લાહોરઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક વ્યક્તિ છેલ્લા ૨૫ વર્ષથી માત્ર વૃક્ષના પાંદડા, લાકડા, ડાળીઓ ખાઈને જીવે છે અને તેમ છતાં તે કદી બીમાર પડી નથી. ૫૦ વર્ષીય મહમૂદ બટ્ટ પંજાબના ગુજરાંવાલા જિલ્લાનો વતની છે તે ૨૫ વર્ષનો હતો ત્યારે તેની સ્થિતિ એટલી ગરીબ હતી કે દિવસમાં એક ટંક ભોજન મળતું ન હતું.
પણ તેમણે વિચાર્યું કે શેરીઓમાં ભીખ માગવા કરતા તો વૃક્ષના પાંદડા અને ડાળખા ખાઈને નભવું સારું અને તેમણે અમલ ચાલુ કરી દીધો. રોજ વડલો, પીપળો, પીપળ અને તુલસીના પાંદડા તો ખાય જ છે, પણ પોચી ડાળીઓ અને ચાવીને ખાઈ શકાય તેવા લીલા ડાળખા પણ ખાય છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તેમણે આ વનસ્પતિ ભોજન ચાલુ કર્યું ત્યારથી તેઓ કદી બીમાર પડયા નથી.
તે પછી ભાગ્યચક્ર ફર્યું. તેઓ તેમની ખચ્ચર ગાડીમાં એક સ્થળેથી બીજા સ્થળે વસ્તુ પહોંચાડવાનું કામ કરીને રોજના ૫૦૦-૬૦૦ રૂપિયા કમાઈ લે છે. હવે તેમને ભોજન મેળવવું મુશ્કેલ નથી. આરામથી તેમનું જીવન ચાલે છે પણ પછી તેમને પોતાની આદત બદલવાનું ગમ્યું નહીં અને રાબેતા મુજબ તાજા પાંદડાં, ડાળખાં ખાવાનું ચાલુ રાખ્યું. પરિણામે આજે ૫૦ વર્ષે પણ તેમનું મેનુ બદલાયું નથી.
વળી તેમનું આરોગ્ય પણ જળવાઈ રહ્યું છે. તેઓ કદી બીમાર પડયા નથી. તેમના પડોશી ગુલામ રસુલનું કહેવું છે કે અમને હજી સુધી એ વાત સમજાઈ નથી કે મહમૂદ બટ્ટ આટલા વર્ષોથી પાંદડા અને તાજા (લીલા) લાકડા ખાઈને કયા પ્રકારે જીવી શકે? તે છતાં આટલા વર્ષ સુધી બીમાર પણ પડયા નથી.
મહમૂદનું કહેવું છે કે તેઓ કોઈ પણ સમયે રસ્તાની એક બાજુની ધારે તેમના ગાડાને ઉભું રાખી દે છે અને પેટભરીને પાંદડા, લાકડા ખાઈને... હોઈઆ ઓડકાર ખાઈ પાણી પી લીધા બાદ ગાડું લઈને કામે ચડી
જાય છે.

