લંડનઃ પેરન્ટ્સ જ્યારે તેમના સ્માર્ટફોન પર વધુ સમય વીતાવતા હોય ત્યારે બાળકોનું વર્તન ખૂબ બગડી જતું હોવાનું અભ્યાસમાં જણાયું હતું. માતા અથવા પિતા બાળકો સાથે વાતચીત કરતા સ્માર્ટફોન, ટેબ્લેટ અથવા લેપટોપ પર વ્યસ્ત થઈ જવાને કારણે વાતચીત કેટલી વખત અટકી જાય છે તે જાણવા માટે ૧૭૦ પરિવારનો અભ્યાસ હાથ ધરાયો હતો.
લગભગ ૫૦ ટકા પેરન્ટ્સે પોતાના બાળકો સાથેની વાતચીત ત્રણ વખત અટકી જતી હોવાનું જ્યારે ૨૫ ટકાએ બે વખત વાતચીત ખોરવાતી હોવાનું જણાવ્યું હતું. બાળકો કેટલી વખત હતાશ, ફરિયાદ કરતા અને ઉદાસ થઈ જાય છે તેમજ નખરા કરતા તથા વધુ પડતા સક્રિય થઈ જાય છે તેને લગતા પ્રશ્રોના જવાબ દ્વારા પેરન્ટ્સે બાળકોના વર્તનનું મૂલ્યાંકન કર્યું હતું.
અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગન એન્ડ ઈલિનોઈસ સ્ટેટ યુનિવર્સિટીના શિક્ષણવિદોને અભ્યાસમાં જણાયું હતું કે જે બાળકોના પેરન્ટ્સે તેમની સાથે વાત કરતા સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોવાનું કબૂલ્યું તે બાળકોમાં સામાન્ય રીતે આવું થતું હોય છે.
