વડીલો સહિત સહુ વાચક મિત્રો, વીતેલા સપ્તાહે આપણે બીબીસી રેડિયોની એશિયા નેટ ચેનલ પર રજૂ થયેલા લાઇવ પ્રોગ્રામની વાત પર અટક્યા હતા. ચાલો... આગળ વધીએ. આપણા સમાજમાં એક નહીં, અનેક વ્યક્તિઓ એવી હોય છે જેમને એક યા બીજા કારણસર નાની-મોટી આધિ-વ્યાધિ-ઉપાધિ સતાવતા હોય છે. આવી ચિંતાના મૂળમાં સામાજિક, આર્થિક, શારીરિક, માનસિક કંઇ પણ કારણ હોય શકે છે. કેટલાક નરબંકાઓ આવી તકલીફો, સમસ્યાઓ સામે ઝઝૂમવામાં માનતા હોય છે તો કેટલાક વળી સમસ્યા અને સંતાપ સામે લડતાં લડતાં નિરાશા કે હતાશાની ગર્તામાં સરી પડતા હોય છે. અલબત્ત, આનો મતલબ એવો તો નથી જ કે સમસ્યાનો કોઇ ઉકેલ નથી. દરેક સમસ્યાનો ઉકેલ તો હોય છે, પણ સમસ્યાની ગૂંચ ઉકેલવી કઇ રીતે એની સૂઝ પડતી નથી.
ધારો કે તકલીફ શરીર સંબંધિત હોય તો જીપી કે એનએચએસમાં પહોંચ્યા અને તેનો ઉકેલ મોટેભાગે મળી રહે છે. તબીબી શાસ્ત્રના નિષ્ણાતો વિજ્ઞાનના આધારે તમારી તકલીફનું નિદાન કરીને શારીરિક કષ્ટ દૂર કરી આપે. ધારો કે, આર્થિક કટોકટી છે? તો બેન્કમાં પહોંચ્યા કે મિત્રો-સ્વજનોને વાત કરી અને હાથઉછીના નાણા લઇને મુશ્કેલી દૂર કરી શકાય.
પ...ણ અન્ય કોઇ મુશ્કેલીના કારણમાં આંતરિક વિષાદ હોય ત્યારે તેનો ઉકેલ શોધવો મુશ્કેલ બની રહે છે. વાચક મિત્રો, ખાસ ધ્યાન આપજો... હું ઉકેલ શોધવો ‘મુશ્કેલ’ બની રહે છે એમ કહું છું, અશક્ય બની રહે છે એમ નથી કહેતો. ક્યારેક સમસ્યા એવી હોય છે કે સામાજિક આબરૂ, પ્રતિષ્ઠા કે પોતીકા હુંપદને કારણે બીજાના કાને વાત નાખી શકાતી નથી. મનમાંને મનમાં મૂંઝાતા આવા લોકોની નજર એક સહારાની તલાશમાં આસપાસ ભટકતી રહેતી હોય છે. હું આમાં મુશ્કેલીમાં મૂકાયેલા માણસનો વાંક નથી જોતો, પણ આવી સ્થિતિ માટે સમય અને સંજોગની સાથોસાથ મક્કમ મનોબળનો અભાવ જવાબદાર હોય છે. તેમની એક જ એષણા હોય છે - બસ, કોઇ મારી સમસ્યા સાંભળે, અને તેમાંથી બહાર નીકળવાનો મારગ ચીંધે. મૂંઝાયેલો માણસ આખરે વહેમ અને અંધશ્રદ્ધામાં શરણ શોધે છે. ઉલમાંથી ચૂલમાં જઇ પડે છે.
ભૂવા-જાગરિયા, ધંધાદારી જ્યોતિષીઓ, દોરા-ધાગા કરનારા, જંતરમંતરના જાણકાર હોવાનો દાવો કરનારા, ફેઇથ હિલર્સ હોવાનો દાવો કરતા લેભાગુઓ આવા ‘શિકાર’ની રાહમાં જ લાળ ટપકાવતા બેઠા હોય છે. ક્યારે ‘શિકાર’ મળે અને ક્યારે તેને જાળમાં સપડાવવો.
