BAPS સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સાધુ પૂ. ત્યાગવલ્લભ સ્વામી તા.૧૦ ઓગસ્ટે લંડન પધારી રહ્યા છે. આગામી નવેમ્બર સુધી યુકે અને યુરોપમાં રોકાણ દરમિયાન તેઓ હરિભક્તોને કથા વાર્તાનો લાભ આપશે. તા.૧૧થી ૧૬ ઓગસ્ટ દરમિયાન BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન ખાતે તેમની વિશેષ ઉપસ્થિતિમાં સભાઓ યોજાશે. આ મહિનાના બે વીકેન્ડમાં વોરવિક યુનિવર્સિટી ખાતે બાળકો, યુવાનો અને પુરુષો માટે યોજાનારી શિબિરોમાં તેઓ અમૂલ્ય અને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડશે. લંડનમાં દીવાળી અને નૂતનવર્ષના અન્નકૂટની ઉજવણી બાદ તેઓ ભારત પાછા ફરશે.
પૂ. ત્યાગવલ્લભ સ્વામીને ૧૯૬૦માં પૂ.યોગીજી મહારાજે દીક્ષા આપી હતી. તેમણે ઘણાં વર્ષો સુધી પૂ. યોગીજી મહારાજની સેવા કરી હતી. તેઓ મૂળ યુગાન્ડાના કમ્પાલાના હતા. વિદેશના જે યુવાનોએ સૌ પ્રથમ સ્વામીનારાયણ સાધુ તરીકે દીક્ષા લીધી તેમાં પૂ. ત્યાગવલ્લભ સ્વામી એક હતા.
૧૯૭૧થી ૨૦૧૬ સુધી તેમણે પૂ. પ્રમુખ સ્વામીની નિશ્રામાં સેવા કરી હતી. તેમણે શુદ્ધ આધ્યાત્મિક જીવન જીવવા માટે હજારો હરિભક્તો અને યુવાનોને પ્રેરણા પૂરી પાડી હતી. ૧૯૮૩માં તેમને BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, બોચાસણના મહંત તરીકે નીમવામાં આવ્યા હતા. હાલ તેઓ પૂ. મહંત સ્વામીના માર્ગદર્શન હેઠળ સેવા આપી રહ્યા છે.

