તંદુરસ્ત અને દીર્ઘ આયુષ્યનું રહસ્ય

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 03rd June 2015 03:17 EDT
 
 

આયુષ્યની વાત નીકળે છે ત્યારે વડીલો ઘણી વખત કહેતા હોય છેઃ કેટલું જીવ્યા એના કરતાં કેવું જીવ્યા એ વધુ મહત્ત્વનું છે. વડીલોની આ વાતમાં અનુભવનો અર્ક પણ છે, અને વાસ્તવિક્તાનું પ્રતિબિંબ પણ છે. જો જીવન લાંબું હોય, પણ માંદગીનું ઘર હોય તો વ્યક્તિ ખુદ તો કંટાળી જ જાય સાથે સાથે પરિવારજનો માટે પણ ત્રાસ થઈ જાય. આથી જીવન એવું જીવવું જોઈએ કે માંદગી આપણાથી બે ડગલાં દૂર જ રહે, પરંતુ આ બધું કંઇ આપમેળે ન થાય. આ માટે થોડીક કાળજી લેવી પડે, થોડી સાવધાની રાખવી પડે અને થોડી મહેનત પણ કરવી પડે. વધતી વય કે વૃદ્ધાવસ્થા એટલે માંદગી આવે એવું જરૂરી નથી. તમે સમાજમાં નજર ફેરવશો તો એવા કેટલાય વડીલો જોવા મળશે કે જેઓ ૭૫, ૭૮, ૮૦, ૮૨ કે ૮૮ વર્ષની વયે પણ તંદુરસ્ત, સક્રિય અને અને ખુશખુશાલ હોય છે. આ લોકોની તંદુરસ્ત અને લાંબા આયુષ્યનું રહસ્ય શું હોય છે? વાંચો આગળ...

હકારાત્મક દૃષ્ટિકોણ

હકારાત્મક દૃષ્ટિકોણ આપણને લાંબુ અને તંદુરસ્ત જીવન જીવવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. વિજ્ઞાન પણ કહે છે કે નકારાત્મક દૃષ્ટિકોણ ધરાવતા લોકો કરતાં હકારાત્મક દૃષ્ટિકોણ ધરાતા લોકો ૨૦ વર્ષ વધારે જીવે છે. હકારાત્મક વિચારો ધરાવતા લોકોને શારીરિક અને માનસિક મુશ્કેલીઓ ઓછા પ્રમાણમાં આવે છે. તેમનું એનર્જી-લેવલ ઊંચું રહે છે અને તેઓ જીવનમાં સુખી તથા શાંત હોય છે. હકારાત્મક વિચારો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જેથી શરીર ઇન્ફેકશનનો સામનો વધારે સારી રીતે કરી શકે છે અને જ્યારે આપણી તંદુરસ્તી સારી હોય ત્યારે આપણે વધારે હકારાત્મક હોઈએ એ દેખીતું છે. આ બધા માટે હેલ્ધી ડાયટ ખૂબ જરૂરી છે. એ ઉપરાંત ચુસ્ત-દુરસ્ત રહેવા માટે કાર્ડિયોવાસ્ક્યુલર કન્ડિશનિંગ, બેલેન્સ અને ફ્લેક્સિબિલિટી વર્ક તથા સ્ટ્રેન્ગ્થ-ટ્રેનિંગ જરૂરી છે. આના કારણે ઉંમરને લીધે થતી બીમારીઓથી બચી શકાશે. નિયમિત શારીરિક પ્રવૃત્તિ માણસના જીવનમાં બેથી વધારે વર્ષનો ઉમેરો કરે છે.

સામાજિક સક્રિયતા

હકારાત્મક વિચારોને કારણે લોકો સાથે આપણા સંબંધો સારા રહે છે. જેઓ સમાજમાં હળેભળે છે તેઓ એકલપેટા લોકો કરતાં લાંબું જીવે છે. આજે તો સમાજ સાથે સંકળાયેલા રહેવા માટે આપણી પાસે ઘણીબધી સગવડો છે. સિનિયર સિટિઝનો માટે, પ્રૌઢો માટે કેટલીયે સંસ્થાઓ કાર્યરત છે. ઇન્ટરનેટ છે, ફેસબુક છે. હવે તો એવા દિવસો પણ નથી કે ઘરડા થયા એટલે કોઈ બ્યુટી-ટ્રીટમેન્ટ ન લઈ શકાય. વાળને કલર કરો, ફેસિયલ કરાવો. તમને જે ગમે તે રીતે તમે યુવાન દેખાઈ શકો છો. વળી ઉંમર સાથે કામેચ્છા ઘટતી જાય છે એ વાત સાચી નથી. કોઈ પણ ઉંમરે હેલ્ધી સેક્સ-લાઇફ બ્લડપ્રેશરને કાબૂમાં રાખે છે, તાણ દૂર કરે છે, ડિપ્રેશનથી બચાવે છે, શારીરિક ફિટનેસ જાળવે છે અને કદાચ તમારી જિંદગીનાં વર્ષોમાં વધારો પણ કરે છે.