કમનસીબે આપણા કેટલાક અખબારો અને ટીવી-રેડિયો ચેનલો પણ આ તત્વોના હાથા તરીકે કામ કરે છે. આવા લોકો નાણા કમાવાની આંધળી દોટમાં લેભાગુ પરિબળોની જાહેરખબર કરવામાં લેશમાત્ર ખચકાટ અનુભવતા નથી કેમ કે તેમનું એકમાત્ર લક્ષ્ય હોય છે - નાણા મેળવવાનું. આ લોકો સ્હેજેય વિચારતા નથી કે તેમનો ટૂંકા ગાળાનો સ્વાર્થ જે તે વ્યક્તિને, તેના પરિવારને તેમજ આમ સમાજને લાંબા ગાળાનું કેટલું નુકસાન કરી રહ્યો છે.
વાચક મિત્રો, આ બધી વાતો હું કહું છું એટલે જ તમારે સાચી માની લેવાની જરૂર નથી, BBC રેડિયો નેટવર્કના અભ્યાસનું તારણ પણ આવું જ કહે છે. ભૂવા-જાગરિયા, જ્યોતિષીઓ, દોરા-ધાગા કરનારા, ફેઇથ હિલર્સ વગેરેની કામગીરી (તમે કરતૂત પણ કહી શકો) અંગે બીબીસી રેડિયો નેટવર્કના રિસર્ચ ડિપાર્ટમેન્ટે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. આ માટે રિપોર્ટરોએ જુદી જુદી ઘટનાઓ, પ્રસંગોની માહિતી એકત્ર કરી. અને તેના આધારે આ સમગ્ર કાર્યક્રમ તૈયાર કરાયો હતો.
તપાસમાં શું જાણવા મળ્યું હતું? આપણા સમાજના અમુક સંખ્યામાં ભાઇઓ કે બહેનો - ખાસ કરીને બહેનો - નજરબંધી, મુઠ મારવી, દોરા-ધાગા, તંત્ર-મંત્રમાં માને છે (અથવા તો તેમના મગજમાં આ બધું સત્ય હકીકત હોવાનું ઠસાવી દેવાયું છે). કમનસીબે આવી ગેરમાન્યતાનો શઠ, લેભાગુ, ધુતારાઓ ભરપૂર ફાયદો ઉઠાવે છે. આવા તત્વો પીડિત વ્યક્તિનું આર્થિક અને માનસિક શોષણ કરે જ છે, મોકો મળ્યે શારીરિક શોષણ કરતાં પણ અચકાતાં નથી. તકલીફ કે સમસ્યાનો ભોગ બનેલી વ્યક્તિ પ્રત્યે તો પ્રેમ, હૂંફ, ઉષ્મા, માનવતા દાખવવાના હોય. આથી ઉલ્ટું, BBCની ટીમને શારીરિક શોષણના પ્રસંગો પણ જાણવા મળ્યા. આવા લેભાગુઓ દુખિયારી વ્યક્તિનો વિશ્વાસભંગ કરીને પણ અટકતા તો નથી જ. પછી ખુલ્લેઆમ આવા પીડિતોને દમદાટી આપીને (બ્લેક મેઈલીંગ કરીને) ધમકાવે છે અને નાણાં પડાવે છે. પીડિત વ્યક્તિની હાલત સૌથી વધુ દયનીય હોય છે - એક સમસ્યા કેડો મૂકતી ન હોય ત્યાં ધુતારાની જાળમાં ફસાય. આવી વ્યક્તિ કોને આ પોતાની વિતક કહેવા જાય? આવું કરવામાં સામાજિક બદનામીની બીક રહે સાથોસાથ પોતે મૂર્ખ બનીને ઠગાયા હોવાનું જાહેર થઇ જાય. આખરે આવા પ્રસંગ ભોંયમાં જ ભંડારાય જાય છે. અને શઠવૃત્તિના તત્વોનો સમાજમાં અડીંગો જામતો જાય છે.
