ચેન્નઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)નું સુકાન ફરી એક વખત જગમોહન દાલમિયાએ સંભાળ્યું છે. દાલમિયા નવ વર્ષ બાદ ફરી પ્રમુખ બન્યા છે. નવા બોર્ડ મેમ્બરમાં શરદ પવાર જૂથના એક માત્ર અનુરાગ ઠાકુરે સ્થાન મેળવ્યું છે. બાકીની તમામ ચૂંટણીમાં શ્રીનિવાસન્ જૂથના ઉમેદવારો ચૂંટાયા છે. અનુરાગ ઠાકુરે વડોદરાના વતની અને શ્રીનિવાસન્ કેમ્પના સંજય પટેલને એક વોટથી પરાજય આપ્યો હતો.
ઠાકુરની જીત સિવાય અન્ય તમામ પદો પર શ્રીનિવાસન્ જૂથનું પલ્લું ભારે રહ્યું છે, જેમાં ઝારખંડ ક્રિકેટ સંઘના અમિતાભ ચૌધરીએ ગોવાના ચેતન દેસાઈને હરાવી જોઇન્ટ સેક્રેટરી બન્યા છે. હરિયાણાના અનિરુદ્ધ ચૌધરીએ રાજીવ શુક્લાને પરાજય આપી ટ્રેઝરરની ચૂંટણી જીતી છે. ત્રણ વાઇસ પ્રેસિડેન્ટની વરણી બિનહરીફ થઈ હતી, જેમાં બે પદ શ્રીનિવાસન્ જૂથને મળ્યાં છે. બિનહરીફ વરાયેલા વાઇસ પ્રેસિડેન્ટમાં આંધ્ર પ્રદેશના ગોકારાજુ ગંગારાજુ (દક્ષિણ), આસામના ગૌતમ રાય (પૂર્વ) અને જમ્મુ-કાશ્મીરના એમ. એલ. નહેરુ (ઉત્તર)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેરળના ટી. સી. મેથ્યુએ રવિ સાવંતને પરાજય આપ્યો હતો જ્યારે દિલ્હીના સી. કે. ખન્નાએ જ્યોતિરાદિત્ય સિંધિયાને પરાજય આપ્યો હતો.