લંડનઃ બ્રિટનમાં રહેતા મૂળ ભારતીય ઉદ્યોગ સાહસિક અને યુકે કાઉન્સિલ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અફેર્સના પ્રમુખ લોર્ડ કરણ બિલિમોરિયાએ બ્રિટનનાં આ પગલાંને ભારતનાં અપમાન સમાન અને પક્ષપાતનું ઉદાહરણ ગણાવ્યું હતું. ટાયર-૪ નિયમોમાંથી ભારતને બાકાત રાખવાથી ભારત માટે ખોટા સંકેતો જઈ રહ્યા છે.
બ્રિટન એક તરફ બ્રેક્ઝિટ પછી ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાતો કરે છે અને બીજી તરફ ભારત સાથે બેહૂદું વલણ અપનાવે છે ત્યારે ભારત પાસેથી તે મુક્ત વેપારની અપેક્ષા કેવી રીતે રાખી શકે? ભારત હંમેશાં બ્રિટનનો ગાઢ સાથી રહ્યો છે અને ઊભરતું વૈશ્વિક અર્થતંત્ર છે ત્યારે બ્રિટનનાં આ પગલાંથી તેને જ નુકસાન થશે અને બંને દેશ વચ્ચેના સંબંધો બગડશે. નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયને પણ ભારતને હળવા વિઝા નિયમોની યાદીમાંથી બાકાત રાખવામાં આવતાં નારાજગી દર્શાવી છે. ભારતના વિદ્યાર્થીઓને ચીન અને અન્ય દેશોની સરખામણીમાં ‘હાઇરિસ્ક’ ગણવામાં આવ્યા છે જે યોગ્ય નથી તેવો દાવો કરાયો છે.