BBCને તપાસમાં એ પણ જોવા મળ્યું કે આવા ભૂવા-જાગરિયાઓ, જંતર - મંતરની જાણકારી ધરાવતા હોવાનો દાવો કરનારાઓ એવી કોઇ લાયકાત પણ ધરાવતા હોતા નથી કેમ કે વાસ્તવમાં આવું કંઇ હોતું જ નથી. તેના પરિણામે સારા-નરસા કરતૂતો પર નજર રાખવાનું કોઇ પણ સંજોગોમાં શક્ય બનતું નથી. આવા લોકો કાળીડિબાંગ રાતમાં ભટકતાં ચોર-ધૂતારા જેવા હોય છે. BBCને તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું કે આવા તત્વોના શોષણનો ભોગ મહદઅંશે હિન્દુ, જૈન અને શીખ સમુદાયના લોકો બને છે. કમનસીબે લંડનથી જ પ્રકાશિત થતું એક ગુજરાતી અઠવાડિક એક થી બે-અઢી પાન ભરી ભરીને આવી જાહેરખબરો છાપે છે. BBCએ શોધી કાઢ્યું છે કે આ કિમિયાગરોમાંથી મોટા ભાગના હિન્દુઓ હોવાની સૂચવતા હોય છે, જેમ કે, ફલાણા બાબા, ફલાણા ગુરુ, ગુજરાતી બાપુ, અઘોરી બાપુ, વગેરે... તેમની જાહેરખબરોમાં હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો પણ જોવા મળશે, પરંતુ વાચક મિત્રો, તમને જાણીને નવાઇ લાગશે કે આમાંથી મોટા ભાગના મુસ્લિમ ધર્મના હોવાનો દાવો કરે છે એમ બહાર આવ્યું છે.
આ ઢોંગી-ધુતારાઓ કેવા-કેવા કામ કરી આપી શકે તેવા દાવાઓ પણ જાણવા જેવા છે. જેમ કે, ધારેલી વ્યક્તિનું મિલન, શત્રુ પર વિજય, દેવામુક્તિ માટે ખાસ મળો, તૂટેલા સંબંધ ફરી જોડવા માટે, મહામોહિની વશીકરણ અને મૂઢ-ચોટના અને બધા જ કાર્યના સ્પેશ્યાલીસ્ટ, લવઅફેર, વનસાઇડ લવ, મેલી વસ્તુ, ફસાયેલાં નાણા, બ્લેકમેજીક, સંતાનત્રાસ, વ્યસન, ભાગ્યોદય , અવળી લત, સ્ત્રી-પુરુષની અંગત સમસ્યા, સાસુ-વહુ-સૌતન (!).... યાદી બહુ લાંબી થાય તેવી છે, આ પાન પણ નાનું પડે તેટલી. પણ અહીં કહેવાનું તાત્પર્ય એ જ છે કે આ લોકો સાવ ખોટે ખોટો દાવો કરે છે કે તેમની પાસે તમારી ‘દરેક સમસ્યાનો ઉકેલ’ છે.
આ તો વાત થઇ સમસ્યાઓની યાદીની. હવે આપણે જોઇએ કે આ લોકો સમસ્યાના નિવારણ માટે કેવી ગેરન્ટી આપે છે ! ૧૦૦ % કામની પાકી ગેરંટી ૭ કલાકમાં કામ સમાધાન... અમારે ત્યાંથી નિરાશ નહીં થાવ એ જ મારી સિદ્ધિ ૧૦૧ % કામની ગેરંટી... ૧૧૦% કન્ફર્મ વીથ ગેરન્ટી ૧૧ કલાકમાં તાત્કાલિક નિકાલ, કામની ૨૧૦ % ગેરંટી સાથે ઝડપી નિકાલ, અશક્યને શક્ય કરનાર... અહાહા, કોઇને વાંચીને જ એમ થઇ જાય કે આવી મજબૂત ગેરંટી આપતો કિમિયાગર ભગવાનથી કંઇ કમ નથી જ!
મિત્રો, મને અહીં જાણીતા ચિંતક-લેખક ગુણવંત શાહે થોડાક વર્ષો તેમના એક લેખમાં - જ્યોતિષીઓની આગાહી સંદર્ભે - ટાંકેલો પ્રસંગ યાદ આવે છે. તેઓ અમેરિકાના પ્રવાસે હતા અને (તે વેળા નાસતાફરતા) લાદેનને શોધવા આકાશપાતાળ એક કરનાર અમેરિકાએ તેના માથા સાટે ૨૫ મિલિયન ડોલરનું ઇનામ જાહેર કર્યું હતું. અખબારમાં એક જ્યોતિષીએ પોતે ત્રિકાળ જ્ઞાની હોવાનો દાવો કરતાં લખ્યું હતું કે તમારા કોઇ પણ પ્રશ્નોના જવાબ માટે મળો કે લખો. ત્રણ પ્રશ્નોના ૫૧ ડોલર કે એવી કંઇક ફી હતી. આવી જાહેરખબરમાં ફોન નંબર તો હોય જ. ગુણવંતભાઇએ નંબર લગાવ્યો અને કહ્યું કે મારે ત્રણ સવાલો નથી પૂછવા... મારો તો એક જ સવાલ છે. અને જો તમે મને તેનો સાચો જવાબ આપશો તો ૫૧ નહીં, ૧૦ મિલિયન ડોલર આપવા તૈયાર છું. ફોન પર સામે છેડે રહેલી વ્યક્તિને પણ રસ પડ્યો. તેણે પૂછ્યુંઃ તમારો સવાલ કહો... ગુણવંતભાઇએ પૂછ્યુંઃ મને કહો લાદેન ક્યાં છુપાયો છે? ઇનામ મળતાં જ તમને ૧૦ મિલિયન ડોલર મોકલી આપીશ...
