જે તિથિનો ક્યારેય ક્ષય નથી એવું તિથિપર્વ ‘અક્ષય તૃતીયા’

પર્વવિશેષ

Tuesday 10th April 2018 10:14 EDT
 
 

હિંદુ, વૈદિક અને જૈન પરંપરાઓમાં અક્ષય તૃતીયાનું મહત્વ ખૂબ જ માનવામાં આવ્યું છે. આથી જિજ્ઞાસા થવી સ્વાભાવિક છે કે આ પર્વનું નામ ‘અક્ષય તૃતીયા’ કેમ પડ્યું? અ-ક્ષય મતલબ કે જેનો ક્ષય નથી. એટલે કે દરેક સંજોગોમાં યથાવત્. વૈશાખ મહિનાની સુદ ત્રીજ (આ વર્ષે ૧૮ એપ્રિલ)નો ક્યારેય ક્ષય હોતો નથી આથી જ એને ‘અક્ષય તૃતીયા’ કહેવામાં આવે છે. ભારતીય જ્યોતિષશાસ્ત્ર મુજબ તિથિઓ ચંદ્રમા અને નક્ષત્રોની ગતિ મુજબ બને છે. જેમ જેમ ચંદ્રમાની કળા વધે કે ઘટે તેવી જ રીતે તિથિઓ વધે કે ઘટે છે.

એકમથી લઈ અમાવસ્યા, પૂનમ વગેરે બધી જ તિથિઓમાં વધ-ઘટ થતી રહે છે, પરંતુ વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજની તિથિ હજારો વર્ષોથી આજદિન સુધી ક્ષય તિથિ નથી બની. એમાં ક્યારેય વધ-ઘટ આવે જ નહીં એટલે જ એને અક્ષય તિથિ કહી છે. એને અખાત્રીજ પણ કહેવાય છે. વૈદિક પરંપરામાં કહેવાય છે કે ઋષિ જમદગ્નિના પુત્ર પરમ બળવાન પરશુરામજીનો જન્મ અખાત્રીજના દિવસે થયો હતો. કેટલાક લોકો માને છે કે સતયુગની શરૂઆત પણ આ જ દિવસથી થઈ હતી. આમ આ યુગાદિ તિથિ પણ છે.

એક વખત રાજા યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને અખાત્રીજ પર્વની વિશેષતા પૂછી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, ‘વૈશાખ સુદ ત્રીજના પૂર્વાર્ધમાં જો યજ્ઞ, દાન, તપ વગેરે પૂણ્ય કાર્યો કરવામાં આવે તો તેનું ફળ અક્ષય થાય છે, એટલે જ આ દિવસનું મુહૂર્ત સર્વશ્રેષ્ઠ છે.’ વિવાહ, ગૃહપ્રવેશ, વ્યાપાર વગેરેનો શુભારંભ અક્ષય તૃતીયાના દિવસે ખૂબ થાય છે. ગામડાઓમાં તો આ દિવસે મોટી સંખ્યામાં સમૂહ લગ્નો યોજાય છે.

જૈન પરંપરામાં અક્ષય તૃતીયાની સાથે અત્યંત મહત્વપૂર્ણ ઘટના જોડાઇ છે. આથી જૈનોમાં પણ આ દિવસનું અધિક મહત્વ છે. પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનને એક વર્ષની કઠિન તપસ્યાને અંતે આ જ દિવસે શ્રેયાંસકુમારે (જે પ્રભુના પ્રપૌત્ર હતા) શેરડીના રસ દ્વારા પારણું કરાવ્યું હતું. આ તિથિને અક્ષય પુણ્ય પ્રદાન કરનારી તિથિ કહેવાય છે. અક્ષય તૃતીયાએ દાન અને તપનો અદ્ભુત સંબંધ જોડાયેલો હોવાને કારણે જ આ તિથિ અક્ષય બની ગઇ છે.

ભગવાન ઋષભદેવે ચૈત્ર વદ આઠમે બેલા (બે ઉપવાસ)ની તપસ્યા સાથે દીક્ષા ગ્રહણ કરી હતી. આ તપસ્યાની સાથે બે મુખ્ય વાતો હતી. અખંડ મૌન અને સંપૂર્ણ નિર્જળ તપ. અખંડ મૌન વ્રત ધારણ કરીને ભગવાને ચઉવિહાર ‘બેલા’ની તપસ્યા કરી. આ ઉપરાંત અભિગ્રહ ધારણ કરીને ગોચરી (ભિક્ષા) માટે નગરમાં પધાર્યા, પરંતુ ક્યાંયથી પણ શુદ્ધ આહાર પ્રાપ્ત ન થતાં ભગવાન નગરમાં ફરીને પાછા વળી ગયા અને આગળ તપસ્યા ચાલુ રાખી. આવી રીતે તપ કરતાં ૧૩ મહિના અને ૧૦ દિવસ પસાર થઇ ગયા. છેવટે વૈશાખ સુદ તૃતીયાના દિવસે ભગવાન હસ્તિનાપુર પધાર્યા.

હજારો ભાવિકો તેઓનાં દર્શન કાજે વિવિધ પ્રકારની ભેટ સામગ્રી લઈને આવી રહ્યા હતા. પરંતુ પ્રભુના માટે તે ભેટસામગ્રીનું કોઇ જ મહત્વ નહોતું. તેઓ ત્યાગી હતા અને શુદ્ધ આહારની ખોજમાં હતા. જનતાનો ભારે કોલાહલ, વધતી જતી ભીડ અને સૌથી આગળ ચાલતા પ્રભુને જોઈ શ્રેયાંસકુમાર વિચારવા લાગ્યાઃ ‘આજે શું વાત છે? આ મહામાનવ કોણ આવી રહ્યું છે. આવા પ્રકારના તપસ્વી સાધક આ પહેલાં મેં ક્યારેય જોયા છે?’ તેઓની સ્મૃતિઓ અતીતમાં ઊતરતી ગઈ. ચિંતનની એકાગ્રતા વધતાં તેઓને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે.

તેઓ જાણી જાય છે કે આ મારા પરદાદા દીર્ધ તપસ્વી પ્રભુ આદિશ્વર છે, જેઓ શુદ્ધ ગોચરી માટે અહીં પધાર્યા છે. શ્રેયાંસકુમાર મહેલમાંથી નીચે ઊતરી પ્રભુને વંદન કરીને વિનંતી કરે છે કે, ‘પ્રભુ પધારો’. આ સમયે જ રાજમહેલમાં શેરડીના રસથી ભરેલા ૧૦૮ ઘડા આવેલા હતા. શુદ્ધ અને નિર્દોષ વસ્તુ અને એવી જ શુદ્ધ ભાવના શ્રેયાંસકુમારની. તેઓએ ઇક્ષુરસથી ભગવાનને પારણું કરાવ્યું. આ જ સમયે દેવોએ આકાશમાં દેવ દુદુંભિ વગાડી. અને ‘અહોદાન!’ની ઘોષણા કરી. પાંચ દિવ્યોની વર્ષા થઈ. આ પ્રકારે અક્ષય તૃતીયાનું આ ઐતિહાસિક પર્વ જગતમાં તપનો મહિમા અને દાનનો પ્રવાહ વહેવડાવતું પર્વ છે. ‘દાન’ની સાથે તપની આરાધના કરવાવાળા અક્ષય પદ પ્રાપ્ત કરી શકશે. એવો સંદેશ આ પર્વમાં છુપાયેલો છે.


    comments powered by Disqus