લંડનઃ NHS 111 દ્વારા મદદ થઈ શકે તેમ હોવા છતાં એક અંદાજ મુજબ દર વર્ષે ૭૬૮,૮૦૪ લંડનવાસીઓ A&E જાય છે. NHS 111 દ્વારા હવે વિસ્તૃત ક્લિનિકલ સેવાઓ ઉપલબ્ધ હોવાથી તેની મદદ મેળવીને A&Eની બિનજરૂરી મુલાકાત ટાળવા લંડનવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
લંડનનાં પીન મેડિકલ સેન્ટરના GP ડો. માથી વુડહાઉસે જણાવ્યું હતું કે NHS 111ની સેવામાં GP, નર્સીસ, મીડવાઈવ્સ, ફાર્માસિસ્ટ અને મેન્ટલ હેલ્થ, કેન્સર અને ચાઈલ્ડ હેલ્થના સ્પેશિયાલિસ્ટની સીધી જ સલાહ મેળવી શકાય છે.
તેમણે ઉમેર્યું હતું કે આ સેવા અઠવાડિયાના તમામ ૭ દિવસ ૨૪ કલાક ઉપલબ્ધ છે. યોગ્ય હેલ્થકેર સર્વિસ માટે ક્લિનિકલ સલાહ વિશ્લેષણ અને માર્ગદર્શન મળી શકે છે. પરિસ્થિતિને અનુલક્ષીને NHS 111ની ટીમ આપનો નર્સ, ઈમરજન્સી ડેન્ટિસ્ટ અથવા GP સાથે સંપર્ક કરાવી શકે છે અને આપને જરૂર હોય તો રૂબરૂ એપોઈન્ટમેન્ટની પણ વ્યવસ્થા કરાવી શકે છે.
NHS 111માં આપને એમ્બ્યુલન્સની જરૂર છે કે નહીં તેનું તારણ કાઢે તેવા સંપૂર્ણપણે તાલીમબદ્ધ સલાહકારો હોય છે. એમ્બ્યુલન્સની જરૂર હોય તો તેઅો તેને તરત મોકલી અપાય છે. NHS 111 ખાનગી ઈન્ટરપ્રીટર સેવાથી સજ્જ છે જે ઘણી ભાષામાં ઉપલબ્ધ છે. આપને પ્રિસ્ક્રીપ્શનની જરૂર હોય તો આપને સુવિધા પડે તેવા સ્થાનિક સ્થળેથી તેના પીક અપની વ્યવસ્થા કરાવી શકે છે.