વાચક મિત્રો, કહેવાની જરૂર ખરી કે સામેની વ્યક્તિએ એ જ ઘડીએ ફોન કાપી નાખ્યો હતો. અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે બીજાની તકલીફો, સમસ્યાઓ, પ્રશ્નો દૂર કરવાનો ઠેકો લઇ બેઠેલા લોકો ધકેલ પંચા દોઢસો જ કરતા હોય છે.
BBCના સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું હતું કે આવા બધા જ ધુતારાઓની કથની અને કરણીમાં આસમાન-જમીનનો ફરક હતો. પીડિતોને નશીલા પદાર્થોના વ્યસનમાંથી છુટકારો અપાવવાનો દાવો કરતાં આ તત્વો ખુદ વ્યસન, કુસંગ વગેરેમાં ફસાયેલા જોવા મળ્યા હતા. BBCનું એક તારણ એવું પણ હતું કે અખબારના પ્રકાશક કે રેડિયો-ટીવીની ચેનલના સંચાલકો આવી ભ્રામક અને છેતરામણી જાહેરખબરો થકી ભલે અઢળક કમાણી કરી લેતા હોય, પણ વાચક, શ્રોતા કે દર્શક મૂર્ખ નથી. મોટા ભાગના લોકો સમજી જાય છે કે માધ્યમો આવી જાહેરખબરો થકી પોતાનું તરભાણું ભરી રહ્યા છે. આથી વહેલા કે મોડા અખબારના વાચકો, રેડિયોના શ્રોતાઓ અને ટીવીના દર્શકો ઘટે છે. સ્વાભાવિક છે કે આની વિપરિત અસર આવક પર તો પડે જ છે, પણ સૌથી મોટો ફટકો કંપનીની આબરૂને, પ્રતિષ્ઠાને પડતો હોય છે.
BBCના રિપોર્ટરે મને આ લાઇવ કાર્યક્રમમાં પૂછ્યું હતું કે માત્ર ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ એવા અખબારો એવા છે જે આ પ્રકારની જાહેરખબર ઘણા વર્ષથી લેતા નથી. આનાથી તમને કેટલું આર્થિક નુકસાન થાય છે?
મારો જવાબ એ જ હતો જે ભૂતકાળમાં પણ આ કોલમમાં રજૂ કરી ચૂક્યો છુંઃ ‘જંતરમંતરના નામે લોકોનું વિવિધ પ્રકારે શોષણ કરતા આ ઢોંગી ધુતારાઓના કરતૂતોની અમને ખબર નહોતી ત્યાં સુધી અમે પણ તેમની જાહેરખબરો પ્રકાશિત કરી છે, પણ જે ઘડીએ હકીકત જાણવા મળી તે જ ઘડીએ આવી જાહેરખબરો બંધ કરી દીધી. અમે નિર્ણય લેતી વખતે આર્થિક નફા-નુકસાનનો વિચાર કર્યો નથી. આવી જાહેરખબર લેવાનું અમે બંધ કર્યું હોવાનું જાણવા મળતાં જ આવા તત્વો જાહેરખબરના ઊંચા દર પણ ચૂકવવા તૈયાર થઇ ગયા હતા, પણ અમારો નિર્ણય અફર હતો, છે અને રહેશે. અમે આવી જાહેરખબરો નકારીને દર સપ્તાહે ૧૦૦૦ પાઉન્ડનું નુકસાન ઉઠાવીએ છીએ, પણ અમે નિર્ણય બદલવા માગતા નથી.’ આવી જાહેરાતો ના લેવા માટે કેટલાક કિમિયાગરોએ નારાજી વ્યક્ત કરી. જંતરમંતર દ્વારા બદલો લેવાની ધમકી પણ આપી હતી.
