વોશિંગ્ટનઃ વજન ઘટાડવું હોય અને બ્લડ-શુગર કન્ટ્રોલમાં રાખવું હોય તો ભોજનમાં જવને સામેલ કરો. અમેરિકાની લુન્ડ યુનિવર્સિટીના રિસર્ચરોએ બાર્લી એટલે કે જવમાં ખાસ પ્રકારનું ફાઇબરનું મિશ્રણ હોવાનું નોંધ્યું છે, જે શરીર માટે એક નહીં, અનેક રીતે ફાયદાકારક છે. ખોરાકમાં ફાઇબરનું પ્રમાણ વધે તો એનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. ઝડપથી ભૂખ લાગતી ન હોવાથી કુદરતી રીતે ઓછું ખવાય છે અને ધીમે-ધીમે પાચન થતું હોવાથી લોહીમાં અચાનક જ શુગરનું પ્રમાણ વધી જતું નથી.
રિસર્ચરોનું કહેવું છે કે જવમાં રહેલા ખાસ પ્રકારના ફાઇબરથી પાચનક્રિયા દરમિયાન સારા બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે. આ ફાઇબરથી શરીર માટે જરૂરી હોર્મોન્સના સ્ત્રાવનું પણ પ્રમાણ વધે છે. આ હોર્મોન્સ શરીરમાં ક્યાંય પણ ઇન્ફલમેશન થતું રોકે છે. રિસર્ચરોએ ઉપરના આવરણ સહિતનાં જવના લોટમાંથી બનેલી બ્રેડ વોલન્ટિયર્સને ત્રણ ટાઇમ ખાવા આપી હતી.
બ્રિટિશ જર્નલમાં નોંધાયેલા અભ્યાસ મુજબ, ભોજનમાં નિયમિત જવ ખાવાથી શરીરમાં ઇન્ફલમેશન થતું હોય તો એ મટે છે. પાચનક્રિયા સરળ બને છે. બ્લડ-શુગર નિયંત્રણમાં આવે છે અને વારંવાર ખોટી ભૂખ લાગતી નથી. જવમાં રહેલાં ખાસ ફાઇબરના કારણે રક્તવાહિનીઓમાં ઇન્ફલમેશન ઘટે છે અને ફાઇબરને કારણે અંદર જમા થતો પ્લાક પણ અટકે છે જે રક્તવાહિનીઓને લગતી હૃદયની બીમારીઓથી પણ બચાવે છે.

