પ્રખ્યાત ગાયક સોનુ નિગમે ૧૭મી એપ્રિલે એક પછી એક ટ્વિટ કરી કે, ઇશ્વરની કૃપા તમામ પર રહે. હું મુસ્લિમ નથી. દરરોજ સવારે અઝાનને કારણે મારી ઊંઘ ખરાબ થાય છે. ધર્મને બળજબરીથી થોપવાનું ક્યારે બંધ થશે? તેણે આ પ્રવૃત્તિને ગુંડાગીરી પણ ગણાવી હતી. સોનુના નિવેદનોથી સોશિયલ મીડિયામાં સારી નરસી ઘણી પ્રતિક્રિયા આવી હતી.
સોનુએ એક ટ્વિટમાં કહ્યું હતું કે, જે વખતે મહોમ્મદસાહેબે ઇસ્લામ ધર્મ બનાવ્યો હતો ત્યારે વીજળી ન હતી. એડિસનના સંશોધન પછી આપણને આટલો શોરબકોર કરવાની શી જરૂર છે? સોનુએ ઉમેર્યું હતું કે, જે મંદિર અથવા ગુરુદ્વારા ધર્મનું પાલન નથી કરતા તે ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ લોકોને સવારે જગાડવા માટે કરે તેને હું યોગ્ય નથી માનતો. એ પછીની ટ્વિટમાં સોનુએ આવી પ્રવૃત્તિઓને ગુંડાગીરી પણ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, લાઉડસ્પીકરથી પોતાની શ્રદ્ધાનું પ્રદર્શન બીજું કંઈ નહીં, પણ ગુંડાગીરી છે. સોનુના નિવેદનથી કેટલાક મુસ્લિમ નેતાઓએ આકરી પ્રતિક્રિયા આપી છે.

