિનો અહેવાલ કે પછી અન્ય માહિતી) પ્રકાશિત કરવા માટે એબીપીએલ ગ્રૂપને સરેરાશ ૪ પાઉન્ડથી સહેજ વધુ ખર્ચ આવતો હોય છે. આની સામે કોઇ પણ નાની કે મોટી સંસ્થાને પોતાની પ્રવૃત્તિની જાણકારી તેમના સભ્યો, સમાજ સુધી પહોંચાડવી હોય તો સંભવ છે કે લગભગ A/4 સાઇઝનું (એટલે કે તમે જે આ પાન વાંચી રહ્યા છો તેનાથી અડધા પાનના કદનું) લીફલેટ તૈયાર કરવું પડે. વાત અહીં પૂરી નથી થઇ જતી. આ લીફલેટ માત્ર ૫૦૦ એડ્રેસ પર પહોંચાડવા હોય તો પણ અંદાજે કુલ ૨૦૦ પાઉન્ડનો ખર્ચ થાય. આમાં પ્રિન્ટીંગ, પોસ્ટેજ, એડમિન ચાર્જીસ વગેરે બધું આવી ગયું તે સાચું, પરંતુ આટલા નાણાં ખર્ચ્યા પછી પણ વાત પહોંચે કેટલા પરિવાર સુધી? ૫૦૦ પરિવારો સુધી. વળી, આટલા બધા નામ-સરનામા એકત્ર કરવા, તેને સમયે સમયે અપડેટ કરતા રહેવા તે પણ કંઇ સહેલું તો નથી જ.
જ્યારે ‘ગુજરાત સમાચાર’માં પ્રસિદ્ધ થતાં સંસ્થા સમાચાર-અહેવાલો એક સાથે ૧૭ હજારથી વધુ નકલોમાં પ્રસિદ્ધ થાય છે. અને એક અભ્યાસના તારણ અનુસાર, કોઇ પણ અખબાર કે સાપ્તાહિકની એક નકલ સરેરાશ ચારથી સાત વ્યક્તિ વાંચતી હોય છે. હવે તમે જ ૧૭૦૦૦X૪ કરી લો... મને ખાતરી છે કે એક ગુજરાતી તરીકે તમારું ગણિત પાક્કું જ હશે. ‘ગુજરાત સમાચાર’માં પ્રકાશિત કોઇ એક સંસ્થાના સમાચાર, અહેવાલ કે જાહેર ખબર એક સાથે કેટલા ઘરો, કેટલા લોકો સુધી પહોંચતા હશે એનો તમને અંદાજ આવી જશે. આથી જ અમે સંસ્થા સમાચારો પ્રસિદ્ધ કરીને વિવિધ સંસ્થાઓની સેવામાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે યોગદાન આપીને ફરજ બજાવવા પ્રયત્નશીલ છીએ.
--------------
બ્રિટિશ ગુજરાતી અને ભારતીય સમુદાય એક જાગતો પરિવાર છે
હું ગયા પખવાડિયાની મારી ડાયરી (જાહેર કાર્યક્રમો પુરતી) આપ સમક્ષ રજૂ કરી રહ્યો છું. (એક તંત્રી તરીકે મેં શું ફરજ બજાવવા પ્રયત્ન કર્યો તે જાણવાનો એક વાચક તરીકે આપનો અધિકાર તો ખરો જને?) ૧૮ તારીખે સાંજે સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીસ (SOAS) (યુનિવર્સિટી ઓફ લંડન)માં સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યુટનો વિધિવત્ પ્રારંભ થયો. વર્ષોથી આ પ્રવૃત્તિને આપના આ બન્ને સાપ્તાહિકો - ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ - સમર્થન આપતા રહ્યા છે. ત્યાં હાજરી આપીને સંખ્યાબંધ વિદ્વાનો સાથેનો પરિચય, સંપર્ક તરોતાજા કરવાનો મને સોનેરી અવસર સાંપડ્યો. પ્રત્યક્ષ રીતે કામ થાય છે, અને પરોક્ષ રીતે ભારત અને ભારતીય સંસ્કૃતિ વિશ્વફલક પર વધુ યથાયોગ્ય ઓળખ, સુવાસ ફેલાવી રહી છે. અને આપ સહુના સમર્થન થકી આ બન્ને સાપ્તાહિકો તે બાબત સદા સક્રિય રહ્યા છે.
