શ્રીલંકામાં હિંસા બાદ ઇમરજન્સી લાગુઃ ભારતીય ક્રિકેટ ટીમ કોલંબોમાં

Wednesday 07th March 2018 06:01 EST
 
 

કોલંબોઃ શ્રીલંકામાં ગયા વર્ષથી બે કોમ્યુનિટીઝ વચ્ચે વધી રહેલા તણાવના પગલે ઇમરજન્સી જાહેર કરાઈ છે. શ્રીલંકન બૌદ્ધ સમુદાયે મુસ્લિમ સમુદાય સામે અન્ય લોકોને ઇસ્લામ ધર્મમાં કન્વર્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. છઠ્ઠી માર્ચે ગવર્મેન્ટના સ્પોક્સપર્સનના જણાવ્યા અનુસાર, સરકારે હાલ ૧૦ દિવસની ઇમરજન્સી જાહેર કરી છે. સોમવારે મેજોરિટી સિંહાલી બૌદ્ધ અને માઇનોરિટી મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે કેન્ડી જિલ્લામાં અથડામણ થયા બાદ આ નિર્ણય લેવાયો છે. શ્રીલંકા સરકારનું કહેવું છે કે, ઇમરજન્સી લાગુ કરવાનો મૂળ હેતુ હિંસા ફેલાવનાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો છે. આ નિર્ણય સોમવારે કેન્ડીની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવ્યા બાદ લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ નિદાહાસ ટ્રોફી ટ્રાઇ સીરિઝ રમવા માટે શ્રીલંકામાં હતી. છઠ્ઠીએ સાંજે સીરિઝની પહેલી મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી.
શ્રીલંકામાં આ પહેલાં પણ ધાર્મિક હિંસાની અનેક ઘટનાઓ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં મુસ્લિમોની વસતી માત્ર ૧૦ ટકા છે, જ્યારે બૌદ્ધ સિંહલાની વસતી અંદાજિત ૭૫ ટકા છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી તણાવ

• છેલ્લાં ઘણાં વર્ષોથી અહીંની બૌદ્ધ અને મુસ્લિમ કોમ્યુનિટી વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.
• અહીંની બૌદ્ધ કોમ્યુનિટીએ મુસ્લિમ કોમ્યુનિટી સામે આરોપ લગાવ્યો છે કે, તેઓ બળજબરીપૂર્વક લોકોને ઇસ્લામ ધર્મ અપનાવવાનું દબાણ કરે છે. આ સિવાય બૌદ્ધ આર્કિઓલોજિકલ સાઇટ્સને પણ ખાલી કરવાનો આરોપ લગાવ્યો છે. • શ્રીલંકાના સ્પોક્સપર્સનલ દયાસિરી જયસેકારાના જણાવ્યા અનુસાર, 'આ તણાવના પગલે આગામી ૧૦ દિવસ સુધી ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં કોમી રમખાણની સ્થિતિ ના સર્જાય. આ ઉપરાંત જે લોકો ફેસબુકના માધ્યમ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે તેઓની સામે પણ તત્કાલિન પગલાં લેવામાં આવી રહ્યા છે.' • સોમવારે કેન્ડી જિલ્લામાં બૌદ્ધ ધર્મના એક વ્યક્તિનું મોત થયા બાદ, ટોળાંએ મુસ્લિમની દુકાન સળગાવી દીધી હતી. • આ હિંસક ઘટના બાદ સરકારે કેન્ડીના સ્થાનિક વિસ્તારોમાં કરફ્યૂ લગાવી દીધો હતો.


comments powered by Disqus