એક અખબારના પ્રકાશક-તંત્રી દર અઠવાડિયે આટલી મોટી રકમની જાહેરાતો જતી કરીને તગડું આર્થિક નુકસાન ઉઠાવવા તૈયાર છે, પણ જાહેરખબર સ્વીકારવા તૈયાર નથી તે જાણીને BBCના રિપોર્ટરને નવાઇ લાગી. તેણે તરત જ પેટા પ્રશ્ન પૂછ્યોઃ ‘પણ શા માટે?’
વાચક મિત્રો, મારો જવાબ એ જ હતો, જે હું તમને જણાવી ચૂક્યો છુંઃ ‘એક અખબાર તરીકે અમારું સામાજિક ઉત્તરદાયિત્વ છે, જવાબદારી છે અને એબીપીએલ ગ્રૂપ આ ફરજ ચૂકવા માગતું નથી. નાણા માટે થઇને હું વાચકોના હિતનો ભોગ આપી શકું નહીં. નાણાં અને મૂલ્યોને એક ત્રાજવે તોળવાનું શક્ય જ નથી. મૂલ્યોની વાત હોય ત્યારે આર્થિક લાભ-ગેરલાભનો સવાલ જ આવતો નથી...
...અહીં સવાલ આવે છે માધ્યમોની (સમાજ પ્રત્યેની) ફરજનો, જવાબદારીનો. તમારા વાચકો કે શ્રોતાઓ કે દર્શકો અમુકતમુક જાહેરખબરોથી ગેરમાર્ગે દોરાઇ શકે છે, તેમનું અહિત થઇ શકે છે, શોષણ થઇ શકે છે તેવું જાણવા છતાં માત્ર જાહેરખબરની આવક માટે જ નૈતિક મૂલ્યોને કોરાણે મૂકવા એ તો અધમ પાપ છે.’
વાચક મિત્રો, તમને એક બીજી પણ વાત જણાવું. BBCનું સ્પષ્ટ માનવું છે કે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ સમાજમાં મોભાનું સ્થાન ધરાવે છે તેના મૂળમાં મૂલ્યો પ્રત્યેના ફરજપાલન જ રહેલા છે. તેમના મતે, આ બન્ને અખબારો ગોરખ ધંધામાં સાથ આપતા નથી. અને આ માટે મોટો આર્થિક લાભ જવા દેતાં ખચકાતા નથી.
BBCના રિપોર્ટરનું કહેવું હતું કે સમાજમાં તમારા અખબારોને ભારે માન અને આદરની નજરે નિહાળવામાં આવે છે તેના મૂળમાં આ જ વાત છે. આજે પ્રસાર માધ્યમો જાહેરખબર મેળવવા પડાપડી કરતા હોય છે ત્યારે સમાજના હિતમાં આટલી મોટી આવક જતી કરનાર એકમાત્ર પ્રકાશન ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ જ છે. સમાજના હિતચિંતક તરીકેની આ ભૂમિકા જ અખબાર કે રેડિયો કે ટીવીની પ્રતિષ્ઠા વધારતા હોય છે...
ખેર, વાચક મિત્રો, એબીપીએલ ગ્રૂપના પ્રકાશનોની વાહ-વાહી થાય તેનાથી વધુ આનંદ અને ગૌરવની વાત કઇ હોઇ શકે?! ખોટું નહીં હોં, બાપલ્યા... આ સાંભળીને આપણા તો કોલર ઊંચા થઇ ગયા...
શુક્રવાર, ૨૦ ફેબ્રુઆરીના રોજ BBC રેડિયોની એશિયા નેટ ચેનલ પર સવારે ૧૦-૦૦ વાગ્યે પ્રસારિત થયેલા આ કાર્યક્રમના એન્કર હતા શ્રીયુત નિહાલ સિંઘ. તેમણે રિસર્ચના આધારે જે તારણો રજૂ કર્યા હતા, તેમાં અબૂ મહેમૂદ નામના પોતાને હિલર તરીકે ઓળખાવતા એક શખસનો મત પણ રજૂ થયો હતો. અબુ મહેમૂદનો દાવો હતો કે તે જે કંઇ કરે છે તે બરાબર છે, તેમાં કંઇ ખોટું, અયોગ્ય નથી. રસપ્રદ લાઇવ શો દરમિયાન કેટલાક દર્શકોએ પણ ફોન કરીને પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેમણે એવી લાગણી વ્યક્ત કરી હતી કે જંતરમંતર, ભૂવા-જાગરિયા, ફેઇથ હિલર્સ વગેરે નર્યું તૂત છે, બનાવટ છે. આવા લોકોથી બચવું જ જોઇએ. ખરેખર તો આ બધાના મૂળમાં આસાનીથી નાણાં પડાવવાની લાલસા છૂપાયેલી છે. ચર્ચામાં બર્મિંગહામથી ‘ગુરુજી’ નામના એક મહાનુભાવ પણ જોડાયા હતા. અલબત્ત, તેમણે પોતાનું આખું નામ આપવાનું કે ઓળખ જાહેર કરવાનું ટાળ્યું હતું, પણ દાવો કર્યો હતો કે જ્યોતિષ, ફેઇથ હિલર્સ, જંતર-મંતર સેવા કાયદેસર છે. તો વળી, એક શ્રોતા બહેને એવી પણ લાગણી વ્યક્ત કરી કે મારા દીકરાને કોઇની ‘નજર’ લાગી ગઇ હતી, અને હિલર્સની મદદથી તેની અસર દૂર થઇ શકી છે. તુંડે તુંડે મર્તિ ભિન્ના...
