દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાન્ત રાજકારણમાં પ્રવેશશે એવા અહેવાલો વચ્ચે રજનીકાન્તના બેન્ગલૂરુમાં રહેતા ભાઇ સત્યનારાયણ રાવ ગાયકવાડે કહ્યું છે કે રજનીકાન્ત જુલાઇના અંત સુધી રાજકારણમાં એન્ટ્રી કરી લેશે.
સત્યનારાયણનું કહેવું છે કે, લોકો ઇચ્છે છે કે રજનીકાન્ત રાજકારણમાં આવે. તેઓ જુલાઇ અંત સુધીમાં પોતાના પક્ષની ઘોષણા કરે તેવી શક્યતા છે. અલબત્ત, રાજકારણમાં પ્રવેશવા બાબતે રજનીકાન્ત તરફથી કોઇ પ્રત્યક્ષ સંકેત મળ્યા નથી. પરંતુ તેણે ૧૯ મેના એમ કહ્યું હતું કે રાજનીતિમાં તો સારા નેતાઓ છે, પરંતુ વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર છે. તેણે પોતાના ચાહકોને સિસ્ટમમાં સુધાર લાવવા અને એ માટે લડવા માટે તૈયાર રહેવાની પણ અપીલ કરી હતી. રજનીકાન્તે કહ્યું હતું કે આપણી પાસે (એમકે) સ્ટાલિન, અંબુમણિ (રામદાસ) અને સીમન જેવા સારા નેતાઓ છે. પરંતુ વ્યવસ્થા ખરાબ છે.

