કોમેડિયન કપિલ શર્માના તેના સાથી કલાકારો સાથેના ગેરવર્તનના કારણે તેના શો પર માઠી અસર પડી શકે છે. હાલમાં જ સુનીલ ગ્રોવર અને ચંદન પ્રભાકર સાથે થયેલા ઝઘડાના કારણે તેઓની દોસ્તીમાં તો તિરાડ પડી જ છે, પણ કપિલનો શો પણ હવે બંધ થવાના આરે છે. બી ટાઉનમાં ચર્ચા છે કે આ વિવાદને લીધે સોની ચેનલ હવે આ શો બંધ કરવાનું વિચારી રહી છે. અહેવાલો પ્રમાણે આવતા મહિને આ શોનું રિન્યુઅલ થવાનું છે. આ શો માટે રૂ. ૧૦૬ કરોડ રૂપિયાની ડિલની વાત હતી, પણ શોમાં કામ કરનારા કલાકારો અને બોલિવૂડ સિતારાઓના બહિષ્કારના કારણે ચેનલ આ કોમેડી શો રિન્યુ ન પણ કરે. જોકે ચેનલ તરફથી હજી આ અંગે કોઈ જાણકારી કે નિવેદન નથી પણ જો કોન્ટ્રાક્ટ રિન્યુ ન થાય તો આ શો બંધ થઈ શકે છે. મીડિયા અહેવાલો પ્રમાણે, ઓસ્ટ્રેલિયાથી ઇન્ડિયા આવતી વખતે ફ્લાઈટમાં સહકલાકાર સુનીલ ગ્રોવર સાથે કપિલે ગેરવર્તન કરવાના કારણે ઘણા સેલિબ્રિટીઝ તેના શો પર આવવાની ના કહી રહ્યા છે. ત્યાં સુધી કે કપિલે તાજેતરમાં શો માટે શૂટિંગ પણ કેન્સલ કરાવવું પડ્યું હતું.