આ કાર્યક્રમમાં ડો. હરીશ મહેરા પણ સામેલ થયા હતા. રેશનાલિસ્ટ તરીકે જાણીતા ડો. મહેરા જ્યોતિષ, દોરાધાગા, જંતરમંતરના તૂતમાં લેશમાત્ર માનતા નથી. તેઓ તો સ્પષ્ટ કહે છેઃ ‘હું વર્ષોથી ચેલેન્જ આપતો રહ્યો છું કે મેલીવિદ્યા કે જાદુટોણાં કે જંતરમંતર છે તેવું મને સાબિત કરી દેખાડો, પણ આજ સુધીમાં કોઇ માઇના લાલે આ પડકાર ઝીલ્યો નથી. અરે, હું તો મારું સરનામું પણ આપું છું, પણ કોઇએ મારો સંપર્ક કર્યો હોવાનું યાદ નથી.’
સરવાળે કાર્યક્રમનો સૂર એવો નીકળ્યો હતો કે સમાજનું શોષણ કરતાં શેતાની પ્રવૃત્તિના માણસથી જાગૃત રહેવું જરૂરી છે. સમસ્યા ગમે તેવી જટિલ કેમ ન હોય, તેનો ઉકેલ હોય જ છે. સમસ્યાના નિવારણ માટે ભૂવા-જાગરિયા કે જંતરમંતર કરનારાનું શરણું સ્વીકારીને ઉલમાંથી ચૂલમાં પડવાની જરૂર નથી.
આ દેશમાં કાયદો અને વ્યવસ્થાના પાલન માટે સબળ તંત્ર હોવા છતાં કમનસીબીની વાત એ છે કે ધોળા દહાડે લોકો સાથે છેતરપિંડી આચરતા આવા ધુતારાઓ, ઠગારાઓને અંકુશમાં રાખી શકાતા નથી. પોલીસને બે આંખ હોય છે તો ચોરને ચાર હોય છે, તેના જેવી આ વાત છે. આ લોકો કાયદાની છટકબારીમાંથી નીકળી જાય છે.
વાચક મિત્રો, એક અખબાર તરીકે, અમે આવા લોકોની જાહેરખબર પ્રકાશિત કરવાનું બંધ કરી શકીએ, લોકોમાં જાગૃતિ વધે તેવા પ્રયાસ કરી શકીએ... આથી વિશેષ તો શું કરી શકીએ? હા, એક વાચક, શ્રોતા કે દર્શક તરીકે તમે અવશ્ય કેટલાક વિશેષાધિકાર ધરાવો છો. તમે આવી જાહેરખબર પ્રકાશિત કરતાં અખબાર-સાપ્તાહિકોના પ્રકાશક-તંત્રીઓને કે ટીવી-રેડિયો ચેનલના સંચાલકોને ફોન, પત્ર કે ઇ-મેઇલ પાઠવીને લાગણી વ્યક્ત કરી શકો છો કે ઢોંગી ધુતારાઓ તો સમાજને લૂંટવા જ બેઠા છે, પણ તમે શા માટે તેમના હાથા બનો છો? કમાણી કરવાના અનેક રસ્તા છે... લાલચનો માર્ગ છોડો અને આવા તત્વોની જાહેરખબરોનો બહિષ્કાર કરો. આવી જાહેરખબરો છાપવાનું બંધ કરવું તે પણ એક પ્રકારે તો સમાજસેવા છે. (ક્રમશઃ)