રાહુલનો બદલાયેલો અભિગમ પક્ષને ફળે તો સારું

Wednesday 06th May 2015 05:46 EDT
 

પ્રતિભા કરતાં (ગાંધી) પરંપરાને પૂજવાની માનસિક્તા ધરાવતા કોંગ્રેસીઓ પાછા સક્રિય થતા દેખાય રહ્યા છે. લગભગ બે મહિનાની રજા ભોગવીને પાછા ફરેલા રાહુલબાબાએ આક્રમક અભિગમ સામે મોદી સરકાર સામે બાંયો ચઢાવી હોવાથી કાર્યકરો ખુશ છે. વેકેશનમાંથી આવીને સૌથી પહેલાં દિલ્હીમાં ખેડૂતોની મહારેલી સંબોધતા મોદી સરકારના જમીન સંપાદન બિલને જાકારો આપવાનું એલાન કર્યું. આ પછી લોકસભામાં આ બિલ મુદ્દે મોદી સરકાર પર પસ્તાળ પાડીને દેશના ખેડૂતોની લાગણીને વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો. અને હવે તેઓ કુદરતના કહેરનો ભોગ બનેલા ખેડૂતોના હાલચાલ જાણવા વિવિધ રાજ્યોમાં ફરી રહ્યા છે. પહેલાં પંજાબ ગયા અને પછી મહારાષ્ટ્ર પહોંચ્યા. બદલાયેલી શૈલી, અદા અને બોડી લેંગ્વેજ સાથેની રાહુલની આક્રમકતાએ શાસક પક્ષને બેચેન બનાવી દીધો હોય તો નવાઇ નહીં.
ગયા વર્ષે લોકસભાની ચૂંટણીઓ પૂર્વે રાહુલ ગાંધીએ દેશનાં વંચિતો અને દલિતોનો પ્રશ્ન ઉપાડીને મહારાષ્ટ્ર, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં પદયાત્રાઓ કરી હતી. લોકોને રૂબરૂ મળીને તેમની મુશ્કેલીઓ જાણી હતી. એ વખતે લાગતું હતું કે રાહુલ દેશના કચડાયેલા બહુમતી વર્ગનો અવાજ બનશે અને એ રીતે કોંગ્રેસને સતત ત્રીજી ટર્મ સત્તા અપાવશે, પરંતુ આવું કંઇ થયું નહીં. આથી ઊલ્ટું, કોંગ્રેસે તેના ઇતિહાસનો સૌથી કારમો પરાજય વેઠ્યો. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સમાજના કોઇ વર્ગનો વિશ્વાસ જીતી શકી નહોતી તેવું મતદાનના આંકડાઓ કહે છે. તો શું આ વખતે પણ રાહુલની પદયાત્રાઓ, પ્રવચનો, સરકારની નીતિરીતિનો વિરોધ કાગળ પર જ રહી જશે? ના. બે મહિનાના લાંબા વેકેશન પછી ઉર્જા ભરીને આવેલા રાહુલ ગાંધીએ હવે વાસ્તવિક બનવાનો પ્રયાસ કર્યો હોય તેવું જણાય છે. તેમણે કુદરતી આફત અને સરકારી ઉપેક્ષાનો સામનો કરી રહેલા ખેડૂતોની વ્યથા સાંભળવાનો નિર્ણય કર્યો છે. વળી, તેમને સંજોગોનો પણ સાથ મળી રહ્યો હોય તેવું જણાય છે.
રાહુલ ગાંધીએ જમીન સંપાદન વટહુકમના વિરોધમાં સરકારને ભીંસમાં લીધી એ જ સમયે દિલ્હીમાં ‘આપ’ની રેલીમાં ગજેન્દ્ર સિંહની જીવન ટૂંકાવવાની ઘટનાએ બધાનું ધ્યાન આર્થિક બોજ તળે દટાયેલા ખેડૂતોના આપઘાત તરફ વાળી દીધું. આ પછી તરત તેઓ કુદરતના કોપનો ભોગ બનેલા પંજાબ અને મહારાષ્ટ્રના ખેડૂતોને મળી આવ્યા. રાજ્યો જુદા જુદા હતા, પણ તેમનો સૂર એક હતોઃ આજે દેશ અનાજની કટોકટીનો સામનો કરી રહ્યો છે ત્યારે સરકાર ખેડૂતોને તરછોડી રહી છે, મૂડીવાદીઓની મદદ કરી રહી છે. સ્થિતિ ચિંતાજનક છે. ખેડૂતો ઉપેક્ષાની લાગણી અનુભવે છે. મુશ્કેલીમાં સરકારે મદદનો હાથ લંબાવવો જોઇએ, પણ રાજ્ય અને કેન્દ્ર સરકારે તેમને તરછોડ્યા છે... વગેરે વગેરે.
મહારાષ્ટ્રમાં પદયાત્રા દરમિયાન દરમિયાન તેઓ ૧૫ કિલોમીટર જેટલું ચાલ્યા અને રસ્તામાં ખેડૂતોને મળીને વાતચીત કરી. રસ્તામાં હિરાપુર ગામમાં એક મંદિર પાસે શણની ચટાઈ પર બેસીને ખેડૂતોની સમસ્યા સાંભળી. ટ્રેનમાં પ્રવાસ કરીને સામાન્ય વર્ગ સાથે નાતો જોડવા પ્રયાસ કર્યો. અલબત્ત, તેમનો આ પ્રયાસ પક્ષ માટે કેટલો લાભકારક પુરવાર થાય છે એ તો આવનારો સમય જ કહેશે, પરંતુ તેમના વાણી અને વર્તન પ્રજા સાથેનો નાતો મજબૂત બનાવવાની સાથોસાથ અસરકારક વિપક્ષી નેતા તરીકેની છાપ ઉપસાવી રહ્યા હોય એવું અત્યારે તો લાગે છે.


comments powered by Disqus