બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંતસ્વામીએ ગયા સપ્તાહે દક્ષિણપૂર્વ ચીનના હોંગકોંગમા વિચરણ કર્યું હતું. તે અગાઉ બુધવાર તા.૧૧ એપ્રિલ સુધી પૂ. મહંતસ્વામીએ બેંગકોકમાં વિચરણ કર્યું હતું.
સોમવાર તા.૧૬ એપ્રિલ સુધી હોંગકોંગમાં વિચરણ દરમિયાન પૂ. મહંતસ્વામીએ હરિભક્તોને દર્શન અને સત્સંગનો લાભ આપ્યો હતો. પૂ. મહંતસ્વામીએ બાળ, કિશોર તેમજ યુવક-યુવતી સભાઓમાં ઉપસ્થિત રહીને સૌને સંપ, સદભાવ અને એકતાના ગુણોને વધુ દ્રઢ બનાવવાની શીખ આપી હતી. બાળ તેમજ યુવા કલાકારોએ ભક્તિસભર કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા. સોમવાર તા.૧૬ એપ્રિલે પ.પૂ. મહંતસ્વામી હોંગકોંગથી સ્વદેશ પરત આવી પહોંચ્યા હતા. તેઓ તા.૧૯ એપ્રિલ સુધી દિલ્હીમાં રોકાણ કરશે. શુક્રવાર તા. ૨૦ એપ્રિલે પ. પૂ મહંતસ્વામી સિમલા જવા રવાના થશે. રવિવાર તા.૨૨ એપ્રિલ સુધી સિમલામાં વિચરણનો તેમનો કાર્યક્રમ છે.

