લોસ એન્જલસઃ વિશ્વમાં લાખો લોકો તેમના સ્વાસ્થ્યના જતન માટે ગ્રીન ટીનો સ્વાદ માણે છે. સ્વાસ્થ્યના સંદર્ભમાં ગ્રીન ટીના અનેક લાભ તેની ના નહીં, પરંતુ જો આ જ સ્વાસ્થ્યવર્ધક ગ્રીન ટીના વધુ પડતા ડોઝ લેવામાં આવે તો તે નકારાત્મક અસર પણ કરી શકે છે તેમ એક નવા અભ્યાસમાં જણાયું છે.
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-ઈરવિન (યુસીઆઈ)ના સંશોધકોને ફ્રૂટ ફ્લાય પર હાથ ધરાયેલા અભ્યાસમાં જણાયું હતું કે ગ્રીન ટીના વધુ પડતા વપરાશથી તેની વસતીની પ્રજોત્પતિ પર વિપરીત અસર થાય છે. આ જ વાતની માણસ પર વિપરીત અસર થાય છે કે કેમ તે હજી સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ સંશોધનના તારણો ગ્રીન ટી અથવા કોઈ પણ કુદરતી ઉત્પાદનના વધુ પડતા ડોઝ સામે ચેતવણી આપે છે.
ફાર્માસ્યુટિકલ સાયન્સના એસોસિએટ પ્રોફેસર મહતાબ જાફરીના નેતૃત્વમાં યુસીઆઈની એક ટીમે ડ્રોસોફિલા પર ગ્રીન ટી ટોક્સિટીની અસરોની તપાસ કરી હતી. સંશોધકોને જણાયું હતું કે ૧૦ મી.લી. ગ્રીન ટીથી ફ્રૂટ ફ્લાયનું પ્રજોત્પાદન ધીમું પડ્યું હતું અને તે ભૂખ લાગવા અંગે વધુ સંવેદનશીલ બને છે. જોકે તેને ડિહાઈડ્રેશન સામે રક્ષણ મળે છે.

