વધુ પડતા એનર્જી ડ્રિંક્સથી હૃદયરોગનો ખતરો

Wednesday 06th May 2015 06:33 EDT
 
 

વોશિંગ્ટનઃ વધારે પડતું એનર્જી ડ્રિંક્સ પીવાથી હૃદયરોગનો ખતરો સર્જાય છે, અને કેટલાક કિસ્સામાં વ્યક્તિનું મૃત્યુ પણ નીપજી શકે છે. વિજ્ઞાનીઓએ સ્વસ્થ આરોગ્ય ધરાવતાં લોકોને પણ એનર્જી ડ્રિંક્સ સામે ચેતવણી આપી છે. સંશોધકોના મતે યુવાનોમાં એનર્જી ડ્રિંક્સ પીવાના ચલણમાં વધારો થઇ રહ્યો છે, પણ એનર્જી ડ્રિંક્સ યુવાનોના હૃદય પર ગંભીર જોખમ ઊભું કરે છે તે બહુ ઓછા લોકો જાણે છે.
રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ઓફ હોસ્પિટલની ઇન્ટરનેશનલ રિસર્ચ ટીમે અભ્યાસના આધારે નોંધ્યું હતું કે એનર્જી ડ્રિંક્સ પીવાના કારણે યુવાનોમાં અચાનક હૃદયરોગના હુમલાના કારણે મોતના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. બીજી તરફ પહેલેથી હૃદયરોગનો સામનો કરી રહેલા લોકોમાં સડન એરિથમેથિક ડેથ સિન્ડ્રોમ (એસએડીએસ)માં અને અન્ય હૃદયરોગમાં વધારો નોંધાઇ રહ્યો છે. કેટલાક કિસ્સામાં તો એનર્જી ડ્રિંક્સ પીનારા માત્ર ૧૩ વર્ષના બાળકોમાં પણ હૃદયરોગના સંકેત જોવા મળ્યાં હતાં. અંદાજ અનુસાર, ૧૨થી ૧૯ વર્ષના ૩૧ ટકા યુવાનો દરરોજ એનર્જી ડ્રિંક્સ પીતા હોવાનું મનાય છે. એનર્જી ડ્રિંક્સમાં કેફિનનું ખૂબ ઊંચુ પ્રમાણ હોય છે. કેફિનનું મર્યાદિત પ્રમાણમાં સેવન સલામત ગણાય છે, પણ જો તેને ખૂબ વધુ પ્રમાણમાં લેવામાં આવે તો ગંભીર વિપરીત અસરો જોવા મળી છે.


comments powered by Disqus