સંજય દત્તની લેટનાઇટ પાર્ટીથી તાજેતરમાં ફરી વખત તેના પડોશીઓને ત્રાસ થયો હતો. આ પહેલાં ૧૪ જાન્યુઆરીએ પણ પડોશીઓની ફરિયાદ પછી સંજુબાબાને ચેતવણી અપાઈ હતી કે લેટનાઈટ પાર્ટીથી આજુબાજુના રહીશોને તકલીફ ઊભી ના કરો. પાલી હિલ રેસિડેન્ટ એસો.ના ચેરેમન અમિતાભ શુક્લાના જણાવ્યા અનુસાર, ૧૪મીએ સંજયની લેટનાઇટ પાર્ટીથી બધા પડોશીઓ પરેશાન થયા હતા અને પાંચમી ફેબ્રુઆરીએ રાત્રે સાડા અગિયાર વાગ્યે પણ સંજયે ટેરેસ પર જોરથી મ્યુઝિક મૂક્યું હતું. પહેલાં અમે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો. એક મહિલાએ અમારી ફરિયાદ સાંભળી, પણ કોઈ પગલાં ન લેવાયા. વચ્ચે મ્યુઝિક હળવું થયું એ પછી ફરી રાત્રે દોઢ વાગ્યે જોરથી મ્યુઝિક વગાડાયું. એ પછી અમે ફરી પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફરિયાદ કરી, પણ કોઈ એક્શન ન લેવાતાં અમે સીધા ખાર પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. તે પછી મ્યુઝિક બંધ થયું હતું.