૨૨ મેના રોજ ભારતીય વિદ્યાભવનમાં ‘જીવણલાલે જાન જોડી’. ગયા સપ્તાહના અંકમાં નરેશભાઇ પટેલ વિશેના લેખમાં તેનો ઉલ્લેખ થયો હતો તેથી વિગતવાર ઉલ્લેખ ટાળું છું.
૨૭ મેના રોજ હાઉસ ઓફ લોર્ડસમાં બ્રિટનની તાજેતરની ચૂંટણી, તેમાં ભારતીય વંશજ મતદારોનું અનુદાન અને ભારત-બ્રિટનના ભાવિ સંબંધો અંગે ખૂબ પ્રભાવશાળી વક્તાઓ દ્વારા ચર્ચા-વિચારણા થઇ.
૨૯ મેના રોજ લોહાણા બંધુભગીનીઓ સાથે.
૩૦ મે શનિવારના રોજ પ્રથમ ઈલીંગરોડ મંદિરમાં દર્શન તથા સમારંભમાં હાજરી ત્યારબાદ હેરોના રાયન હોલમાં. શ્રૃતિ આર્ટ્સ દ્વારા તરાનાની સંગીતસંધ્યા માણી. અાસિત અને હેમાબહેન દેસાઇની યુગલ જોડી દર વર્ષે લેસ્ટરમાં શ્રુતિ આર્ટ્સના ઉપક્રમે સાચે જ અત્યંત પ્રભાવશાળી અને દીર્ઘકાલીન હિતવર્ધક સંગીતપ્રવૃત્તિ કરે છે. આ વેળા લેસ્ટરની ૨૦ મહિલાઓ અને ૧૦ પુરુષોએ - જેમાં વિદ્યાર્થીથી માંડીને દાદા-દાદીની વયના સહુ કોઇએ - ગીતસંગીત દ્વારા આપણા જીવનને વધુ મધુરતમ કર્યું. હેરોના આ કાર્યક્રમે દિલ ડોલાવી દીધું. આ તમામ કલાકારો, સંગીતકળાના માધ્યમથી, તેમની તપસ્યા સમાજના ચરણોમાં ધરી રહ્યા હોવાથી મનોમન જ મેં તેમને વંદન કર્યા. એક ગીત ‘સાત સૂરોના સરનામે અમે મળવા આવ્યા...’ તો અત્યારે પણ દિલમાં સાત સૂરોની સરગમ રેલાવી રહ્યું છે.
આગામી અંકોમાં આ કાર્યક્રમ વિશે વધુ સચિત્ર અહેવાલ સાદર કરવાનો ઇરાદો છે. આથી વ્યવસાયે વેપારીમાંથી ઉચ્ચ પ્રકારના સંગીત અને સાહિત્યપ્રેમી બનેલા ચંદુભાઇ મટ્ટાણી સાહેબને વિનતી છે કે તરાનાએ તે સાંજે જે દસેક સૂરિલા તારકો રજૂ કર્યા હતા, તે વિશે થોડીક સવિસ્તર માહિતી કાર્યાલયને મોકલી આપવા કૃપા કરે.
રવિવારે ક્રિકલવુડના સિંધી સેન્ટરમાં પૂ. રામબાપાનો ૯૫મો જન્મોત્સવ સેંકડો ભાવિકોએ માણ્યો. કંપાલાના એક જમાનાના વેપારી પૂ. રામબાપા ૯૫ વર્ષની યુવાન વયે (તાજગીના ઉપલક્ષમાં) પણ જે પ્રકારે ઇશ્વરનું નામ લેતા લેતા પોતીકી રીતે સમાજ સેવા કરે છે તે કાબિલેતારીફ છે.
