લંડનઃ કતારના પૂર્વ વડાપ્રધાન હામદ બિન જાસીમ અને ન્યૂયોર્કના પ્રોપર્ટી માંધાતા બેન એશ્કેનાઝી લંડનની ગ્રોવનર હાઉસ તેમજ ડ્રીમ્સ અને પ્લાઝા સહિત ત્રણ લક્ઝરી હોટલ ખરીદવા માટે ભારતના સહારા ગ્રૂપ સાથે વાટાઘાટો કરી રહ્યા છે. આ સોદો ૧.૨ બિલિયન ડોલર (૯૪૦ મિલિયન પાઉન્ડ) માં થશે તેમ મનાય છે.
સહારા ગ્રૂપ તેના વડા સુબ્રતો રોયને છોડાવવા જામીનની રકમ એકત્ર કરવાની વ્યવસ્થા કરી રહ્યું છે. તાજેતરમાં ભારતની સુપ્રિમ કોર્ટે સહારા ગ્રૂપને ૭૫ મિલિયન પાઉન્ડનો પ્રથમ હપ્તો ભરવા માટેની મુદત ૫ જુલાઈ સુધી લંબાવી આપી હતી. સહારાએ અગાઉ ગ્રોવનર હાઉસ માટે સર ડેવિડ અને સર ફ્રેડરિકની ૬૨૫ મિલિયન પાઉન્ડ અને રૂબેન્સની ૬૦૦ મિલિયન પાઉન્ડની ઉંચી ઓફર તે વખતે શા માટે ફગાવી દીધી હતી તેવા નિરીક્ષકોના પ્રશ્રના જવાબમાં સહારાના સૂત્રે જણાવ્યું હતું કે તે ઉંચી ઓફરોમાં ‘ઘણી શરતો’ સામેલ હતી જેનાથી વેચાણ અશક્ય બન્યું હતું.

