જમ્મુ-કાશ્મીરમાં યુતિ સરકારનો તખ્તો તૈયાર

Tuesday 03rd February 2015 14:04 EST
 

રાજકારણમાં કંઇ પણ અશક્ય નથી. કોઇ કાયમી દોસ્ત નથી કે કોઇ કાયમી દુશ્મન પણ હોતું નથી. જો બધું સમૂસૂતરું પાર પડ્યું અને છેલ્લી ઘડીએ કોઇ અવરોધ ન આવી પડ્યો તો જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ની સંયુક્ત સરકાર ટૂંક સમયમાં રચાઇ શકે છે. આમ જૂઓ તો સ્વતંત્ર ભારત અનેક રાજકીય પ્રયોગો જોઇ ચૂક્યું છે, અને સત્તા હાંસલ કરવા રચાયેલા મેળમાથાં વગરના ગઠબંધનો પણ નિહાળ્યાં છે. દેશવાસીઓ કટોકટી બાદ પહેલી વાર બિન-કોંગ્રેસી જનતા પાર્ટીની સરકાર પણ જોઇ ચૂક્યા છે ને ૨૩ પક્ષોની મોરચા સરકારનું શાસન પણ જોયું છે. પરંતુ જમ્મુ-કાશ્મીરના રાજકીય ઘટનાક્રમે રાજકીય વિશ્લેષકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે.

ચૂંટણીનો ત્રિશંકુ જનાદેશ સ્વયં સ્પષ્ટ હતો કે બે કે તેથી વધુ પક્ષોના જોડાણ વગર અથવા તો એક મોટો પક્ષ બીજા પક્ષોનો સાથ નહીં મેળવે તો સરકારની રચના સંભવ નથી. ૮૭ બેઠકોના ગૃહમાં શાસક નેશનલ કોન્ફરન્સ ૧૫ બેઠકો સાથે ત્રીજા સ્થાને હતો, જ્યારે મુખ્ય વિપક્ષ પીડીપી ૨૮ બેઠકો સાથે પહેલા નંબરે અને ભાજપ ૨૫ બેઠકો સાથે બીજા નંબરે ઉભર્યા હતા. કોંગ્રેસ (૧૨ બેઠક) ચોથા સ્થાને રહી હતી. આમ, યુતિ સરકાર નિશ્ચિત હતી, પણ ભાજપ અને પીડીપી દ્વારા સંયુક્ત સરકાર રચવાના નિર્ણય અંગે રાજકીય વિશ્લેષકો બે ભાગમાં વહેંચાઇ ગયા હતા અને આનું મુખ્ય કારણ એ છે બન્ને પક્ષો એકબીજાના વિરોધી છે અને એકબીજાના વિરોધમાં મત માંગીને જીત્યા છે. આથી જ એક વર્ગ ભાજપ-પીડીપી યુતિને તકવાદી તડજોડ ગણાવે છે તો બીજો વર્ગ આ ગઠબંધનને અશાંત રાજ્યમાં વિકાસની ગાડી પાટે ચડાવવા માટે લાભકારક ગણાવે છે. 