આ જ દિવસે સાંજે વળી, રિકમન્સવર્થના એક મોટેરા હોલમાં ૮૦૦થી ૯૦૦ દર્શકો ઉપસ્થિત હતા. આપણી યુવા નારીશક્તિએ ગીત-સંગીતનું અનોખું આયોજન રજૂ કરીને લોકોનો મન મોહી લીધા. આ નારીશક્તિ એટલે મીરાં (બહેન) સલાટ અને પ્રીતિ (બહેન) વરસાણી. આ બન્ને યુવતીઓની ગીત-સંગીત-નૃત્ય માટેની સમજ અને અદભૂત સંયોજન સાધીને તેને મંચ પર રજૂ કરવાનું કૌશલ્ય ખરેખર પ્રશંસનીય છે. એકનું પ્રાવીણ્ય ગીત-સંગીતમાં છે, તો બીજાનું નૃત્યકળામાં. તેમણે ગુજરાતી લોકનૃત્યો, રાસ-ગરબા વગેરેની સાથે આફ્રિકન સ્વાહિલી ભાષાના લોકપ્રિય ગીત-સંગીત-નૃત્ય ન્ગોમાનું ફ્યુઝન રજૂ કર્યું હતું. આજકાલ ફ્યુઝનના નામે કંઇ પણ ભેળપૂરી રજૂ થાય છે તેવું નહીં, પણ તમારા માનસપટલ પર સંગીતની અમિટ છાપ મૂકી જાય તેવું. આપણા ગુજરાતી, ભારતીય ભાઇભાંડુઓને ભલે આફ્રિકામાંથી હિજરત કરવી પડી હોય, પણ તેમણે ત્યાંનું પાણી પીધું છે, ત્યાંનું લૂણ ખાધું છે. સમયસંજોગોને વશ થઇને તેમને ભલે તે ધરતી છોડવી પડી હોય, પણ આજેય ત્યાંના સંસ્કાર, કળા, વારસો તેમનામાં ધબકે છે આ વાતની પ્રતીતિ કાર્યક્રમ નિહાળી રહેલા દર્શકોના પ્રતિભાવમાં દેખાતી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા ભાઇ-બહેનો ઉત્સાહમાં હતા, આનંદમાં હતા. આપણે, ભારતીયો, સદાસર્વદા વસુધૈવ કુટુંબકમના સૂત્રને અનુસરતા રહીએ છીએ તે વાતનો સબળ પુરાવો વધુ એક વખત જોવા મળ્યો.
‘ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા...’ લોકગીતે તો ભારે દાદ મેળવી. અસ્સલ કાઠિયાવાડી લ્હેકો અને તેની સાથે તાલ મિલાવતું ભારતીય અને આફ્રિકન શૈલીનું નૃત્ય. આ સૂરિલી સફરનું વર્ણન કરવા માટે શબ્દો પણ ઓછા પડે છે. આ ગીત સાંભળતા સાંભળતા જ મનમાં એક વિચાર ઝબકી ગયો... ક્યાં બલુચિસ્તાનના મકરાણાનો આદમી અને ક્યાં કાઠિયાવાડ. સૌરાષ્ટ્ર એટલે સંતો અને શૂરવીરોની ભોમકા. આ ફળદ્રુપ ધરતી પર બહારવટિયા પણ પાક્યા. કેટલાક બહાવટિયા એટલે રાજારજવાડા કે ભાયાતોના અમાનુષી અન્યાય સામે બંડ પોકારનારા. આમાંના કેટલાય રક્તપિપાસુ હશે, નિર્દય હશે તે બધું જ સાચું, પણ આ બહારવટિયામાંના જ કેટલાય રોબિનહૂડ જેવા પણ હતા. ધનિકોને લૂંટવા અને ગરીબોની આંતરડી ઠારતા આવા બહારવટિયા પર-સ્ત્રીને બહેન-દીકરી માનતા અને તેમની સામે આંખ ઉઠાવીને જોતાં પણ નહીં. આ લોકોએ તેમને થયેલા અન્યાય સામે બળવો જરૂર પોકાર્યો હતો, પણ નિર્દોષોને ક્યારેય રંજાડ્યા નહોતા. આથી જ તો આજે પણ કાઠિયાવાડની ધરતી પર કાદુ મકરાણી જેવા બહારવટિયાની યાદમાં ગીતો ગુંજે છે. અરે, જોગીદાસ ખુમાણની જ વાત કરો ને... એક દૂહો ટાંકવાનું મન થાય છે.
કે’ને ખેતર વાડિયું, ને કે’ને ગામગરાસ,
આકાશી રોજી ઉતરે, વીર અટંકી દેવી દાસ.
આજે તો બસ આટલું જ... આપણો વારસો ભવ્ય છે. તે સદા ચેતનવંતો રહે, અને આપણે યથામતિ, યથાશક્તિ યતકિંચન તેનું સંવર્ધન કરતા રહીએ તેવી સદબુદ્ધિ, એવો સુવર્ણ અવસર સદા સર્વદા આપણને પ્રાપ્ત થાય તેવી પ્રભુપ્રાર્થના... (ક્રમશઃ)