લંડનઃ ઊંડા શ્વાસ લેવાની, તેને રોકવાની અને પછી શ્વાસને છોડવાની કસરતનો મહાવરો શારીરિક હલનચલનને વધુ ફ્લેક્સિબલ બનાવવામાં અને લાંબા ગાળાની બેચેની હળવી કરવાનો અસરકારક ઉપાય છે. નિષ્ણાતો કહે છે કે કપાલભાતિ તરીકે જાણીતું આ યોગાસન કમરનો દુખાવો દુર કરતી સામાન્યો કસરતો કરતાં બમણો સુધારો કરે છે. એટલું જ નહીં, તે સર્વાંગી જીવનની ભૌતિક ગુણવત્તામાં પણ સુધારો કરે છે.
નિષ્ણાતો કહે છે કે દર પાંચમાંથી ચોથી વ્યક્તિને તેમના જીવનકાળ દરમિયાન કોઈકને કોઇક સમયે પીઠનો દુખાવો રહે છે. મોટા ભાગે અયોગ્ય રીતે ભારે વસ્તુ ઊંચકવાથી કે વિપરીત દિશામાં શરીરને વાળવાથી પીઠનો દુઃખાવો થઇ જાય છે. કેટલાક સપ્તાહની અંદર દુઃખાવો દુર તો થઇ જાય છે, પણ કામચલાઉ ધોરણે. કમર દર્દનો ભોગ બનતી ઘણી વ્યક્તિને તો ત્રણથી ચાર માસ સુધી પીઠનો દુઃખાવો રહે છે. ઘણાને દુઃખાવો મટી જાય છે તો તો એક વર્ષની અંદર ફરી દુઃખાવો શરૂ થાય છે.
નિષ્ણાતોના મતે ૪૦ ટકા કેસોમાં દર્દીને એવી પેઇનકિલર દવા સૂચવવામાં આવે છે જેની અનેક આડઅસર હોય છે, પરંતુ નિયમિત યોગાભ્યાસ વ્યક્તિને આ દર્દમાંથી કાયમી ધોરણે મુક્તિ અપાવે છે, અને તે પણ કોઇ જાતની આડઅસર વગર.

