ટાઈપ-વન ડાયાબિટીસ દર્દી માટે આશાનું કિરણ

Wednesday 10th May 2017 07:40 EDT
 
 

લંડનઃ ટાઈપ-વન ડાયાબિટીસના દર્દીઓ સાજા થઈ શકે તેવું આશાનું કિરણ દેખાયું છે. એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોને જણાયું છે કે આ દર્દીઓમાં ઈન્સ્યુલિન ઉત્પન્ન કરતાં મોટા ભાગના કોષો મૃત નહીં પરંતુ માત્ર નિષ્ક્રિય અવસ્થામાં હોય છે. યુનિવર્સિટી ઓફ એક્સેટરના પ્રો. નોએલ મોર્ગને જણાવ્યું હતું કે આ કોષોને પુનઃજીવિત કરીને દર્દીને સાજો કરી શકાય તેવું બની શકે. જોકે, આ વાત માત્ર યુવા દર્દીઓને જ લાગુ પડી શકે. વૈજ્ઞાનિકોના મતે શરીરમાં ઈન્સ્યુલિન પેદા કરતાં કોષોની સંખ્યા ૯૦ ટકાથી ઘટી જાય ત્યારે વ્યક્તિને ટાઈપ-વન ડાયાબિટીસ થયો હોવાનું કહેવાય છે. યુનિવર્સિટી ઓફ ઓસ્લો ખાતે વૈજ્ઞાનિકો સાથે બ્રિટિશ ટીમે આ રોગથી પીડાતા દર્દીઓના સ્વાદુપિંડના ૪૦૦ નમૂનાનું વિશ્લેષણ કર્યું હતું. તેમાં જણાયું હતું કે છ અથવા તેથી ઓછી વયના બાળકોમાં આ રોગ વધુ ઝડપથી અસર કરતો હતો. ઈન્સ્યુલાઈટીસ તરીકે ઓળખાતી આ અવસ્થામાં બાળકોના સ્વાદુપિંડમાં ઈન્સ્યુલિન પેદા કરતાં તમામ બીટા કોષો નાશ પામતા હોય છે. જ્યારે તેનાથી તદ્દન ઉલટું તરુણ અથવા યુવાન દર્દીઓમાં ૫૦ ટકાથી વધુ બીટા કોષો હાજર જણાયા હતા. બ્રિટનમાં અંદાજે ૪,૦૦,૦૦૦ લોકોને ટાઈપ-વન ડાયાબિટીસ છે અને તેમાંના મોટાભાગના દર્દીને છ વર્ષના થયા ત્યાં સુધી ડાયાબિટીસ થયો નહોતો. યુનિવર્સિટી ઓફ એક્સેટર મેડિકલ સ્કૂલના ડો. સારા રિચાર્ડસને જણાવ્યું હતું કે નાના અને મોટા બાળકોમાં ડાયાબિટીસની અસર શા માટે અલગ થાય છે તેનો હવે અભ્યાસ કરાશે.


comments powered by Disqus