આંકડાઓ દર્શાવે છે કે ૭૦ના દસકા સુધી જમ્મુ-કાશ્મીર તેની આર્થિક જરૂરતના ૪૭ ટકા કેન્દ્ર સરકાર પાસેથી મેળવતું હતું. આમ રાજ્ય લગભગ ૫૦ ટકા સ્વનિર્ભર હતું. જોકે વર્ષોના વીતવા સાથે આર્થિક ચિત્ર બદલાયું છે. કેટલાક દસકાથી રાજ્યમાં પ્રવર્તતી અશાંતિએ અર્થતંત્રને કમ્મરતોડ ફટકો માર્યો છે. રાજ્યની આર્થિક ધરી સમાન પર્યટન ઉદ્યોગ પડી ભાંગ્યો છે અને વેપાર-ધંધા ખોરવાયા છે. આ બધાના પરિણામે નબળું પડેલું રાજ્ય આજે ૯૦ ટકા કેન્દ્રીય સહાય પર નભે છે. અધૂરામાં પૂરું, ધરતી પરના આ સ્વર્ગમાં ગયા વર્ષે ભીષણ પૂરે ચોમેર વિનાશ વેર્યો. તત્કાલીન ઓમર અબ્દુલ્લા સરકારને કેન્દ્ર સરકારના સક્રિય સહયોગ અને વડા પ્રધાન મોદીએ પૂરગ્રસ્તો માટે જાહેર કરેલા ૧૦૦૦ કરોડ રૂપિયાના રાહતપેકેજના પરિણામે રાજ્ય બેઠું થઇ રહ્યું છે, પણ ગતિ બહુ ધીમી છે. પીડીપી-ભાજપની સૂચિત સરકાર બાદ રાજ્યમાં બંધ પડેલા ૧.૫૪ લાખ પૂરગ્રસ્ત ઔદ્યોગિક એકમો ફરી ધબકતા થઇ શકે છે.
બીજી તરફ, એ હકીકતની પણ ઉપેક્ષા થઇ શકે તેમ નથી કે જમ્મુમાં ભાજપને જનમત મળ્યો છે અને કાશ્મીર ખીણમાં પીડીપીને. ભાજપને મળેલા મતોની ટકાવારી સૌથી વધુ છે તો પીડીપીને મળેલી બેઠકોની સંખ્યા સૌથી વધુ છે. આમ ભાજપ કે પીડીપીમાંથી જો કોઇ પણ એક પક્ષ સત્તાની બહાર રહે તો સરકારમાં પ્રાદેશિક સંતુલન ખોરવાય જવાનું જોખમ ખરું.
એકબીજા સામે લડ્યા બાદ હવે સહિયારી સરકાર રચવા તલપાપડ બનેલી ભાજપ-પીડીપીની નેતાગીરી તેમના નિર્ણયને વાજબી ઠેરવવા જનાદેશનું સન્માન, સ્થિર સરકાર વગેરે સૂફિયાણી વાતો તો કરે છે, પણ અહીં સવાલ એ છે કે બન્ને પક્ષોની નીતિ-રીતિનું, સિદ્ધાંતોનું શું? તેઓ જે મુદ્દે લડીને વિધાનસભામાં પહોંચ્યા છે તેનું શું? યુતિ બાદ બન્ને પક્ષો મળીને પાંચ વર્ષ સ્થાયી શાસન તો આપી શકશે, પરંતુ કલમ ૩૭૦, સ્પેશ્યલ આર્મ્ડ ફોર્સ એક્ટ, અલગતાવાદીઓ અને પાકિસ્તાન સાથે વાતચીત જેવા મુદ્દાઓનો ઉકેલ કઇ રીતે મેળવશે? આ મુદ્દાઓ પર ભાજપ-પીડીપી પૂર્વ અને પશ્ચિમ દિશા જેવો અભિગમ ધરાવે છે.
ભાજપ પ્રમુખ અમિત શાહનું કહેવું છે કે બન્ને પક્ષે સાથે મળીને સરકાર ચલાવવા કોમન મિનિમમ પ્રોગ્રામ (સીએમપી) તૈયાર કર્યો છે. યુતિ સરકાર તેની લક્ષ્મણરેખામાં રહીને વહીવટ સંભાળશે. બન્ને પક્ષની નેતાગીરીએ સરકારના સુચારુ વહીવટ માટે કાઢેલો વચલો રસ્તો ખોટો ભલે ન હોય, મુદ્દા આધારિત મત આપનાર મતદારને ખટકે તેવો તો છે જ.
કોઇ પણ રાજ્ય કે દેશમાં ચૂંટાયેલી સરકારનું અસ્તિત્વ હોવું તે મજબૂત લોકશાહીનું લક્ષણ છે, પણ અહીં મામલો અલગ છે. સ્થિર શાસનના નામે યુતિ સરકાર બનાવવાનું ભલે આસાન હોય, પણ આ સરકારને ચલાવવાનું એટલું જ મુશ્કેલ સાબિત થવાનું છે તે ભાજપ-પીડીપીએ સમજવું રહ્યું. બન્ને પક્ષોએ પ્રજાના હિતમાં રાજકીય અહંને કોરાણે મૂકવો પડશે અને રાજ્યમાં વિકાસકાર્યોને વેગ આપવો પડશે. આમ થયું તો સમયના વીતવા સાથે જે મુદ્દે મતભેદો પ્રવર્તે છે તેનો પણ કંઇક ઉકેલ મળશે જ. અને જો તેઓ આમાં સફળ રહ્યા તો યુતિ સરકારનો આ પ્રયોગ ભારતીય રાજકારણમાં સીમાચિહનરૂપ સાબિત થશે.


comments powered by Disqus