અભિનેતા - નેતા વિનોદ ખન્નાના મૃત્યુ બાદ ગુરદાસપુર, પઠાણકોટ લોકસભા બેઠક ખાલી પડી છે. હાલમાં ચર્ચા છે કે એક્ટર અક્ષયકુમાર ભાજપના ઉમેદવાર બનીને આ બેઠક સંભાળી શકે છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે આ બેઠક વિનોદ ખન્નાનાં પત્ની કવિતાને હવાલે પણ થઈ શકે છે. ક્રિકેટર, કોમેન્ટ્રેટર, કોમેડિયન અને નેતા નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ પક્ષ છોડી દીધો એ પછી ભાજપ પાસે હવે સિદ્ધુ જેવા નેતા પણ નથી કે જે પંજાબની કોઈ પણ બેઠકનું સુપેરે સુકાન સંભાળે. પક્ષને લાગે છે કે અક્ષય કુમાર આ ખોટ પૂરી કરી શકે તેમ છે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓને ધ્યાને લેતાં ભાજપ પંજાબ એક નવો અને લોકપ્રિય ચહેરો ઈચ્છે છે. અક્ષયકુમાર પર પંજાબી સમુદાયને વિશ્વાસ બેસી શકે તેમ છે તેથી ભાજપી નેતાઓનું માનવું છે કે પક્ષને તેનો ફાયદો મળી શકે છે.