તાણમુક્ત બનો

વધતી વયને કારણે થતાં મોટા ભાગના રોગોના મૂળમાં સ્ટ્રેસ છે. સ્ટ્રેસને કારણે શારીરિક પીડા, ઉંમર કરતાં વહેલી કરચલીઓ પડવી જેવી મુશ્કેલીઓ ઊભી થાય છે. જોકે બહુ જ ઓછા લોકો બદલાતી જતી પરિસ્થિતિને સ્વીકારી શકતા હોય છે. જો પરિસ્થિતિનો સ્વીકાર કરી લેવાય તો સ્ટ્રેસનો પ્રશ્ન જ ઉપસ્થિત નહીં થાય. આપણે તો ટ્રાફિક, પ્રદૂષણ ઘોંઘાટ જેવી બાબતોથી પરેશાન થઈ જઈએ છીએ અને સ્ટ્રેસ અનુભવીએ છીએ, પરંતુ આપણે વાસ્તવિક્તા સ્વીકારવી રહી. જે પરિસ્થિતિને બદલવાનો અંકુશ આપણા હાથમાં ન હોય એવી પરિસ્થિતિને એડ્જસ્ટ થઈ જવામાં જ શાણપણ છે. ક્યારેક ઘર કે કામના સ્થળે પણ સમય-સંજોગ આપણા કાબૂમાં નથી હોતા. તમને જાણીને નવાઇ લાગશે કે સાફસફાઈ જેવું સામાન્ય કામ કરીને તમે ગમેતેવી માનસિક તાણ દૂર કરી શકો છો. જે રીતે તમે કબાટ સાફ કરીને કચરો દૂર કરો છો એ જ રીતે સંબંધોમાં જામેલો નકારાત્મક્તાનો કચરો દૂર કરીને તમે ભાવનાત્મક ઘરને સાફ કરી શકો છો. જો પરિવારજનો, મિત્રો, કર્મચારીઓ સાથે આપણા સંબંધ સારા હશે તો આપોઆપ તાણ ઓછી થઈ જ જશે.

તંદુરસ્ત ખોરાક

તંદુરસ્ત ખોરાકની અસર આપણા તન અને મન પર સૌથી વધારે અસર કરે છે. હેલ્ધી ડાયટને કારણે હૃદયની બીમારી, કેન્સર અને વધતી સાથે સંકળાયેલા રોગોથી બચી શકાય છે. હેલ્ધી ડાયટ લેવાથી વજન સપ્રમાણ રહે છે. હેલ્ધી ડાયટ-પ્લાન મુજબ તમે ભાવતાં ભોજન લઈ શકો છો, મીઠાઈ પણ. જોકે બધું પ્રમાણસર, વધારે પ્રમાણાં તો ક્યારેય નહીં. શરીરને માફક આવે એવો અને એટલો ખોરાક લેશો તો જીવનનો ભરપૂર આનંદ માણી શકશો.

વ્યસનથી દૂર રહો

કોઈ પણ જાતની બૂરી આદત, વ્યસનથી તો દૂર જ રહેજો, દારૂ, સિગારેટ, તમાકુ, ડ્રગ્સ જેવાં વ્યસનો ધરાવતા લોકો જીવનમાં ખૂબ જ માંદગી ભોગવે છે. તેઓ પોતે તો હેરાન થાય જ છે, સાથે સાથે ઘરના લોકોને પણ પરેશાન કરે છે. પૈસેટકે પણ ખુવાર થાય છે, તે અલગ. જરા વિચારજો. બે-ચાર માટે મિનિટ માટે મળતા ભ્રામક સુખને કારણે તમારી અને તમારા પ્રિયજનની જિંદગી દાવ પર લાગી જાય છે.

મનગમતી પ્રવૃત્તિ

તમારા શોખ, હોબી, રસ-રુચિને મોકળું મેદાન આપો. વાંચન, લેખન, બાગબાની, સમાજસેવા, રમતગમત, ઉદ્યોગધંધા, હરવું-ફરવું જે કંઈ તમને આનંદ આપે એ બધું કરવાની છૂટ છે. ધર્મ-અધ્યાત્મમાં પ્રવૃત્તિમાં રસ પડતો હોય તો સારી બાબત છે. ધર્મ-અધ્યાત્મમાં રસ ધરાવતા લોકોનું આયુષ્ય લાંબું હોય છે.

અને છેલ્લું... તમારામાં રહેલા બાળકને સદા હસતું-રમતું રાખો. દરેક વ્યક્તિની અંદર એક બાળક ધબકતું હોય છે. જરૂર છે તેને ઓળખવાની. વીક-એન્ડમાં પરિવારજનો કે મિત્રો સાથે ફરવા જાઓ અને બાળક બનીને મોજ માણો. દરિયાકિનારે ગયા હો તો રેતીમાં કિલ્લા બનાવો, ગાર્ડનમાં ગયા હો તો ફૂલઝાડની ફોરમ માણો અને હીંચકા ખાઓ. વરસાદના દિવસો હોય તો ક્યારેક પલળવાની મજા પણ માણી લો. અને હા, બાળકની માફક નિર્દોષ આનંદ માણતો શીખો. ખુલ્લા મને હસતા રહો... પછી જૂઓ કેવી મજા આવે છે.


comments powered by Disqus